દેશના ઉદારમતવાદીઓ પોતાની જાતને લોકશાહીના સાચા રખેવાળ સમજતા હોય છે એટલુંજ નહીં એ પ્રમાણે જાહેરમાં દેખાવ પણ કરતા હોય છે. પરંતુ જ્યારે લોકશાહી મુલ્યોની પરીક્ષા થાય છે ત્યારે તેમનો અસલી રંગ ખુલ્લો પડે છે અને તેઓની દાદાગીરી પણ સામે આવે છે. આવો જ એક બનાવ ગઈકાલે ચેન્નાઈ ખાતે ગુજરાતના નવનિર્વાચિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પત્રકાર પરીષદમાં બન્યો હતો.
જીગ્નેશ મેવાણી ચેન્નાઈમાં કાઇદ-એ-મિલ્લત ઇન્ટરનેશનલ એકેડમી ઓફ મીડિયા સ્ટડીઝમાં શિક્ષકો, ચળવળકારો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા આવ્યા હતા. આ કાર્યક્રમ બે કલાકનો હતો અને ત્યારબાદ જીગ્નેશ મેવાણીએ પત્રકારોને સંબોધિત કરવાના હતા. જ્યારે આ પત્રકાર પરીષદમાં જીગ્નેશ મેવાણી બેઠા અને વિવિધ પત્રકારો તેમના માઈક ટેબલ પર મુકવા માંડ્યા ત્યારે જીગ્નેશે અચાનક જ પૂછ્યું કે ‘રિપબ્લિક ટીવીના પત્રકાર કોણ છે? હું રિપબ્લિક ટીવી સાથે વાત નથી કરવાનો.”
જીગ્નેશના આમ કહેવાથી પત્રકારોએ જણાવ્યું કે આ એક જનરલ પ્રેસ કોન્ફરન્સ છે અહીં તમારે કોઈ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપવાનો નથી. જેના જવાબમાં જીગ્નેશે એવું કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે રિપબ્લિક ટીવી સાથે વાત ન કરવી એ તેની પોલીસી છે કારણકે આ ચેનલ અર્નબ ગોસ્વામી ચલાવી રહ્યા છે. આથી માઈક દૂર કરો નહીં તો તે કોઈ જ જવાબ નહીં આપે. આ સમયે ટાઈમ્સ નાઉના પત્રકાર શબ્બીર અહમદે જીગ્નેશને જવાબ આપ્યો કે, “તમે નક્કી ન કરી શકો કે કોણ અહીં રહેશે અને કોણ નહીં. કાં તો બધા જ હાજર રહેશે અન્યથા કોઈજ નહીં.” શબ્બીર અહમદનું આમ કહેવાથી અન્ય પત્રકારોને પણ પ્રોત્સાહન મળ્યું અને તેમણે તેમના સૂરમાં સૂર પૂરાવ્યો. બસ પોતાની દાદાગીરી અહીં નહીં ચાલે એમ દેખાતા જીગ્નેશ મેવાણીએ ત્યાંથી તરતજ ચાલતી પકડી હતી.
સામાન્યરીતે મેઈન સ્ટ્રીમ મીડિયાનો જોરદાર વિરોધ કરતા સોશિયલ મીડીયાએ ચેન્નાઈના પત્રકારોના આ વ્યવહારનું સ્વાગત કર્યું હતું. જ્યારે જીગ્નેશ મેવાણીના લેફટીસ્ટ અને દેશવિરોધી એજન્ડા ચલાવતા મિત્રોએ આ પત્રકારોની ટીકા કરી હતી. કોઇપણ બાબતે ટીકા કે પછી સમર્થન હોય તેમાં નવાઈ નથી, પરંતુ જીગ્નેશ મેવાણીની દાદાગીરીના સમર્થનમાં આવનારાઓ નો ચહેરો ફરીથી ખુલ્લો પડી ગયો હતો.
તમને ગમશે: આજે રીલીઝ થયેલી CD નો એક્સક્લુઝિવ રિવ્યુ
ઉપર જણાવ્યું તેમ આ તમામ લોકો પોતાને લોકશાહીના મૂલ્યોના રખેવાળ ગણતા હોય છે અને જમણેરી વિચારધારા ધરાવતા લોકોને લોકશાહીના ભક્ષક, પરંતુ જ્યારે મોકો મળે ત્યારે આ જ લોકો લોકશાહીના સ્તંભ એવા પત્રકારોનું ગળું દબાવી દેતા શરમાતા નથી.
જીગ્નેશ મેવાણી અને રિપબ્લિક ટીવીનો ઝઘડો ત્યારે સામે આવ્યો હતો જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ જીગ્નેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો હતો અને રિપબ્લિક ટીવીના પત્રકારે જ્યારે તે આ અંગે માફી કેમ નહીં માંગે તેમ પૂછતાં જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાનને વધુ ખરાબ શબ્દો ઓન કેમેરા કહી દીધા હતા. આમ પોતાના ખરાબ વર્તનને ખુલ્લું પાડનાર ચેનલ વિરુદ્ધ જીગ્નેશ મેવાણીએ બોયકોટ કરવાનું નક્કી કરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.
હજીતો જીગ્નેશ મેવાણીએ વિધાનસભ્ય તરીકેના શપથ પણ નથી લીધા અને ત્યારે જ તેનું આવું વર્તન છે તો શપથ લીધા બાદ શું કરશે? એ વિચારવા જેવું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાતના કેટલાક લિબરલ અને સામ્યવાદીઓએ જીગ્નેશ મેવાણીમાં પોતાનો ઉધ્ધારક જોયો હતો તેઓ પણ લોકશાહીના સ્તંભ એવા મીડિયાના એક ભાગ એવા રિપબ્લિક ટીવી પરની તેની દાદાગીરી અંગે એકદમ ચૂપ રહેશે જ એમાં શંકાને કોઈજ સ્થાન નથી.
eછાપું
વાહ સરસ છણાવટ…