ગરમીના દિવસોમાં સૌથી વધુ ઈચ્છા જુદીજુદી જાતના પીણાં પીવાની થતી હોય છે. જ્યારે આપણા શરીરમાં પાણી ઓછું થાય છે ત્યારે આપણને તરસની અનુભૂતિ થાય છે, જેને લીધે આપણે પ્રવાહી લેવા માટે જરૂરી ક્રેવિન્ગ્સ અનુભવીએ છીએ. ઉપરાંત આપની શરીર રચના જ એવી છે કે જો આપણે પીણાંને સંપૂર્ણપણે અવગણીએ તો તે મોતના મુખમાં જવાનો સૌથી ઝડપી રસ્તો છે એમ કહીએ તો ચાલે! જળ એ જીવન પણ છે અને ઘણા રોગોનું વાહક પણ છે.

માનવ ઇતિહાસમાં પાણી અને દૂધ એ મૂળભૂત પીણાં છે પરંતુ જેમ જેમ માનવ જાતિમાં પરિવર્તન આવતું ગયું તેમ તેમ નવી નવી રીતથી તેમ જ આસપાસના પાન-ફળ-ફૂલ પરથી નવી નવી જાતના પીણાં બનતા ગયા. મનાય છે કે વાઈનનો પહેલવહેલો ઉપયોગ ઈ.સ. પૂર્વે 6000માં જ્યોર્જિયામાં થયેલો, તો ઈ.સ. પૂર્વે 1500ની આસપાસ ચાનો ઉપયોગ, મેડીસીનલ ડ્રીંક તરીકે, ચાઈનામાં શાંગ સામ્રાજ્યમાં થયો હતો.
પીણાં બનાવવાની પ્રક્રિયાના અલગ અલગ રીતે હોઈ શકે છે, જેમાના અમુક અહી જોઈશું:
- પાણીનું શુદ્ધિકરણ: પાણી એ મોટાભાગના પીણા માટે મહત્વની સામગ્રી છે, પરિણામે તેનું ફિલ્ટરેશન કે ક્લોરીફીકેશન કરવું જરૂરી બની જાય છે. આ રીતે પાણીજન્ય રોગથી મુક્તિ પણ મળી જાય છે.
- પેસ્ટચરિઝેશન: આ પ્રક્રિયાથી જીવાણું દૂર કરવામાં આવે છે, આ સામાન્ય રીતે દૂધ અને દૂધનાં ઉપયોગથી બનતા અન્ય પીણાં માટે વાપરવામાં આવે છે.
- જ્યુસિંગ: ફળો કે શાકભાજીનો રસ કાઢીને તેને પીણાં તરીકે ઉપયોગમાં લેવાની પદ્ધતિ
- ઇન્ફ્યુશન: આ એવી પ્રક્રિયા છે જેમાં વનસ્પતિના કોઈ ભાગને કે જેમાં ફ્લેવર રહેલી છે તેને પાણીમાં લાંબો સમય રહેવા દેવામાં આવે છે જેને કારણે જે-તે ફ્લેવરનો પાસ પાણીમાં બેસે છે. ચા કે કોફીને આના ઉદાહરણ તરીકે લઇ શકાય. આજકાલ લોકો કાકડી કે ફળ કે પછી અન્ય કોઈ શાકભાજીને પાણીમાં ઉમેરીને તેને પાણીની જગ્યા લે છે. આ રીતે તૈયાર થતા પીણાં એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.
- કાર્બોનેશન: અહી જે-તે ફ્લેવરના પીણાંમાં કાર્બન-ડાયોક્સાઈડ ઉમેરવામાં આવે છે, જેથી ફ્લેવરમાં એક ફીઝ પેદા થાય છે. સોડા, પેપ્સી-કોલા વગેરે આ પ્રકારના પીણાં છે.
પાણી અને દૂધ પહેલેથી જ માનવજાત માટે મૂળભૂત પીણાં રહેલા છે. ગરમીના દિવસોમાં આમપણ સાદું પાણી પીવા કરતા કઈક અવનવું પીવાની ઈચ્છા થતી રહેતી હોય છે, તેવામાં કાર્બોનેશનની પ્રક્રિયાથી બનેલા પીણાં આ તરસ બૂઝાવવા કરતા તરસ વધારવાનું કામ વધારે કરતા હોય છે. તેથી જ આજે આપણે આ ઉનાળામાં કામ લાગે એવા અલગ અલગ પ્રકારના પીણાં જોઈશું.
રોઝ એન્ડ વેનીલા વોટર:
સામગ્રી:
દેશી ગુલાબની પાંદડી
1 વેનીલા સ્ટીક
પાણી, જરૂર મુજબ
રીત:
- ગુલાબની પાંદડી અને વેનીલા સ્ટીકને એક મોટા જગમાં લો.
- હવે તેમાં પહેલા થોડું પાણી ઉમેરો અને વેલણ કે વલોણીની મદદથી પાંદડી અને વેનીલાને સહેજ છૂંદો.
- હવે બાકીનું પાણી ઉમેરી, જગને ફ્રીજમાં કે કોઈ ઠંડી જગ્યા એ 24 કલાક માટે રહેવા દો.
- બીજા દિવસે મસ્લીન ક્લોથ વડે પાણીને ગાળી લો. થોડી પાંદડીને રહેવા દો.
- એકદમ ઠંડુ પીરસો.
કેસર ચંદન શરબત:
સામગ્રી:
1/2 ચમચી ચંદનની પેસ્ટ (1/4 ચમચી ચંદન પાઉડરમાં ¼ ચમચી પાણી ભેળવી, બરાબર મિક્સ
કરવું)
2 ચમચી કેસરનાં તાંતણા
4 ટેબલસ્પૂન લીંબુનો રસ
6 ટેબલસ્પૂન ખાંડ
1/4 ચમચી એલચી પાવડર
રીત:
- સાથે એક નાની વાટકી માં થોડું ગરમ પાણી લઇ કેસર ગરમ કરો અને તે ઓગળે ત્યાં
સુધી ઘસતા રહીને હલાવો.
- એક મોટા બાઉલમાં કેસરનું મિશ્રણ ઉમેરી તેમાં ચંદનની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, એલચી
પાવડર અને સારી રીતે મિક્સ કરો.
- ગ્લાસમાં રેડી, ઉપરથી ક્રશ કરેલો બરફ નાખી, સર્વ કરો.
વોટરમેલન-કોકોનટ એગ્વા ફ્રેસ્કા:
સામગ્રી:
1 તરબૂચ, ટુકડા કરેલું (લગભગ 5 કપ જેટલું)
4 કપ નારિયેળ પાણી
2 ટેબલસ્પૂન લીંબુનો રસ
રીત:
- તરબૂચને બ્લેન્ડરમાં ફેરવી, તેની પ્યુરી બનાવી લો. આ પ્યુરીને બરાબર ગાળી લો જેથી ફક્ત જ્યુસ રહે. બાકીનો પલ્પ ફેંકી દો.
- હવે તેમાં નારિયેળ પાણી અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી દો.
- મિશ્રણને જગમાં ભરી, ઓછામાં ઓછું 1 કલાક માટે ઠંડુ થવા દો.
- બરફ સાથે ઠંડુ ઠંડુ સર્વ કરો.
eછાપું