એક ટીપું તેલ – એક વણમાંગી ફેશન…

8
501
Photo Courtesy: geniuskitchen.com

જેમ એક ચુટકી સિંદુરની કીમત રમેશબાબુને ન’તી ખબર એમ એક ટીપું તેલ ની કીમત આજની રસોડા ની કરીનાઓને નથી ખબર. આજકાલ બસ એક ટીપું ઓઈલ નાખી વાનગી બનાવવી એ એક ફેશન થઇ ગઈ છે, પાતળી પરમાર બનવાની હોડો જામી છે, ટ્રેક પર દોડી પ્રસ્વેદ બિંદુઓથી નીતરતી લલનાઓ ખુશ્બુ ગુજરાતણ કી ફેલાવી ને. જીમો(Gymનું બહુવચન) ને તરબતર મદમસ્ત રાખે છે. પણ કદરદાન અને મહેરબાન શું સાચે તમે ઓબેઝ છો? શું આ ઊછળકુદ અને ડાયેટો જરૂરી છે? ડીયર આંટીઝ ઇતના દૌડકે ક્યા દિલ્હી જાઓગી?? ઝરા સુન તો લો…

Photo Courtesy: geniuskitchen.com

આયુર્વેદમાં કહ્યું છે કે ચાલતી કે દૌડતી વખતે “ચલ સ્ફિક ઉદર સ્તન” અર્થાત નિતંબ, ફાંદઅને ઉરોજ વગેરે ઉપાંગો ચાલતી કે દૌડતી વખતે હલતા હલતા હોય તો તમે મેદોરોગ ના રોગી છો, જો નહીં તો બોસ મૂકી તો આ જીમ ને ડાયેટ ખાખરા. તમે એના માટે બન્યા જ નથી. આ શરીરનો શુદ્ધ મેદ છે,  તમારું બેંક બેલેન્સ છે. અમુક અંગો ઉપાંગોમાં મેદ જરૂરી છે, પહેલા વજનદાર મહિલાઓ શેઠાણીમાં ખપતી અને સુડોળ ભરેલી શીંગ જેવા શરીરો સૌન્દર્ય માં ખપતા. સમજ્યું શું ને કર્યું શું? આંખનું કાજળ ગાલે ઘસ્યું એવો ઘાટ ઝીરો ફિગરે કર્યો છે. પોષણનું કામ સ્તનની ચરબી અને ગર્ભાશયના રક્ષણનું કામ ઉદરસ્થ ચરબી આંશિક રીતે કરે છે. હા અહી એક બીજી વાત સમજવા જેવી છે કે ઘણી મહિલાઓને માત્ર હાથ ના બાવડાં વધવા, માત્ર પેડુનો ભાગ ફૂલી જવો કે માત્ર નિતંબ નો ભાગ વધવો વગેરે જોવા મળે છે. સ્ત્રીઓમાં માસિક દરમિયાન ખાવાપીવામાં ધ્યાન ન રાખવાથી પેડુ વગેરેમાં ચરબી ભરાઈ આ ભાગો ફૂલી જાય છે. માસિક વખતે ન પચે એવા ભારે કે દૂધના ખોરાક લેવાથી પચતા નથી અને તેનું ચરબી માં રૂપાંતર થાય છે. આ વખતે શરીરમાં અને લોહીમાં ખાટો ભાગ વધી જતો હોવાથી આવા ખોરાક ન લેવા અને આરામ કરવો સારો.

પ્રસુતિ પછી પણ ગર્ભાશય શુદ્ધ થાય તેવા ઉકાળા ત્રણ મહિના લેવા, છ મહિના સુધી રોજ માલીશ-શેક લેવા અને સુંઠની રાબ પીવાથી થાયરોઈડ જેવા રોગો કે મેદભરાતો નથી. વળી આવુંજ પાલન માસિક બંધ થયા પછી મેનોપોઝમાં કરવાનું રહે છે જો એમ કરવામાં આવે તો ક્યારેય મેનોપોઝ પછી વજન વધતું નથી. આયુર્વેદમાં શરીરમાં જેટલા પણ છિદ્રો છે ત્યાં બધે જ સ્નેહ-તેલ ધારણ કરવાનું કહ્યું છે. કેમકે શરીર માં બળ આપવું, ધારણ કરવું અને શરીરને ટકાવવું બધા કામ કરનારી ધાતુઓ સ્નેહ સમાન દ્રવ્યો થી જ બનેલી છે. સંદેશાઓની આપ લે કરતી નર્વસ સીસ્ટમ કે શરીરના અંતઃસ્ત્રાવો કે પછી શરીરના કોષ થી માંડીને મોટામાં મોટા અંગો સુધી બધે જ તેલ જ તેલ છે. હાડકાં મગજની અંદર તો સાંધા ની બહાર ની કેપ્સુલ બધે જ તેલ, જ્યાં તેલ ઘટ્યું ત્યાં કકળાટ ચાલુ. એ દાંપત્યજીવન હોય, ધંધો હોય કે તમારો સાંધો હોય કટ કટ અવાજ ચાલુ અને આવા તેલયુક્ત શરીરને જીવન માં એક ટીપું તેલની વાનગીઓ થી શું થવાનું? તેલ-ઘી ન ખાવાથી કોરા પડી ગયેલા હદય ધમનીઓમાં પણ કાઠીન્ય આવી હાર્ટએટેક આવી શકે. જૂના જમાનામાં માંડવે ઘી પીવા સ્પર્ધા થતી, ઘી પીનારા સ્પેશિયાલિસ્ટ ભડવીરો ને જાને જોડાતા, લચપચતા લાડુ 50-100 એક બેઠકે તમણની દાળના સબડકા સાથે પેટુડે પધરાવતા ભૂદેવો મોટી ફાંદ લઇ 80-100 વરસ એમ નેમ ખેંચી નાંખતા.

બસ કોક ના રવાડે આ શિયાળે ન ચડશો, શરીરની તાકાત વધે એવી કસરત કરો એવો તેલ યુક્ત ખોરાક લો, એટલો જ સંભોગ કરો કે એ સંબંધ પણ તૈલી રહેતાં ટકી રહે. શરીરને કામ કરવા કેટલી ગરમી જોઈએ એના માટે ઉષ્ણાંક  નક્કી કરેલા છે. હિન્દુસ્તાન જેવા ગરમ દેશમાં ઊંઘ, હળવી કસરત, રોજિંદુ કામ, નોકરી અને આરામ બધાને ગણતા આશરે 2500 થી 4000 જેટલો રોજનો ઉષ્ણાંક બેસે છે અને એ મુજબના ખોરાક માટે 60 મિલી જેટલા રોજીંદા તેલ અથવાતો ઘી લેવાના થાય છે, તો જ શરીરનું સાચું સંગઠન થાય આમાં એક ટીપાં તેલની શું વિસાત? પણ હવે તો પતિઓને પોલીઓના ટીપાં પીવડાવતી હોય એમ એક બે ટીપામાં વાનગીઓ વઘારતી ગૃહિણીઓ ક્યાંક હાર્ટએટેક, ઓસ્ટીઓઆર્થ્રારાઈટીસ, સોજા, નામર્દાઈ, ચામડીના રોગો માટે તમે પારણું બાંધી રહ્યા છો એ ના ભૂલશો. વિટામીનો ઓગાળવા માટે અને શરીરનું જીવાણું સામે રક્ષણ કરવા આ તેલરુપી સ્નેહ જ કટપ્પા બની કુદી પડે છે એને અવગણવો ભારે પડી શકે. જો વ્યન્ધ્યત્વના કારણો તપાસવા માં આવે તો ૮૦% માં જીવન અને શરીર બંન્નેમાં તેલ એટલેકે સ્નેહ નો અભાવ જોવા મળશે. તો આ સ્નેહમાં ગાય નું ઘી/માખણ અને તલનું તેલ બેસ્ટ.

શરીરે ચોળો, ખાવ પીવો બસ પચાવવાની તાકાત રાખો. બાકી મળતા બજારુ તેલો જે કોલેસ્ટેરોલ ઓછું કરવા વપરાય છે તે બધા થી ચામડી ના રોગો અને આંખ ના રોગો થાય છે. અળસીના તેલ હોય કે કસુંબી (Xફોલા) બધા પિત્ત વધારનારા સાબિત થાય છે. અમુક તેલમાં કરેલા મિશ્રણો થી જળોદર અને લકવા જેવા રોગો મહામારીના રૂપમાં ફેલાયા હોવાનું જાણવા મળેલ છે. વળી એક પ્રયોગ માં 270 સેગ્રે. પર ઉકાળેલા તેલ ઉંદર ને આપતા તેમનું વજન તો વધેલ પરંતુ તેમને કેન્સર અને લીવર ની બીમારી થયેલ એવા રીપોર્ટ પણ વાંચવા મળ્યા છે. તો આવા તેલોમાં બનાવેલ ચટાકા ખાવાનું પણ બંધ કરવું જોઈએ.

ચાર્વાક કહે છે “યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પિબેત” સુખે થી જીવો યાર.દેવું કરીને પણ ઘી પીવો. આ હાંફતી જિંદગીમાં ભગવાને શ્વાસ પણ ગણી ને આપ્યા છે, અત્યા થી વાપરી નાખશો ને કોક દી શ્વાસની પણ નોટબંધી આવી તો શું કરશો?  જો થોડું ઘણું પણ વજન વધ્યું છે તો ભૂખ્યા પેટે ચાલી ને ઉતારો. યાદ રહે જમ્યા પછી ચાલવાથી વજન વધે છે. તેના થી ચરબી બળતી નથી. 640 મિલી પાણી ને ઉકાળી 80 મિલિ રહે ત્યાં સુધી બાળી નાખો તેમાં 20 મિલી મધ ઉમેરી બે ચપટી સુંઠ નાખી પીવો. રોજ પેટ સાફ રાખો ને આખો શિયાળો ઉકાળી ને આઠમો ભાગ બાળી નાખેલું પાણી જ પીવો.

કસરતમાં બેસ્ટ એટલે સૂર્ય નમસ્કાર. તેને શરીરની તાકાત મુજબ રોજ કરો. વજન ઘટે શરીર સુડોળ બને ને મેદ તો ઓગળે ઓગળે ને ઓગળે જ. ઈંટનું બારીક ચૂર્ણ અને જવનું ચૂર્ણ બનાવી નિતંબ જેવા વધુ ચરબીમય ભાગો ઉપર સહેજ તલના તેલનો હાથ લગાવી રુંવાડાની ઉલટી દિશામાં ઘસો બહેનો, તમારો મેદ ચોક્કસ ઓગળશે. અવન, ફ્રીઝ, બારીક લોટના વપરાશ ઘટાડો અને જવની રોટલી અને ધાન્યો શેકી તેની વેજીટેબલ ખીચડી બનાવી ખાવ. ભૂખ્યા રહેવા કરતા પેટ ભરાઈ જાય પણ લુખ્ખાં હોય તેવા ધાન્યો ખાઈ વજન કમ કરો પણ આડેધડ ઉપવાસ, જીમ અને ડાયેટ કરવાથી બકરું કાઢતા ઊંટ પેસી ના જાય તે જોજો.

તો બસ આ શિયાળે બધી બાબતોમાં કોક ના રવાડે ન ચઢતા… ને પેલું એક ટીપું ઓઈલ કુકિંગ ને તિલાંજલિ આપી દેજો બસ…

eછાપું

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here