પ્રખ્યાત હાસ્યકાર બકુલ ત્રિપાઠી સાથેના કેટલાક સંસ્મરણો યાદ કરીએ…

0
932
Photo Courtesy: Sunil Anjaria

“આજે શ્રી બકુલ ત્રિપાઠી ની મૃત્યુ તિથિ છે એમ 31 ઓગસ્ટે મુ.મહેશભાઈ  વસાવડાની પોસ્ટથી જાણ્યું.”
તેઓ H.L.Com.માં અમારા મેનેજમેન્ટ ના પ્રોફેસર હતા અને અમારાં નાટકો એ ડાયરેકટ કરતા જેમાં મેં ચારેય વર્ષ કોઈને કોઈ રોલ કરેલો. જૂનાગઢના કોઈ વૈષ્ણવ એમના સાળા કે કઝીન એકવાર એમની સાથે હતા. અમે કન્યાકુમારી જવા લાઈનમાં ઉભા ત્યારે મારી સાથે તેઓ,શ્રી વૈષ્ણવ પણ હતા. બકુલ ત્રિપાઠી એ કહેલું “નાગરકોઈલ એક્સપ્રેસ માટે 3 નાગરોની નાગર પરિષદ.”

એ વખતે જ મેં એમનો કોઈ લેખ ટાંકી મારા ધો.8 માં ભણતા પુત્ર હર્ષ એ કરેલું નિરીક્ષણ કહેલું કે તેમાં “સખી પાપડ સૂકવવા ગઈ” આપે સન્માનનીય વિશેષણ વાપર્યું જે નાગરી છે. બીજાઓ મિમિક્રી કે લેખમાં ‘મારી બાયડી’ પ્રયોગ કરે છે ને પત્નીની ઠેકડી ઉડાડે છે.  એમણે તુરત કહ્યું કે મારી પેઢી અને તમારી પેઢી તો વાંચે જ છે, તમારા પુત્રની પેઢી મારૂં વાંચી શું વિચારે છે એ ફીડબેક ગમ્યો. 9, રિવર કોલોની મારા પુત્રને લઈને આવવા પણ કહેલું.  1997 વર્ષ ની એ વાત છે.

બકુલ ત્રિપાઠી એ ત્રીઅંકી નાટક લીલા રાજકારણ પર લખેલું જેના ટાઉનહોલમાં ઘણા શો થયેલા. એના મુખ્ય પાત્ર અને ડાયરેક્ટર કૈલાસ પંડ્યાને એમની સાથે હું સ્ટેજ પાછળ મળેલો. આ હાસ્ય નાટીકા કટાક્ષ સાથે હતી., દર્પણ ના નેજા હેઠળ. એક બહોત નાહયો ગોપાલ પણ એમણે લખેલું  કે ડાયરેકટ કરેલું નાટક સારું ચાલેલું.

દૂરદર્શન ડિડી ગિરનાર પર 31 ડિસેમ્બર રાતે એક વખત એમની લખેલ ‘કૂતરું અને થાંભલો’ શોર્ટ ફિલ્મ  ખૂબ હસાવી ગયેલ.
બકુલ ત્રિપાઠી એક સારા હાસ્ય લેખક ઉપરાંત નાટય લેખક, દિગ્દર્શક, કલાકાર પણ હતા. એમણે અમારું એક કોઈએ લખેલ નાટક એન્યુઅલ ના 4 દિવસ પહેલાં કેન્સલ કરી  ‘બખ્તર’ પોતે 2 કલાકમાં લખેલું જેમાં ભંગારવાળાને મળેલ જૂનું બખ્તર કોઈ ટીનેજર પોતાના શો માટે ટ્રાય કરવા જાય છે ને એમાં ભરાઈ જાય છે. બે મ્યુઝિયમ કયુરેટરો આ બખ્તર તપાસી પોતાના વ્યુ આપે કે એ કોનું છે ને કેમ ખોલવું.  માથે હથોડી મારવી કે વેલ્ડીંગ, ઇવન કરવતથી કાપવા સુધી વાત પહોંચે છે. ખેંચાખેચીમાં એ નીકળી જાય છે. એમાં એક કયુરેટર શાસ્ત્રી હું બનેલો. બીજો જેનું નાટકમાં નામ પંડિત હતું.  મારે (શાસ્ત્રી) હિસાબે એ બખ્તર રાણા પ્રતાપનું હતું.

પ્રણય અને પોલીસચોકી તારક મહેતામાં બકુલ ત્રિપાઠી એ પોતાનો સીન, અંતમાં દસ પંદર સ્કૂટર સાથે યુવક યુવતી સ્ટેજ પર લાવવાનો કરાવેલો! તેઓ દેખાવમાં સામાન્ય હતા પણ એમણે જ રમુજમાં લખેલું કે “હું સાઇડ માંથી દિલીપકુમાર જેવો દેખાઉં છું એમ કોઈએ કહ્યું, મે માન્ય રાખ્યું!  મેં એકલાએ!”

કોલેજમાંથી લગભગ દોડતા દાદરો ઉતરતા, હાથની એક આંગળી આગળ પોઇન્ટ કરેલી જ હોય. સફેદ રંગનું બજાજ વાપરતા. ઓરગેનાઈઝેશન અને ટીમવર્ક માટે એમણે ક્લાસની બેન્ચ એકથી બીજા છેડે લઇ જવી હોયતો કોઈ યાહોમ કરી ધક્કો મારે કોઈ બીજા જોર કરે એની રાહ જુએ કોઈ નેતા થઈ આ ખૂણે જોર ઓછું પડશે કહે ને બેન્ચ ભરાઈ જાય.  કોઈ બહાર કાઢવાનું સૂચન કરે અને આખરે સંઘ કાશીએ પહોંચે એ દાખલો આજે પણ યાદ છે જે  બકુલ ત્રિપાઠી એ 1976 માં આપેલો.

અમિતાભની કોઈ ફિલ્મ ટાંકી કહે કે મેનેજર સીધો યુનિયનના ગરીબ વર્કરને ઘેર તબિયત જોવા પહોંચે તો યુનિયન વાત કરે કે પેલાની સુંદર બૈરી જોવા ગયેલો. ઓથીરિટી ને ઈંફોર્મલ થવાની પણ ટ્રીક હોય.
આવા મેનેજમેન્ટ એક્ઝામ્પલ . અને મેં 40 ઉપરાંત વર્ષ વાંચેલી એમની કોલમ કક્કો બારાખડી.  વિરોધ વ્યક્ત કરવા સ્ત્રીઓ કાળી સાડી  પહેરે તો બબલ દાસ નેતા કહે હું કાળું ધોતિયું કેમ ન પહેરું! એવા ઉદાહરણો.

એનાસીનની એક વિવિધભારતી પર આવેલી જાહેરાત માટે એમણે લખેલું “માથું દુઃખે તો છોકરાં ને શાઆનાં વઢે છે?” પુરુષ નો ઉચ્ચાર મરાઠી જેવો છે. મરાઠી ભાઉ ગુજરાતણ ને પરણ્યા હોય ને પેલી એને ઘરમાં ગુજરાતી બોલાવતી હોય એવું લાગે છે. જયજય ગરવી ગુજરાતણ!”

એમનો પાઠ “જનગણમન ગાતાં-એમાં લોકો હે મન તું જન ગણ કહી સંખ્યા ગણતા હોય, સામે દૂર ગયેલું ચપ્પલ શોધતા હોય કે પત્ની બાબો તેડી લેવા પતિને આજ્ઞા કરતી હોય એવું હોય સુવાય કે રાષ્ટ્રગીતમાં ધ્યાન !”
એ વખતે પ્રચલિત કોલમ વિનોદીની નીલકંઠ ની ઘર ઘરની જ્યોત સામે એમણે પ્રતિ કોલમ ઘરઘર નો વીજળી ગોળો લખેલી. એ પછી સોમવારની સવારે પુરા પાનાના લેખની આવી જેની પ્રતિ કોલમ અશોક દવે એ બુધવારની બપોરે શરૂ કરી એ હજી ચાલે છે.

કોલમ  ‘કકકો બારાખડી’ ની શરૂઆત પણ જન્માષ્ટમીને દિવસે ‘ફુગ્ગો ફરાળ ને ફરકડી એટલે જન્માષ્ટમી’ એ લેખથી  બકુલ ત્રિપાઠી એ કરેલી. એમાં એમણે ઉપનામ ઠોઠ નિશાળીયો રાખેલું જે ટૂંકમાં ઠો.ની. લખતા.
એ કોલમ માટે એમણે મને કહેલું કે લિમ્કા રેકોર્ડ તો છે જ, બહાર નથી પડ્યું પણ ગિનિસ રેકોર્ડ પણ છે 52 વર્ષ સતત ચાલેલી કોલમ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here