કૌભાંડોથી દેશવાસીઓનું ધ્યાન બીજે ખેંચવા માટે UPA 2ના બે મંત્રીઓ દ્વારા ભારતીય સેના દ્વારા બળવો થવાના ખોટા સમાચાર ઉપજાવી કાઢવામાં આવ્યા હતા તેમ એક પ્રતિષ્ઠિત અખબારે પ્રસિદ્ધ કર્યું છે.
સન્ડે ગાર્ડિયનમાં પ્રકાશિત એક સમાચારમાં બહુ મોટો ધડાકો કરવામાં આવ્યો છે. આ સમાચારમાં એવું કહેવામાં આવ્યું છે કે UPA 2 ના સમયમાં બે કેન્દ્રીય મંત્રીઓએ ઈન્ટેલીજન્સ બ્યૂરો પર દબાણ લાવ્યું હતું જેમાં તેને દેશની ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ બળવો થયો હોવાની વાર્તા ઉભી કરવાનું કહેવામાં આવ્યું હતું.
આ રિપોર્ટ અનુસાર વર્ષ 2011ના અંતમાં અને 2012ની શરૂઆતમાં UPA 2ની ટોચની નેતાગીરીએ IBને ઉપર પ્રમાણે કરવાનું જણાવ્યું હતું. આ પાછળ તેમનો હેતુ ખોટા IB રિપોર્ટને ન્યૂઝ અને મિડિયામાં ફેલાવીને લોકલાગણી પોતાની તરફ કરવાનો હતો કારણકે આ સમયે UPA 2 એક પછી એક કૌભાંડોના આરોપોનો સામનો કરી રહી હતી. આ સમયે દેશની સેનાના વડા તરીકે જનરલ વી કે સિંગ હતા જે આજે દેશના વિદેશ રાજ્યમંત્રી છે.
દેશની સેના બળવો કરવાની છે તેવી અફવા
જ્યારે ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓએ પેલા બંને નેતાઓની વાત પહેલીવારમાં જ નકારી દીધી હતી અને તેમને સાફ જણાવ્યું હતું કે આ પ્રકારે દેશમાં લશ્કરી બળવાનું કોઈજ કારણ દેખાતું નથી અને જનરલ વી કે સિંગ પર આશંકા કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.
આ વાત તે સમયના વડાપ્રધાન મનમોહન સિંહ પાસે પણ ગઈ અને તેમણે પોતાની ચિંતા દર્શાવતા IBને પૂરેપૂરી તપાસ કરવાનો આદેશ આપ્યો. વડાપ્રધાનના આદેશ બાદ IBએ યોગ્યરીતે તપાસ કરી અને છેવટે ભારતીય સેનાને તેમજ જનરલ વી કે સિંગને ક્લીન ચીટ આપી દીધી હતી.
પરંતુ તેમ છતાં પેલા બે મંત્રીઓ શાંત ન થયા, તેમણે પોતાની રીતે જ આ કાલ્પનિક વાર્તા મિડીયામાં લીક કરી. તે સમયે એક જાણીતા અખબારના જાણીતા સંપાદકે આ સ્ટોરી છાપી હતી અને Twitter પર એમ પણ જણાવ્યું હતું કે મધ્યરાત્રીએ દિલ્હીની રાયસીના હિલ પર ભારતીય સેનાની ટેન્કો ફરી રહી હતી. આ સમયે આ સંપાદકની આકરી ટીકા Twitter યુઝર્સ દ્વારા થઇ હતી અને આજે પણ એ સંપાદક તેમની એ Tweet માટે ટ્રોલ થતા હોય છે.
અહીં મુદ્દો એ પણ છે કે પોતાની સત્તા બચાવવા માટે અથવાતો કૌભાંડોના સમાચારથી પ્રજાનું ધ્યાન બીજે ખેંચવા માટે સેનાની ઈમેજને ખરડાવવા સુધી કોઇપણ સરકારના મંત્રી કેવી રીતે જઈ શકે? શું ભારતની સેના પાકિસ્તાની સેના છે કે તે ISIના ઈશારે નાચતી હોય? ભારતની લોકશાહીના મૂળિયાં અત્યંત ઊંડા અને મજબૂત છે અને દેશનો એક એક સૈનિક ભારતીય લોકશાહીનું સન્માન કરે છે.
આશા કરીએ કે આવનારા ભવિષ્યમાં કોઇપણ રાજકારણી પોતાના અથવાતો પાર્ટીના સ્વાર્થ માટે દેશની સેનાનો ગેરલાભ ન લે.
eછાપું