મને મારી સેકસ્યુઆલિટી પર ગર્વ છે: કરન જૌહર

    0
    330

    કરન જૌહરને બોલીવુડના સૌથી સફળ પ્રોડ્યુસર અને ડિરેક્ટર્સમાંથી એક ગણાવી શકાય. કદાચ તેમની સફળતાને લીધે જ વિવાદો તેમની પાછળ સતત દોડતા રહેતા હોય છે. કરન જૌહરના બોલચાલના હાવભાવ તેમજ લઢણથી લોકો સતત એમની સેકસ્યુઆલિટી પર પ્રશ્નાર્થ ઉઠાવતા રહેતા હોય છે. આ અંગે કરને ભૂતકાળમાં કદાચ એકથી પણ વધુ વખત સ્પષ્ટતા કરી છે પરંતુ લોકોના પ્રશ્નો છે કે ઓછા થતા જ નથી!

    હાલમાં ઇન્ડિયન એક્સપ્રેસ અખબારને આપેલા એક ઇન્ટરવ્યુમાં કરન જોહરે ફરી એકવાર પોતાની સેકસ્યુઆલિટી અંગે ચર્ચા કરી છે. કરન જૌહરે સ્પષ્ટપણે અને ફરીએકવાર કહ્યું છે કે તેને પોતાની સેકસ્યુઆલિટી પર ગર્વ છે નહીં કે શરમ. વારંવાર આ અંગે ઉઠતા પ્રશ્નાર્થો અંગે આ મુલાકાતમાં કરને કહ્યું છે કે તેની આત્મકથા ‘An Unsuitable Boy’ આ પ્રશ્નોના કાયમી જવાબ આપી જ રહી છે. કરનનું કહેવું છે કે એક વાર પોતાની સેક્સુઅલિટી અંગે પોતાની આત્મકથામાં સ્પષ્ટતા કરી દીધા બાદ તેણે હવે આ અંગે કોઈ વધારાની ચર્ચા ન કરવાનું નક્કી કર્યું છે.

    કરનના કહેવા અનુસાર તેને કાયમ પોતાની જાત પર અને તેની લાગણીઓ પર કાયમ ગર્વ રહ્યો છે અને કાયમ કરતો રહેશે. કરને ભારપૂર્વક જણાવ્યું છે કે તે પોતાની આત્મકથાના એક એક શબ્દ સાથે આજે પણ વળગી રહ્યો છે. પરંતુ, તેણે એમ ઉમેર્યું હતું કે દુનિયામાં એવા ઘણા લોકો છે જે કોઈની અંગત પસંદ-નાપસંદ સમજી શકતા નથી. આ અંગે ઉદાહરણ આપતા કરન કહે છે કે દરરોજ સવારે તે તેના ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર તેની સેકસ્યુઆલિટી અંગે ભદ્દી કમેન્ટ્સ વાંચે છે અને તેને નવાઈ લાગે છે કે આ લોકો આવી કમેન્ટ્સ રોજરોજ ક્યાંથી લઇ આવતા હશે?

    “હું જે છું તે છું, મને તેના પર ગર્વ છે. મારી કેટલીક લાગણીઓ છે અને તે જ હું પોતે છું.”

    – કરન જૌહર

    પોતાની ફિલ્મો બનાવવાની સ્ટાઈલ અંગે પણ કરન જૌહરે આ ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી. કરનનું માનવું છે કે તે એવી જ ફિલ્મો બનાવે છે જેનાથી તેને સંતોષ મળે છે. કરન કહે છે કે જ્યારે લોકો તેને આવીને કહે છે કે તે ‘રિયલ સિનેમા’ નથી બનાવતો ત્યારે તેને પ્રશ્ન થાય છે કે ‘રિયલ સિનેમા’ એટલે ખરેખર શું છે? કરન જૌહરના માનવા અનુસાર તેને સપનાંઓ વેંચતા આવડે છે અને માટે જ તે એ પ્રકારની ફિલ્મો બનાવે છે.

    એલિટ ક્લાસના લોકો પર જ કરન જૌહર ફિલ્મો બનાવતો હોવાના આરોપ પર પણ તેણે જવાબ આપ્યો હતો. કરન જૌહરે આ આરોપ સામે પ્રશ્ન કર્યો હતો કે, “શું એલિટ ક્લાસના કે પછી પૈસાદાર લોકોને કોઈ સમસ્યાઓ હોતી જ નથી? મારા મનમાં જે બાબત આવે છે તેના પર હું ફિલ્મો બનાવું છું, મને ઢોંગ કરતા નથી આવડતું.”

    કરનનું એમ પણ કહેવું હતું કે જ્યારે જ્યારે તેણે કશુંક અલગ કરવાની કોશિશ કરી છે જેમકે ‘માય નેઈમ ઈઝ ખાન’ અથવાતો ‘બોમ્બે ટોકીઝ’ તેને નિષ્ફળતા જ મળી છે. કરન જૌહર આ અંગે હળવાશથી કહે છે કે જો તેનું નામ કરન જૌહર નહીં પરંતુ કરન કશ્યપ હોત તો કદાચ તેની આ પ્રકારની ફિલ્મો અત્યંત સફળ જાત!

    eછાપું

    તમને ગમશે: કેવિન સ્પેસી દ્વારા સત્યનો સ્વીકાર કરતાજ હોલીવુડ નો દંભ પ્રકાશ્યો

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here