બચત માટેની શરૂઆત બેંકમાં ખાતું ખોલાવવાથી થાય છે અને એથી બચત કરવા બેંકમાં ખાતું હોવું ઘણું જરૂરી છે એમાં પણ જો ફિક્સ્ડ ડીપોઝીટ હોય તો તો ભયો ભયો. eછાપુંના વાચકોનું બેંકમાં ખાતું હોવાનું હું માની જ લઉં છું, પરંતુ હું એક સ્ટેપ આગળ જઈને કહીશ કે ઘરના તમામ સભ્યોનું અરે ત્રણ વર્ષના નાના બાળકનું પણ બેંક ખાતું હોવું જ જોઈએ. બાળકને વર્ષગાંઠ જેવા પ્રસંગે મળતી રોકડ ભેટ ને એના ખાતામાં જમા કરી અને એના ખાતામાં અવારનવાર થોડાઘણા પૈસા જમા કરતા રહેવું જોઈએ એથી એ પુખ્ત થાય ત્યારે એનું સારુએવું કેપિટલ થઇ જાય. વળી આવકવેરાની દ્રષ્ટિએ પણ એ જો આવક રળતું થઇ જાય તો એમાં કર બચત થતી હોય છે.
દર મહિનાની આવક બેંકમાં જ જમા કરવાથી અને જરૂર હોય એટલા જ પૈસા બેંકમાંથી કાઢતા રહેવાથી બેંકમાં આપમેળે બચત થાય છે. બેંકમાં જયારે સારીએવી રકમ જમા થાય એટલેકે રૂપિયા દસ હજાર કે પચ્ચીસ હજાર જેટલી એટલે એની તુરંત જ ફિક્સ્ડ ડીપોઝીટ કરી દેવી જોઈએ કારણકે બેન્કના બચત ખાતા પર આખા મહિનાની ઓછામાંઓછી રકમ પર આશરે ત્રણ થી સાડાત્રણ ટકા વ્યાજ મળે છે જયારે ફિક્સ્ડ ડીપોઝીટ પર હાલના દરે લગભગ સાડાછ થી સાત ટકા વ્યાજ મળે છે. બેંકમાં ફિક્સ્ડ ડીપોઝીટ મુકવી એટલે જ બચતનું રોકાણ કરવું એવો અર્થ થાય.
તમારી બચતનો આનાથી પણ વધારે ફાયદો જોઈતો હોય તો શક્ય હોય ત્યાં સુધી બેંકમાં રીકરીંગ ડીપોઝીટ ખાતું ખોલાવી દેવું જોઈએ એટલેકે દર મહીને રૂપિયા એક હજાર કે બે હજાર એક વર્ષ માટે કે બે થી ત્રણ વર્ષ માટે આ રીકરીંગ ખાતામાં તમારા બેંક ખાતામાંથી આપમેળે જમા થતા રહે અને એના પર પણ છ થી સાત ટકા વ્યાજ મળે. ત્યારબાદ જયારે આ રીકરીંગ ડીપોઝીટ પાકે કે તુરંત એની ફિક્સ્ડ ડીપોઝીટ કરી દેવાની
બેંક ફિક્સ્ડ ડીપોઝીટ એ તમારું ઈમરજન્સી ફંડ છે દરેક વ્યક્તિનું એક ઈમરજન્સી ફંડ તો હોવું જ જોઈએ આ ફંડ કેટલું હોવું જોઈએ ?
તમારી માસિક આવકના ત્રણ મહિના જેટલું અથવા તમારા માસિક ખર્ચના છ મહિનાના ખર્ચ જેટલું એક ઈમરજન્સી ફંડ હોવું જોઈએ. જો તમારી માસિક આવક અનિયમિત હોય તો આ ફંડ માસિક ખર્ચના એકાદ વર્ષ જેટલું હોવું જોઈએ જેથી વર્ષભર ખર્ચ માટે પૈસા કયાંથી આવશે એની ચિંતા ટળે. એકાદ વર્ષનું ઈમરજન્સી ફંડ તમને નવી નોકરી લેતી વખતે તમારો પગાર બાબત બાર્ગેઈંગ પાવર વધારે છે અને જો નવી નોકરી ના ફાવે તો બીજી નોકરી શોધવામાં હિમ્મત આપે છે. આમ ફિક્સ્ડ ડીપોઝીટ વિવિધ રૂપે ઉપયોગી થઇ પડે છે
ફિકસ્ડ ડીપોઝીટનો એથી પણ મોટો ફાયદો એટલે એની સામે બેંક તમને ઓવરડ્રાફ્ટ સવલત આપે છે. જે ફિક્સ્ડ ડીપોઝીટની રકમના 75 ટકા જેટલી હોય છે ધારોકે તમારી રૂપિયા એક લાખની ફિક્સ્ડ ડીપોઝીટ છે તો બેંક તમને રૂ 75,000 સુધીની ઓવરડ્રાફ્ટ સવલત આપે છે એટલે કે તમે એની સામે રૂ ૭૫ હજાર ટુંકા ગાળા માટે વધુમાં વધુ લોન પેઠે લઇ શકો છો. અને બેંક એની સામે જેટલો ઓવરડ્રાફ્ટ લીધો હોય એ રકમ પર ફિક્સ્ડ ડીપોઝીટ પર મળતા વ્યાજ કરતા માત્ર બે ટકા વધુ વ્યાજ વસુલે છે. એથી જો અહી રૂપિયા એક લાખની ડીપોઝીટ પર તમને બેંક સાત ટકા વ્યાજ આપતી હોય તો એ ઓવરડ્રાફ્ટ પર તમારી પાસે ૯ ટકા વ્યાજ લેશે. તમારી માસિક આવક આ ઓવરડ્રાફ્ટ ખાતામાં જમા કરો તો એટલું વ્યાજ ભરપાઈ થઇ જાય અને વ્યાજ એટલું ઓછુ લાગે.
આ ઓવરડ્રાફ્ટ સવલત તમે શેરમાં કે મ્યુચ્યુઅલફંડ ના SIP માં રોકાણ કરવા કરી શકો કે જ્યાં તમને વળતર ૯ ટકાથી પણ વધુ મળે છે એટલેકે લગભગ દસ થી બાર ટકા જેટલું. ધંધાદારીઓ આ ઓવરડ્રાફ્ટ સવલત વર્કિંગ કેપિટલ માટે વાપરી શકે છે. કેશ ક્રેડીટ લોન કરતા આમાં વ્યાજ ઓછું લાગે અને ફિક્સ્ડ ડીપોઝીટ પર જે વ્યાજ મળે એ ઓવરડ્રાફ્ટ પર વ્યાજની ચુકવણી સરભર થઇ જાય આમ ખિસ્સામાંથી વ્યાજનો મારો નથી પડતો.
મોટાભાગે આ ઓવરડ્રાફ્ટ સવલત માટે બેંક કરંટ એકાઉન્ટ ખોલવાનો આગ્રહ રાખે છે પણ એથી કઈ ફરક નથી પડતો તો ય એ સગવડભર્યું છે. તમે કરંટ એકાઉન્ટ ખોલી ઓવરડ્રાફ્ટ સવલત લો અને તમારી માસિક આવક અને ફિક્સ્ડ ડીપોઝીટનું વ્યાજ આ કરંટ એકાઉન્ટમાં જમા કરાવો તો એ ઓવરડ્રાફ્ટ લોનની ભરપાઈ થતી રહે છે. આ રકમ તમારું વ્યાજ ચુકવણી બચાવે છે વ્યાજની બચત એ વ્યાજની આવક થઇ આમ તમે વધુ આવક મેળવી શકો છો
હા યાદ રહે કે આ ઓવરડ્રાફ્ટ સવલત તમારે હોટલ ખર્ચ કે શોપિંગ જેવા ખર્ચા માટે વાપરવી ના જોઈએ નહીં તો વ્યાજનો મારો પડે છે અને આ ખર્ચ એટલો મોંઘો થાય છે.
મારા મતે દરેક વ્યક્તિએ ઓછામાંઓછા રૂપિયા પાંચ લાખની ફિક્સ્ડ ડીપોઝીટ લઇ એની સામે આ ઓવરડ્રાફ્ટની સગવડ લઇ જ લેવી જોઈએ જેથી ઇમરજન્સીમાં રોકાણની તકનો લાભ લઇ શકાય
આમ તમે ફિક્સ્ડ ડીપોઝીટ દ્વારા તમારા બેંક ખાતાનો મહત્તમ ઉપયોગ કરી શકો છો.
આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
eછાપું
તમને ગમશે: તમે કેવા?? – વર્ણવ્યવસ્થા પર સવાલ કરતી એક લઘુકથા