આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં ભારતના 50 લાખ ગ્રામીણ પરિવારોને પાકા મકાન મળશે. આટલું જ નહીં આ તમામ આવાસોમાં એક શૌચાલય, એક LPG કનેક્શન, વીજળી અને પાણીના કનેક્શન પણ હશે જે ગરીબ ગ્રામવાસીઓને માથું ઉંચું રાખીને જીવવા માટે મદદ કરશે. આ બધું શક્ય બનશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) દ્વારા. આ યોજના હેઠળ સરકારનો મૂળ હેતુ માર્ચ 2019 સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો માટે 1 કરોડ આવાસો ઉભા કરવાનો છે.
રૂરલ ડેવલોપમેન્ટ મીનીસ્ટ્રી દ્વારા 2016માં આ યોજના શરુ કરવામાં આવી હતી અને લાભાર્થીઓના રજીસ્ટ્રેશન, જીઓ ટેગિંગ, એકાઉન્ટ વેરીફીકેશન અને અન્ય જરૂરી પગલાંઓ લેવા માટે યોજનાને ઓફિશિયલી શરુ થતા બે મહિના લાગ્યા હતા. મંત્રાલયે આ સમયે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે આ યોજનાના લાભાર્થીઓ વર્ષ 2011ની સામાજીક-આર્થિક વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈને પસંદ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત એવા ગરીબ ગ્રામવાસીઓને લાભ મળે છે જેઓ ઘર વગરના હોય, એક રૂમના કામચલાઉ છતવાળા કાચા ઘરમાં રહેતા હોય કે પછી બે રૂમના કામચલાઉ છતવાળા કાચા ઘરમાં રહેતા હોય. PMAY(G) ના નામે ઓળખાતી આ યોજના સંપૂર્ણપણે ગરીબલક્ષી યોજના છે.
આ યોજના હેઠળ બનનારા આવાસોની ડીઝાઇન એ ક્ષેત્રના આવાસોની ડીઝાઇન તેમજ જે-તે પરિવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ઉપરાંત આ આવાસોના બાંધકામ માટે આપવામાં આવેલા નાણા પણ લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધા જ જમા થઇ જશે.
તમને ગમશે: Project Loon દ્વારા પ્યુર્ટો રિકોના એક લાખ અસરગ્રસ્તો સુધી ઈન્ટરનેટ પહોંચ્યું
દરેક આવાસના જીઓ ટેગિંગ પાછળનો મુખ્ય હેતુ ભ્રષ્ટાચારને દૂર રાખીને આ યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો છે. આ માટે સરકારે આ યોજના માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે જ્યાં લાભાર્થીઓની તમામ માહિતીઓ અને તેમને અત્યારસુધીમાં કેટલા નાણા ફાળવવામાં આવ્યા છે તેની માહિતી મુકવામાં આવી છે. આ ઉપરાંત જીઓ ટેગિંગને કારણે આવાસના બાંધકામમાં કેટલો વિકાસ થયો છે તે સીધું જ જોઈ શકાય છે.
આ યોજનાનો એક આડ ફાયદો પણ છે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક ફાયનાન્સ એન્ડ પોલીસી પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણનો સતત અભ્યાસ કરશે અને તેના થકી સ્ટીલ અને સિમેન્ટની માંગમાં કેટલી વૃદ્ધિ થઇ છે તેની માહિતી પણ મળશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એક એવી યોજના છે જે મોદી સરકારના એ ટીકાકારોની દલીલ કે સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં કોઈજ કામ નથી કર્યું તેને સદંતર ખોટી પૂરવાર કરે છે.
eછાપું