વાંચીને નવાઈ લાગે પરંતુ આ સત્ય છે. હવેથી ગેંડા નો શિકાર કરીને તેના શિકારીઓને ભાગી જવું એટલું સરળ નહીં રહે. એક નવી શોધ અનુસાર હવે આફ્રિકામાં ગેંડાનો એક વ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે જેના થકી ગેંડાના શિકારીઓને પણ પકડવામાં મદદ મળશે.
આફ્રિકામાં હાલમાં સફેદ ગેંડાની સંખ્યા વધી રહી છે અને તે લગભગ 20,000 જેટલી છે જ્યારે કાળા ગેંડા આફ્રિકન જંગલોમાં હવે માત્ર 5,500 જેટલા જ બચ્યા છે. ચિંતાનો વિષય એ છે કે આ બંને ગેંડાનો અવિરત શિકાર આજે પણ ચાલુ છે. કોઈ એશિયન આયુર્વેદ પદ્ધતિનો હવાલો આપીને એવું કહેવામાં આવે છે કે ગેંડાના શીંગડામાં એવી શક્તિ છે કે જેને ઔષધીમાં વાપરવાથી મોટી બીમારીઓ દૂર થઇ શકે છે.
આટલું જ નહીં અમુક સમય અગાઉ એવી અફવા પણ ફેલાવવામાં આવી હતી કે વિયેતનામના કોઈ રાજકારણીને કેન્સર થયું હતું અને તેમણે ગેંડાના શીંગડામાંથી બનેલી ઔષધીનો ઉપયોગ કર્યો હતો અને હવે તેઓ કેન્સરમુક્ત બન્યા છે. ટૂંકમાં કહીએ તો ગાંડાના ગામ ન વસે એવી હાલત છે પરંતુ તેનાથી વિશ્વભરમાં ગેંડાની સંખ્યા સતત ઘટી રહી છે.
તમને ગમશે: PMUY – આતંકવાદ ગ્રસિત જમ્મુ કાશ્મીરના લોકોના ઘા રૂઝવવાનો પ્રયાસ
2016માં માત્ર સાઉથ આફ્રિકામાં કુલ 1,052 ગેંડા શિકારીઓનો ભોગ બન્યા હતા. ત્યારબાદ સાઉથ આફ્રિકાની વિવિધ યુનિવર્સીટીઓએ ભેગા થઈને જીવિત ગેંડાનો DNA એકઠો કરવાનું શરુ કર્યું હતું. આ નવી શોધ પર વધુ માહિતી એકઠી કરી કર્યા બાદ ખ્યાલ આવ્યો કે આ શોધ કેટલી સટીક છે.
અત્યારે આ શોધકર્તાઓ પાસે ગેંડાનો એટલો વિશાળ ડેટા ઉપલબ્ધ છે કે તેઓ કયુ શીંગડું કયા ગેંડા માંથી લેવામાં આવ્યું છે તે નક્કી કરી શકે છે અને તેના દ્વારા જ તેઓ શિકારીઓને આસાનીથી પકડી શકે છે. આ પાછળનું એક કારણ એ છે કે પકડાયેલા શિકારીઓ ક્યારેય પોતાની પાસે રહેલા ગેંડા ના શીંગડા પોતે મારેલા ગેંડા ના હોવાનો સ્વીકાર કરતા નથી.
આ સમગ્ર સિસ્ટમને રહાઈનોસોરસ DNA ઇન્ડેક્સ સિસ્ટમ અથવાતો RhODIS કહેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા લગભગ સાત વર્ષ અગાઉ શરુ કરવામાં આવી હતી અને અત્યારે આ ડેટાબેઝમાં 20,000થી પણ વધારે ગેંડાના DNA સેમ્પલ્સ એકઠા કરવામાં આવ્યા છે. આં સમગ્ર ડેટા ભવિષ્યમાં જે-તે ગેંડા સાથે ફોરેન્સીક પૂરાવા તરીકે કામમાં લાગી શકશે.
અત્યારસુધીમાં આ DNA ડેટાબેઝ 120 ક્રીમીનીલ કેસમાં કામમાં આવ્યા છે. આ ડેટાબેઝને પ્રથમ સફળતા 2011માં મળી હતી જ્યારે એક કેન્યન યુવાનના ઘરની કાર્પેટ પરના લોહી સાથે મરેલા ગેંડા ના શીંગડાનું DNA મેચ થયું હતું.
જો કે ગેંડાના શરીરમાં સતત બદલાવ આવતો રહેતો હોય છે અને આથી શોધકર્તાઓ માને છે કે તેમણે વધુને વધુ સંખ્યામાં ગેંડા ના DNA સેમ્પલ્સ લેવા જરૂરી છે. આમ થવાથી વધુને વધુ ગુનેગારોને સજા અપાવી શકાશે.
eછાપું