મુંબઈ, 27 જુલાઈ, 2017
ચાર દિવસ અગાઉ અઝાનના વિરોધમાં ટ્વીટ કરનારી એક્ટર અને સિંગર સુચિત્રા કૃષ્ણમૂર્તિને ટ્વીટર પર અપશબ્દોનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રકારની ટ્વીટ કરનારની સામે સુચિત્રાએ પોલીસ ફરિયાદ કરી હતી અને આ ફરિયાદને આધારે પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.
સુચિત્રાએ ચાર દિવસ અગાઉ ટ્વીટ કરી હતી કે જ્યારે તે સવારે પોણાપાંચ વાગ્યે ઘરે આવી ત્યારે તેને કાન ફાડી નાખે તેવી અઝાનના અવાજનો સામનો કરવો પડ્યો હતો. સુચિત્રાએ બાદમાં ઉમેર્યું હતું કે કોઇપણ વ્યક્તિ પર પોતાનો ધર્મ બળજબરીથી થોપવો ન જોઈએ.
came home at 4.45 am 2 most aggressive/ ear shattering call of azaan. Nothing more lowlife & dumb than such extreme imposed religiousity
— Suchitra (@suchitrak) July 23, 2017
સુચિત્રાની આ ટ્વીટના વખાણ અને ટીકા બંને થયા હતા પરંતુ કેટલાક લોકોએ પોતાની મર્યાદા ઓળંગીને સુચિત્રાને અપશબ્દો કહેતી ટ્વીટ કરી હતી.
સુચિત્રાએ બાદમાં જણાવ્યું હતું કે તે પોતાની પ્રાર્થના, રીયાઝ અને યોગ જેવી પ્રવૃત્તિ કરવા માટે બ્રહ્મમુહૂર્તમાં ઉઠે છે પરંતુ પબ્લિક લાઉડસ્પીકરમાંથી મને કોઈએ મારા ભગવાનને કે મારી ધાર્મિક ડ્યુટીઓ યાદ દેવડાવવાની જરૂર નથી. સુચિત્રાએ ઉમેર્યું હતું કે તેને અઝાન સાથે કોઈજ પ્રોબ્લેમ નથી પરંતુ આખાયે મહોલ્લાને સવારે પાંચ વાગ્યે જગાડી દેવું એ કોઈ સભ્ય સમાજની નિશાની નથી.
લગભગ બે મહિના અગાઉ ગાયક સોનુ નિગમે પણ આ જ પ્રકારનો વાંધો ઉઠાવીને કહ્યું હતું કે તેને રોજ સવારે તેની નજીકની મસ્જીદમાંથી લાઉડસ્પીકર દ્વારા પોકારવામાં આવતી અઝાનથી વહેલું ઉઠી જવું પડે છે. ત્યારબાદ સોનુ પર પણ આ જ પ્રકારે શાબ્દિક હુમલો કરવામાં આવ્યો હતો.
સોનુ પર તો કેટલાક મીડિયા હાઉસ દ્વારા ખોટું બોલવાનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો અને આથી બાદમાં સોનુએ અઝાનનો વિડીયો પણ અપલોડ કર્યો હતો. ત્યારબાદ વાત એટલી બધી આગળ વધી ગઈ હતી કે છેવટે સોનુ નિગમે સળંગ ટ્વીટ કરીને પોતે ટ્વીટરના અધિકારીઓથી નારાજ છે એમ કહીને ટ્વીટર જ છોડી દીધું હતું.
eછાપું