LED ટેલિવિઝન, મોંઘો મોબાઈલ ફોન કે પછી કાર અથવાતો ACને લક્ઝરી આઈટમમાં ગણવામાં આવે તો સમજી શકાય છે, પરંતુ પાકિસ્તાનમાં આજકાલ એક અન્ય લક્ઝરી આઈટમ મળવા લાગી છે અને તે છે ભારતના ટમેટાં!
પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકારે જે પહેલું પગલું ઉઠાવ્યું હતું તે હતું પાકિસ્તાનને આપવામાં આવેલું MFNનું સ્ટેટ્સ પરત લેવું. ત્યારબાદ મધ્ય પ્રદેશના ઝાબુઆ વિસ્તારમાં જ્યાં પુષ્કળ પ્રમાણમાં ટમેટાં પાકે છે અને અહીં ઉત્પાદિત થયેલા મોટાભાગના ટમેટાં પાકિસ્તાન નિર્યાત કરવામાં આવે છે તેને પકવતા ખેડૂતોએ નુકસાન સહન કરીને પણ ટમેટાં પાકિસ્તાન નિર્યાત ન કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત સરકાર દ્વારા MFN સ્ટેટ્સ પરત લઇ લેવાને લીધે અમસ્તું પણ પાકિસ્તાનને ભારતના ઉત્પાદનો મોંઘા પડી રહ્યા હતા એવામાં ઝાબુઆના ખેડૂતોએ તેમના પર મરણતોલ ફટકો માર્યો. પરિણામ એ આવ્યું કે આજે પાકિસ્તાનમાં ભારતના ટમેટાં જોવા તો મળે છે પરંતુ તેની કિંમત આકાશને આંબી ગઈ છે. પાકિસ્તાનીઓના રસોડામાં મોટેભાગે ભારતના ટમેટાંનો જ ઉપયોગ થતો હતો અને તેમને માટે આજકાલ આ આઈટમ કોઈ લક્ઝરી આઈટમથી અલગ નથી.
પાકિસ્તાની મિડીયામાં જ ફરી રહેલા એક સમાચાર અનુસાર પાકિસ્તાનમાં હાલમાં ટમેટાં રૂપિયા 130 થી 160 પ્રતિ કિલોગ્રામના ભાવમાં મળી રહ્યા છે. પાકિસ્તાની જથ્થાબંધ માર્કેટમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ભારતીય ટમેટાં રૂ. 100 પ્રતિ કિલોગ્રામના ભાવે મળે છે, પરંતુ બાદમાં વિવિધ સ્થાનિક માર્કેટ્સ સુધી પહોંચતા તેનો ભાવ આટલો બધો વધી જાય છે. થોડી ઓછી ગુણવત્તા ધરાવતા ટમેટાં પણ પાકિસ્તાનની સ્થાનિક શાકબજારોમાં રૂ. 75 થી 80ના ભાવમાં વેંચાતા જોવા મળી રહ્યા છે.
જો આ ભાવની સરખામણી કરીએ તો ભારતમાં ટમેટાંનો સરેરાશ ભાવ રૂ. 30 પ્રતિ કિલોગ્રામ છે.
એક રસપ્રદ સમાચારમાં પાકિસ્તાન દ્વારા અધિકૃત કાશ્મીર એટલેકે POKમાં તેમજ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં રહેતા પથ્થરબાજોના ઘરોમાં ટમેટાંની જબરી માંગ ઉભી થઇ છે અને આ જ કારણસર સમગ્ર જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં ટમેટાંનો ભાવ ઉંચે ચડ્યો છે. હાલમાં કેટલાક પથ્થરબાજોના ઘરમાં લેવામાં આવેલી જડતી બાદ મોટી સંખ્યામાં ટમેટાંની સંગ્રહાખોરી પણ ઝડપાઈ હતી. આ પ્રકારે પકડવામાં આવેલા ટમેટાં અંગે સ્થાનિકોનું બહાનું તો એવું હોય છે કે ઘરમાં પ્રસંગ હોવાને લીધે તેમણે ટમેટાંનો સંગ્રહ કર્યો છે, પરંતુ હકીકત સાથે આ બહાનાનો કોઈજ સંબંધ નથી એ સ્પષ્ટ છે.
પાકિસ્તાનમાં તો ટમેટાંથી એટલો મોટો ત્રાસ થઇ રહ્યો છે કે ત્યાંની એક સ્થાનિક ચેનલના પત્રકારે ગયા મહીને જ તૌબા તૌબા કહેતા ભારત જો ટમેટાંની સપ્લાઈ ફરીથી શરુ નહીં કરે તો પાકિસ્તાન ન્યુક્લિયર બોંબ સુદ્ધાં ફોડી શકે છે તેવી ધમકી આપી હતી. તેનો આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો.
આમ ભારતે હજી તો ટમેટાંની નિકાસ બંધ કરી છે ત્યાં પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું છે જો હજી કડક પગલાં લેવામાં આવશે તો તેની શી હાલત થઇ શકે છે તે સમજી શકાય તેવી વાત છે.
eછાપું