બે દિવસ અગાઉ જ ભારતની સર્વોચ્ચ અદાલત એટલેકે સુપ્રીમ કોર્ટમાં ભરી અદાલતમાં ભારતના ચીફ જસ્ટિસ દીપક મિસરા અને વરિષ્ઠ પરંતુ વિવાદાસ્પદ વકીલ પ્રશાંત ભૂષણ વચ્ચે આકરી બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી એટલી હદ સુધી વધી ગઈ હતી કે ત્યાં હાજર રહેલા તમામ લોકો દંગ થઇ ગયા હતા. વાત એમ બની હતી કે સતત બે દિવસમાં બીજી વખત મુખ્ય ન્યાયાધીશે તેમનાથી જુનિયર ન્યાયાધીશો દ્વારા આપવામાં આવેલ બે અતિશય સંવેદનશીલ મામલાઓને ખુદને ટ્રાન્સફર કરી દીધા અને પછી બન્ને નિર્ણયોને રદ્દ કરી દીધા હતા.
ઉપર જણાવ્યા અનુસારનો ડ્રામા ત્યારે શરુ થયો જ્યારે શુક્રવારે ગેરલાયક ઠેરવવામાં આવેલી એક મેડિકલ કોલેજ અંગેના લાંચ લેવા અંગેનો મામલો સામે આવ્યો હતો. આ મામલામાં હાલના કેટલાક હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જજીઝની સંડોવણીના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. શુક્રવારે આ મામલે પીટીશનરના વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા થયેલી આકરી દલીલો બાદ તેઓ મુખ્ય ન્યાયાધીશ મિસરાની આગેવાની હેઠળની બેન્ચ વાળો કોર્ટરૂમ છોડીને જતા રહ્યા હતા. ભૂષણ જસ્ટિસ જે ચેલમેશ્વર અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બે બેન્ચોની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને ઉપરોક્ત બેન્ચ દ્વારા રદ્દ કરવામાં આવતા ગુસ્સે ભરાઈને કોર્ટરૂમ છોડીને જતા રહ્યા હતા.
કોર્ટની કાર્યવાહી દરમિયાન મોટી બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટની કોઇપણ કાર્યવાહી અંગે ચીફ જસ્ટિસ જ બોસ હોય છે અને એમનો નિર્ણય આખરી માનવામાં આવતો હોય છે. જસ્ટીસ ચેલમેશ્વરની બેન્ચે મામલો લાર્જર બેન્ચને સોંપવાનો ઓર્ડર આપ્યો હતો અને માનવા અનુસાર પોતાના નિર્ણયમાં તેણે બે જજીઝના નામ પણ લીધા હતા.
ચેલમેશ્વરની બેન્ચે મોટી બેન્ચને મામલો સોંપવા પાછળનો ઈરાદો એ હતી કે ગેરલાયક ઠેરવવામાં આવેલી મેડીકલ કોલેજોને એડમીશન આપવા દેવાના નિર્ણય આપવા પાછળ અમુક જજીઝને લાંચ આપવામાં આવી છે કે કેમ અને તે અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં SIT બનાવવાની જરૂર છે ખરી?
તમને ગમશે: ઓરલ સેક્સ બળાત્કાર ગણાય? ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે
આ અંગે કોર્ટમાં ચર્ચા ચાલી જ રહી હતી કે પીટીશનરના એક અન્ય વકીલ કામિની જાયસ્વાલે સીધો આરોપ મુક્યો હતો કે CBI દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેટલાક સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સીટીંગ જજીઝ પણ સામેલ છે, અને ત્યાંજ પ્રશાંત ભૂષણ દ્વારા રીતસરનો બોમ્બ ફોડવામાં આવ્યો હતો કે આ મામલામાં ચીફ જસ્ટિસ મિસરા સામે પણ FIR નોંધવામાં આવી છે.
આ સાંભળતા જસ્ટિસ મિસરા અત્યંત ગુસ્સે થઇ ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેમના કે અન્ય કોઈના વિરુદ્ધ આ મામલે FIR નોંધવામાં આવી નથી. ત્યારબાદ તેમણે ભૂષણ પર કોર્ટની અવમાનનાનો મામલો બનતો હોવાનું જણાવ્યું હતું. આ સમયે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સભ્યો પણ કોર્ટમાં હાજર હતા અને તેમણે ચીફ જસ્ટિસને સમર્થન આપ્યું હતું અને ભૂષણ અને જાયસ્વાલ એમ બંને વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવાની વિનંતી કરી હતી.
આ સમગ્ર મામલો છે ઓરિસ્સાના હાઈકોર્ટ જજ આઈ એમ કુદુસ્સીની ધરપકડનો જેમના પર આરોપ છે કે તેમણે અને અન્યો એ ઉત્તર પ્રદેશની એક મેડીકલ કોલેજને ખોટી રીતે મદદ કરી છે. આ કોલેજને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને શિક્ષણના નીચા સ્તરને ધ્યાનમાં લઈને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ અત્યંત વિવાદાસ્પદ સંજોગોમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આપેલા નિર્ણયથી આ કોલેજોમાં એડમીશન શરુ કરવા દેવામાં આવ્યા હતા. પોતાના નિર્ણયને ન ફેરવવાનો સુપ્રીમ કોર્ટનો કડક આદેશ હોવા છતાં આ બંને જજીઝ દ્વારા ઉપરોક્ત નિર્ણય અપાયો હતો.
eછાપું