ભારતમાં AADHAAR કાર્ડ સંઘરેલો ડેટા સુરક્ષિત રાખી શકે છે કે કેમ તે અંગે ઘણી ચર્ચા ચાલે છે, પરંતુ માઈક્રોસોફ્ટના સ્થપતિ બિલ ગેટ્સ કહે છે કે AADHAAR કાર્ડમાં રહેલો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે. બિલ ગેટ્સ તો પોતાના એ વિધાનથી પણ આગળ વધીને કહે છે કે તેઓ ઈચ્છે છે કે વધુને વધુ દેશો AADHAARની ટેક્નોલોજી અપનાવે જેથી એ દેશો તેમની Social Security ની ફરજ યોગ્ય રીતે બજાવી શકે.
હાલમાં જ એક કોન્ફરન્સમાં બિલ ગેટ્સે કહ્યું હતું કે તેઓ વર્લ્ડ બેન્કને બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ફંડ આપી રહ્યા છે જે અન્ય દેશોમાં AADHAAR જેવી ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવે. ગેટ્સનું એમપણ કહેવું હતું કે ભારતમાં AADHAAR કાર્ડના જનક નંદન નિલકેણી વર્લ્ડ બેન્કને અન્ય દેશોમાં આ પ્રકારે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મદદ કરે.
આ કોન્ફરન્સમાં બિલ ગેટ્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે AADHAAR કાર્ડના અસંખ્ય લાભ છે જેનો ફાયદો તમામ દેશોએ લેવો જ જોઈએ. બિલ ગેટ્સે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, “હા અન્ય દેશોએ પણ તેને (AADHARને) અપનાવવું જોઈએ કારણકે તેનાથી દેશો કેટલી ઝડપથી તેમના અર્થતંત્રનો વિકાસ કરી શકે છે અને પોતાની જનતાને સશક્ત કરી શકે છે તેનો ખ્યાલ આવે છે.”
એક રિપોર્ટ અનુસાર ઘણાબધા દેશો જેમાં ભારતના પડોશી દેશો પણ સામેલ છે તેમણે આ ટેક્નોલોજી પોતાના દેશમાં અપનાવવા માટે ભારતનો સંપર્ક સાધ્યો છે.
AADHAARની સુરક્ષા વિષે બિલ ગેટ્સ માને છે કે છેવટે AADHAAR ને વ્યક્તિગત એપ્લિકેશન્સ જ ઉપયોગમાં લેતી હોય છે. આથી દરેક એપ્લિકેશનનો વપરાશ જ્યારે AADHAAR માટે કરવામાં આવે ત્યારે તેને સરખી રીતે મેનેજ કરવી યોગ્ય રહેશે. બિલ ગેટ્સે આ માટે બેન્ક એકાઉન્ટ્સનું ઉદાહરણ આપી ને કહ્યું હતું કે AADHAAR કાર્ડ બિલકુલ બેન્કના ખાતાની જેમ મેનેજ કરવામાં આવે તો તેની સુરક્ષા અકબંધ રહે છે.
આપણે ત્યાં AADHAAR નો વિચાર નંદન નિલકેણી કોંગ્રેસના શાસન દરમ્યાન લાવ્યા હતા, પરંતુ કોંગ્રેસની અન્ય યોજનાઓની જેમ આ યોજના પણ એકાદી બાબત સુધી સિમિત થઇ ગઈ હતી. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક સમયે AADHAARના આ પ્રકારે સીમિત ઉપયોગનો જ વિરોધ કરી રહ્યા હતા. તેમના વડાપ્રધાન બન્યા બાદ તેમણે AADHAAR ના મુખિયા તરીકે નિલકેણીને જાળવી રાખ્યા અને હવે કોઇપણ જરૂરિયાત સાથે AADHAARને લીંક કરવામાં આવી રહ્યું છે જેનાથી દેશવાસીઓને ભરપૂર સુવિધા ઓછામાં ઓછા ભ્રષ્ટાચાર સાથે આપી શકાય છે.
AADHAAR ને લીધેજ લાખો ભૂતિયા ગેસ કનેક્શનસ પકડાયા અને તેને રદ્દ કરવામાં આવ્યા, આટલુંજ નહીં દેશભરની યુનિવર્સીટીઓએ પણ પોતાના પ્રોફેસર્સ માટે AADHAAR ફરજીયાત બનાવ્યું અને હજારો ભૂતિયા પ્રોફેસર્સ દૂર કરવામાં આવ્યા. પરંતુ આપણે ત્યાં કોઇપણ સારી વ્યવસ્થા અને એ પણ જો મોદી સરકાર દ્વારા ઉભી કરવામાં આવી હોય તો તેનો પ્રખર વિરોધ કરવો જ જોઈએ તેવી પ્રથા છેલ્લા ચાર વર્ષથી પડી ગઈ છે.
AADHAARનો મામલો વધુ ગૂંચવી દેવા કેટલાક લોકો તેને સુપ્રિમ કોર્ટમાં લઇ ગયા છે જેમાં તેમાં રહેલા ડેટાની સુરક્ષા મુખ્ય મુદ્દો છે. હવે જ્યારે બિલ ગેટ્સ જેવા પ્રખર ટેક્નોક્રેટ AADHAARની સુરક્ષા અંગે આશ્વસ્ત છે એટલુંજ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ આ ટેક્નોલોજી ફેલાવવા ખુદ વર્લ્ડ બેન્કને ફંડ આપી રહ્યા છે ત્યારે AADHAARનો પાંગળો વિરોધ કેટલો યોગ્ય છે એ વિચારવાનો સમય પાકી ગયો છે.
eછાપું
તમને ગમશે: પ્લેસિબો ઈફેક્ટ એટલે ટીકડીઓ વગર સાજા થવાની તરકીબ!