ભારતના વરિષ્ઠ નાગરિકોએ ભારતીય રેલવેનું 77 કરોડનું નુકશાન અટકાવ્યું

0
378
Photo Courtesy: freepressjournal.in

જે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લંડન ખાતેનો ‘ભારત કી બાત, સબકે સાથ’ કાર્યક્રમ જોયો હશે તેમને વડાપ્રધાનની વરિષ્ઠ નાગરિકો અંગેની એક ખાસ પ્રશંસા ધ્યાનમાં આવી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વરિષ્ઠ નાગરિકોની એમ કહીને પ્રશંસા કરી હતી કે 40 લાખ નાગરિકોએ Give It up Scheme હેઠળ ફાળો આપીને દેશ પ્રત્યેની પોતાની નિષ્ઠા બતાવી છે. આ પ્રશંસા કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈશારો એ 40 લાખ વરિષ્ઠ નાગરિકો પ્રત્યે હતો જેમણે પોતાને રેલવે ટિકિટ પર મળતા કન્સેશનનો લાભ સ્વિકાર્યો ન હતો.

Photo Courtesy: freepressjournal.in

વડાપ્રધાનના ભાષણના બીજા દિવસે ભારતીય રેલવેએ આધિકારિક રીતે જણાવ્યું હતું કે દેશના 40 લાખ નાગરિકો દ્વારા Give It Up યોજના હેઠળ કન્સેશનલ ભાવે ટિકિટ ન લેતા સામાન્ય દરે જ ખરીદતા ભારતીય રેલવેના લગભગ 77 કરોડ રૂપિયા બચાવ્યા છે. 15 ઓગસ્ટ 2016ના દિવસે આ સ્કિમ શરુ કરવામાં આવી હતી અને 31 માર્ચ 2018 સુધીના આંકડા દર્શાવે છે કે દેશના એ વરિષ્ઠ નાગરિકો જેમને રેલવે ટિકિટના સામાન્ય દર પોસાય છે તેમણે રાહત દરની ટિકિટ ન લઈને રેલવેને લાખો રૂપિયાની બચત કરાવી આપી હતી.

હાલમાં 60 વર્ષ કે તેથી વધારે વયના પુરુષ મુસાફરને ભારતીય રેલવેમાં સફર કરવા માટે ટિકિટ પર 40 ટકા કન્સેશન આપવામાં આવે છે, જ્યારે 58 વર્ષ કે તેનાથી વધારે વયની મહિલા મુસાફરને 50 ટકા જેટલો લાભ ટિકિટના દરમાં થાય છે. એક આંકડા અનુસાર રેલવે માત્ર સિનીયર સિટીઝન્સને જ નહીં પરંતુ અન્ય કેટલીક કેટેગરીઓમાં પણ કન્સેશન આપે છે અને આ માટે તેના પર દર વર્ષે રૂ. 30,000 કરોડનો સબસિડી બોજ આવે છે.

તમને ગમશે: શ્રીદેવીએ કરેલા ‘બિજલી’ ના ચમકારાથી એ પોતે પણ બચી શકી નહીં

ઉપરોક્ત રકમમાંથી વરિષ્ઠ નાગરિકો ઉપરાંત, સ્પોર્ટ્સ પર્સન્સ અને અપંગો માટે અપાતા કન્સેશનનું મુલ્ય રૂપિયા 1,600 કરોડ થવા જાય છે અને તેમાં પણ સિનીયર સિટીઝન્સને અપાતું કન્સેશન સહુથી વધુ એટલેકે રૂપિયા 1,300 કરોડ થાય છે. આ જ કારણોસર વડાપ્રધાને દેશના વરિષ્ઠ નાગરિકોને Give It Up માટે ખાસ અપીલ કરી હતી.

બે વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વરિષ્ઠ નાગરિકોને જો તેમને સામાન્ય દરની ટિકિટ પોસાતી હોય તો રાહત દરની ટિકિટ ખરીદવાનો લાભ જતો કરવાની અપીલ કરી હતી. ત્યારથી જ ઓનલાઈન કે ઓફલાઈન રેલવે ટિકિટ બુકિંગમાં આ વિકલ્પ સિનીયર નાગરિકોને આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.

જેમ વડાપ્રધાનની અપીલથી દેશમાં ગેસ કનેક્શન પર મળતી સબસિડી લાખો સંપન્ન પરિવારોએ જતી કરી તેમ દેશના વરિષ્ઠ નાગરિકો પણ દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવવા આગળ આવ્યા અને રેલવેને કરોડો રૂપિયાનું થઇ રહેલું નુકશાન ઓછું કરવામાં પોતાનો મહત્તમ ફાળો આપ્યો છે.

દેશના વરિષ્ઠ નાગરિકોને સો સો સલામ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here