એય ને વળી પાછો અધિક માસ શરૂ થઈ રહ્યો છે. હા, એ જ પુરુષોત્તમ માસ! બેનું, દીકરીયું, માવડીયું ગોર પૂંજવા જશે અને ‘આંબુડુ જાંબુડુ’ ગાશે. સામાન્ય રીતે 32 મહિના 16 દિવસ 3 કલાક અને 12 મિનિટ પસાર થયા બાદ અધિક માસની વ્યવસ્થા પંચાંગમાં કરવામાં આવી છે. એટલે કે દર ત્રીજા વર્ષે અધિક માસ હોય છે. ચંદ્ર માસના ગણિતથી વર્ષ 354 દિવસ 9 કલાકનું હોય છે અને સૌર માસના ગણિતથી વર્ષ 365 દિવસ 6 કલાકનું હોય છે. આ બંને વચ્ચેનું અંતર અધિક માસ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. આપણા સંવતવાળા કેલેન્ડરમાં કોઈવાર તિથિઓનો ક્ષય આવતો હોય છે તો કોઈવાર એકસ્ટ્રા તિથિઓ આવે – આ દરેકનું એડજસ્ટમેન્ટ કરવા માટે ગણિતજ્ઞોએ અધિક માસ મૂક્યો છે. ‘નરેશ પરમાર’ની મને ગમતી એક કવિતા છે.
સાંભળ્યું છે કે મંદિરમાં દાણા ખાઈને,
ચકલી મસ્જિદમાં પાણી પીએ છે.
કોઈ અબ્દુલનો જભ્ભો પ્રેમજી દ્વારા સિવાય છે,
ને કોઈ કરસનના જૂતા કરીમ દ્વારા તૈયાર થાય છે.
એક રફી હતો જે મહેફિલોમાં રઘુપતિ રાઘવ ગાતો‘તો,
ને પ્રેમચંદ બાળકોને ઈદની આયાતો સંભળાવતો‘તો.
કોઈ કલામને મઠારે છે શિવસુબ્રહ્મન્ય કે શિવપ્રકાશન,
ને કોઈ એ.આર. રેહમાનની ધૂનો પર નાચે છે કદરદાન.
હિન્દૂ ને મુસલમાન તો અલગ ચશ્માને કારણે દેખાય છે,
મને તો હર એક વ્યક્તિમાં માણસ જ દેખાય છે.
जब बनाने वालेने ईसमें कोई फर्क नहीं किया तो मैं और आप कौन होते है फर्क करने वाले? – આ વાતનું જીવતું–જાગતું ઉદાહરણ એટલે આ વખતે અધિક માસ અને રમજાન મહિનો, બંને સાથે શરૂ થયા. કેવો સમન્વય! આવો જાણીએ અને માણીએ ‘ઈસ્લામ’ અને ‘રમજાન’ વિષે થોડાં તથ્યો!
ઈસ્લામમાં બે સંપ્રદાય છેઃ શિયા અને સુન્ની. આજે દુનિયાના લગભગ 85-90% મુસ્લિમ સુન્ની છે અને બાકીના શિયા. ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્ર (Theology) પ્રમાણે જોઈએ તો આ બંને સંપ્રદાયો વચ્ચે વાસ્તવમાં કોઈ ફરક નથી – બંને એક જ અલ્લાહને માને છે, હજરત મોહમ્મદ પયગંબર (સ.અ.) ને ફોલો કરે છે, અને આપની પયગંબરી તેમજ આપના થકી કુરાનને અનુસરે છે અને ઈસ્લામવિષયક બધાં જ ગુણો સ્વીકારે છે. ‘જય શ્રી કૃષ્ણ’, ‘જય માતાજી’, ‘જય જિનેન્દ્ર’ જેવા અભિવાદન આપણે હંમેશાથી કરતા આવ્યા છીએ પણ આ અભિવાદનોમાં મોસ્ટલી આપણા દેવી–દેવતાઓની જય જ બોલાતી હોય છે. ક્યાંય સામેવાળાની સલામતી કે શાંતિપ્રિયતાના દર્શન થતાં નથી. દુનિયાના તમામ ધર્મોની સરખામણીએ ઈસ્લામ વધારે બુદ્ધિનિષ્ઠ ધર્મ છે અને એકબીજાને મળે ત્યારે સલામ–શાંતિથી શરૂઆત કરે છે. ઈસ્લામમાં જ્યારે ‘અસ્સલામુ આલેકુમ’ બોલાય છે એનો અર્થ થાય ‘તમારા પર સુલેહશાંતિ બની રહે’. મોહમ્મદ પયગંબરે દુનિયાના દરેક લોકો સાથે આ શાંતિનો સંદેશો ફેલાવવાની તાકિદ કરી અને કુરાનમાં પણ આ રીતના સલામને અનુસરવાનું કહેવામાં આવ્યું છે.
ઈસ્લામ ધર્મના ચાર આધારસ્તંભ છેઃ નમાજ, રોજા, જકાત અને હજ! નમાજ એટલે અલ્લાહને કરવામાં આવતી પ્રાર્થના. જકાત એટલે ધર્માદો અને હજ એટલે તીર્થયાત્રા. મુસ્લિમો રમજાન કે રમાદાન વખતે ઉપવાસ (કે રોજા) કરે છે. મુસ્લિમ કેલેન્ડરમાં ‘રમજાન’નો પવિત્ર મહિનો ત્રણ ભાગ (જેને આશરા કહેવાય છે)માં વહેંચાયેલો છેઃ પહેલા દસ દિવસ ‘રહેમત’ (કે દયા) ને ફાળવવામાં આવ્યા છે, પછીના દસ દિવસ ‘મગફેરત’ (કે માફી) અને છેલ્લા દસ દિવસ (ઇદ્કુન મીનન્નાર) નર્કથી આઝાદી મેળવવા માટેના છે. રમજાન મહિનાની સૌથી મહત્ત્વની રાત એટલે ‘લૈલત–ઉલ–કદ્ર’ – એટલે કે ગૌરવની રાત – જે 27માં દિવસે મનાવાય છે. હદીસ પ્રમાણે જેમ આપણા સારા કર્મોના ફળ ફરિસ્તા આપે છે તેમ રમજાનમાં રોજા કરવાના ફળ ખુદ અલ્લાહ આપે છે. ઉપવાસ રાખવાથી શરીરને તો ફાયદાઓ થાય જ છે પણ રમજાનમાં રોજા રાખવાનો મૂળ હેતુ છે લોકોને ‘ભૂખ’ અને ‘તરસ’ શું છે એનો વ્યક્તિગત અનુભવ કરાવવો અને એનાથી લોકોને ગરીબોની વેદનાઓની કદર થાય.
મોહમ્મદ પયગંબરે પોતાના સમયમાં મક્કાની નજીક આવેલા ‘હીરા’ના ડુંગરાળ વિસ્તાર (જબલ–એ–હીરા)માં એક ગુફામાં પોતાની પત્ની ખદીજા અને નોકરો સાથે એક મહિનો ગાળ્યો હતો. આ જ મહિનામાં એક દિવસ એમને ખુદ ખુદાનો અવાજ સંભળાયો. આ દિવસ એટલે ‘લૈલત–ઉલ–કદ્ર’. ખુદાએ પયગંબરને ‘ઈકરા’ વાંચવાનું કહ્યું – દાખલા તરીકે
“સૂરઃફાતિહા (મક્કી) (રૂકૂઅ – 1, આયતો – 7)
પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો રબ છે, અત્યંત કૃપાળુ અને દયાળુ છે, બદલા (ન્યાય)ના દિવસનો માલિક છે.
અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારી જ મદદ માંગીએ છીએ.
અમને સીધો માર્ગ બતાવ, એ લોકોનો માર્ગ જેમની ઉપર તેં કૃપા કરી, જે પ્રકોપના ભોગ ન બન્યા, જે પથભ્રષ્ટ નથી.”
‘ઈકરા’ પાછળથી કુરાનનો ભાગ બન્યા અને આ સાક્ષાત્કાર પછી મોહમ્મદ પયગંબરે જેરુસલેમને બદલે મક્કામાં પોતાના અનુયાયીઓને જવા કહ્યું. આ જ વખતે તેમણે શુક્રવારને આ ધર્મ સમુદાયમાં પ્રાર્થના કરવા માટે ફાળવ્યો. સદીઓ પછી આ જ મહિનામાં મદીનાથી મક્કામાં પયગંબરે મુક્તિદાતા તરીકે સ્થળાંતર કર્યું. શિયા મુસ્લિમો માટે રમજાનનો એક અલગ અર્થ પણ છે. આ મહિનામાં હજરત અલીને ઈજા થઈ અને મૃત્યુ પામ્યા. એ વખતે ત્રણ દિવસનો શોક પાળવામાં આવ્યો હતો.
લોકપ્રિય વાયકાઓ મુજબ ઉપવાસ સવારે સૂરજ ઊગે ત્યારે શરૂ થાય છે પણ રોજા આથી ઊલટા સમયે એટલે પશ્ચિમી ક્ષિતિજ ઝાંખી દેખાવાની શરૂ થાય એ પહેલાં જ શરૂ થઈ જાય છે. ખાવા–પીવા માટે ચુસ્ત સમય પાળવામાં આવે છે અને સૂરજ ડૂબ્યા પછી ‘ઈફ્તારી’ (ખજૂર કે બીજા ફળની વાનગી) ખાઈને રોજા ખોલવામાં આવે છે. વર્ષમાં ત્રણ ઈદ મનાવાય છેઃ
1. બકરી–ઈદ અથવા ઈદ–ઉઝ–ઝુહાઃ બલિદાનની કે ભોગની ઈદ. ઈસ્લામ કેલેન્ડરનો છેલ્લો મહિનો ‘ઝિલ્હાદ’ તરીકે ઓળખાય છે. આ મહિનામાં હજની યાત્રા કરવામાં આવે છે. આ મહિનાના નવમા દિવસે મુસ્લિમ ભાઈઓ ‘અરાફત’ માટે જાય છે. એવું માનવામાં આવે છે કે અરાફત બાદ દરેક પાપ ધોવાઈ જાય છે અને નવા જન્મેલા બાળક જેટલા શુદ્ધ થવાય છે. દસમા દિવસે બકરી–ઈદ મનાવવામાં આવે છે.
2. ઈદ–એ–મિલાદ–ઉન–નાબિઃ પયગંબરનો જન્મદિવસ
૩. ઈદ–ઉલ–ફિત્રઃ રમઝાનના છેલ્લા દિવસે મનાવાતી ઈદ (નમાજ પૂરી થાય પછી ફિત્ર અથવા ભેગું થયેલું દ્રવ્ય, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી દેવામાં આવે છે.)
પડઘો:
હું ખૂબ જ જૂનવાણી મુસ્લિમ કદાચ ન હોઉં પણ હું એક મુસ્લિમ જરૂર છું! મને લાગે છે કે ઈસ્લામ આધુનિકતા સાથે સુસંગત છે. મુસ્લિમ લોકોએ આધુનિક બનવા માટે પશ્ચિમી બનવું જરૂરી નથી જેમ કે પશ્ચિમ જેવા કપડાં પહેરવાં કે એમના મૂલ્યો સાચવવા. અમારું પોતાનું એક કલ્ચર છે. અમારો એક ઈતિહાસ છે અને અમને એના પર ગર્વ છે. આધુનિક હોવું મતલબ નાગરિકત્વની સરકાર, લોકશાહી, ન્યાય, સારું શિક્ષણ, વહીવટીતંત્ર – આ બધા ગુણધર્મોથી આધુનિક થવાય જે અમે કરી શકીએ છીએ. દુનિયામાં ઈસ્લામ વિશેના પુનઃજાગરણ માટે પાકિસ્તાન મધ્યવર્તી ભૂમિકા ભજવી શકે છે. અમે મુસ્લિમ જગતના અગ્રણી છીએ, ફક્ત અમે જ ન્યુક્લિયર પાવર ધરાવતા ઈસ્લામિક દેશના છીએ, ૧૬ કરોડની વસ્તી છે, ભૌગોલિક રીતે પણ અમે એવી જગ્યાએ છીએ કે લોકો અમને અવગણી ન શકે. અમે અમારી મદરસામાં ધર્મ સિવાયના વિષયો (ભૂગોળ, ઈતિહાસ, બીજા ધર્મો) વિશે પણ શિખવાડીએ છીએ. મદરસામાં કોમ્પ્યુટર ટ્રેનિંગ પણ અપાય છે. પશ્ચિમી દેશોને લાગે છે કે મદરસા એ ટેરરીસ્ટ કેમ્પ છે. મદરસા હિંસક, ઉગ્ર, આત્યંતિક અને ઉદ્દામ મતવાદી નથી હોતી. જુઓ, પાકિસ્તાનના ઘણાં લોકોને એવું લાગે છે કે હું પ્રો–વેસ્ટર્ન છું. પણ હું તો પાકિસ્તાનના રચયિતા મોહમ્મદ અલી ઝીણાની દૂરદર્શિતાને અનુસરું છું. તેઓ પોતે એક માનવહક્ક અને સ્ત્રીહક્કથી ઉભરતો સમાજ ચાહતા હતા.
અકબર અહેમદે લીધેલો પરવેઝ મુશર્રફનો ઈન્ટરવ્યુ – માર્ચ 2006 – રાવલપિંડી
eછાપું
તમને ગમશે:
કટાક્ષ – એક નિષ્પક્ષ પત્રકારનો બેબાક અને બેખોફ ઇન્ટરવ્યુ
મગજ બંધ રાખીને પણ કરી શકો છો આ તમામ મજેદાર કામો