સુપ્રીમ કોર્ટનો કાવેરી નદી જળ વિવાદ પર ચુકાદો આવ્યો કે તમિલનાડુને અગાઉ મળતાં કુલ 419 TMC પાણીમાંથી 14.75 TMC પાણીનો જથ્થો કર્ણાટકને આપવામાં આવશે. કેરળ અને પુડુચેરી પણ પાણીની માગણી કરી રહ્યા હતાં. મુખ્ય વિવાદ તમિલનાડુના શેરડી પકવતાં ખેડૂતો, કર્ણાટકના ખેડૂતો અને બેંગલુરુના લોકોની પીવાના પાણીની સમસ્યા વચ્ચે હતો.
ફ્લેશબેકમાં જઈએ તો કાવેરીનો જળ વિવાદ વર્ષો જૂનો છે. વર્ષ 1892માં મદ્રાસ સ્ટેટ અને મૈસુર રેસિડેન્સી વચ્ચે સંધિ થઈ હતી અને થોડા વર્ષો બરોબર ચાલ્યું અને ફરી 1924માં અંગ્રેજો દ્વારા બંને વચ્ચે સંધિ કરાવામાં આવી અને સંધિનો સમય ગાળો રાખ્યો 50 વર્ષનો એટલે હવે 1974થી વિવાદ ફરી જન્મ્યો. આઝાદ ભારતના બે રાજ્યો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે. કાવેરી ટ્રીબ્યુનલની સ્થાપનાં કરવામાં આવી. પ્રશ્નો ઉકેલવા સમજૂતી કરી પણ એમાં સફળતા મળી નહીં, વચ્ચે ઘણી અણગમતી ઘટનાઓ બનતી રહી અને અંતે 2016માં વિવાદની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ.
આ દરમિયાન કર્ણાટક અને તમિલનાડુમાં વિરોધ પ્રદર્શન થતાં હતાં. કન્નડ લોકો દ્વારા પોતાની જ કર્ણાટકની સરકાર સામે લોહિયાણ પ્રદર્શનો થયાં એનું કારણ કાવેરીનું પાણી ખેડૂતોને ઓછું અને કાવેરીથી 100 કિમી દૂર આવેલ બેંગલુરુને આપવામાં આવતું હતું. આંતરરાજ્ય વિવાદનું સ્થાન હવે પ્રાદેશિક વિવાદે લઈ લીધું હતું.
તમને ગમશે: ભક્ત અંધ જ હોય પણ દ્વેષીને ચાર આંખો છે
બેંગલુરુ એટલે સિલિકોન વેલી અને સિટી ઓફ લેક. તમને પ્રશ્ન થશે કે જો બેંગલુરુને સિટી ઓફ લેક કહેવાતું હોય પછી તો પાણીની સમસ્યા કંઈ રીતે થઈ? બેંગલુરુ દરિયાની સપાટીથી 900મી ઊંચું આવેલું છે અને 272 જેટલાં નાના મોટા તળાવો ધરાવતું હતું. 272 તળાવોમાંથી આજે માત્ર 70 જેટલાં તળાવો બચ્યાં છે! તળાવોની સંખ્યા ઘટવા પાછળનું કારણ બેંગલુરુમાં વધી રહેલી વસ્તી અને સિટીથી દૂર વસાહતો ન બનાવી અને સિટીની અંદર જ તળાવો ને દાટીને વસાહતો ઊભી કરવાનો નિર્ણય હતો. પરિણામે પાણીના સ્ત્રોતમાં ઘટાડો થયો અને છેક 100 કિમી દૂર આવેલ કાવેરી નદીમાંથી પાણી બેંગલુરુને મોકલવામાં આવે એવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો.
બેંગલુરુમાં આવેલ બેલાન્દુર તળાવમાં 2015માં આગ લાગી હતી અને ફરીથી 2017માં આગ લાગી હતી! પાણીમાં પણ આગ લાગે અને એ પણ ભારતના ટોપ મોસ્ટ સિટીમાં , અહીંયા તો દૂરથી ડુંગર રળિયામણા. સ્માર્ટ કહેવાતાં સિટીમાં ગંદાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી, સિવેજ પ્લાન્ટ નથી, ઇન્ડસ્ટ્રીઝના પ્રદૂષિત પાણી ને તળાવમાં છોડયાં વગર બીજો કોઈ ઉપાય ન હોવાથી તળાવોમાં છોડી દેવામાં આવે છે એવું નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના રિપોર્ટમાં જણાવાયું હતું. તળાવોમાં સિવેજ મિથેન ગેસ ,ડિટરજન્ટમાં રહેલ ફોસ્ફરસ અને ઇન્ડસ્ટ્રીઝના કચરાથી વિવિધ ગેસો ઉતપન્ન થાય અને ગરમી મળવાને લીધે પાણીમાં આગ લાગે છે. અવારનવાર પાણીની સપાટી પર સફેદ રંગની ચાદર ફેલાઈ જતી જોવા મળે છે.
સુપ્રીમ કોર્ટે કાવેરી જલવિવાદનો ચુકાદો મુખ્યત્વે બેંગલુરૂમાં પાણીની તંગી અને તમિલનાડુમાં રહેલ પાણીના ભૂસ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો કે પછી કર્ણાટકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને !
હવે કોને ન્યાય અને કોને અન્યાય ?
~મોજપુત્ર’આનંદ’
eછાપું