લગ્ન પછી સરનેમ બદલાય તો શું સ્ત્રીની ઓળખ પણ બદલાઈ જાય?

0
548
Photo Courtesy: latestly.com

એક બહુચર્ચિત વિષય પર આજે લખવાની ઇચ્છા થઈ ગઈ. વિષય જરા પેચીદો ખરો. આ વિષય છે “લગ્ન પછી સરનેમ બદલવી કે નહીં, તે.”

ગુજરાતીઓમાં તો વર્ષોથી ચાલ્યું આવતું હતું કે દીકરી પરણીને સાસરે જાય તે પહેલાં જ લગ્ન વિધિ સાથે જ તેની સરનેમ બદલાઈ જાય. એક ઝાટકામાં તે પિતાની અટક ત્યજી પતિની સરનેમ અપનાવે. તદ્દન સ્વાભાવિક રીતે આ નિયમને અપનાવવામાં આવ્યો છે. એમાં કોઈ મોટો ફેરફાર હજી આવ્યો નથી.

Photo Courtesy: latestly.com

હા, સમય જતાં એક નાનકડો ફેર જરૂર આવ્યો. એ ચેંજ આવ્યો, પિતાની સરનેમ પાછળ પતિની અટક લગાડવાનો. જેને ઘણી સ્ત્રીઓએ આવકાર્યો છે. પણ એક વિચાર મને ઘણાં સમયથી આવ્યો છે કે શું સરનેમ જ આપણી ઓળખાણ છે? જન્મ સમયે આપણને ઓળખાણરુપે એક નામ આપવામાં આવે છે. અને સાથે પિતાની અટક. સામાન્ય રીતે વિચાર કરીએ તો પર્સનલી “સરનેમ” એ આપણને આપણા કુટુંબ સાથે જોડી રાખે છે અને ઓફિશીયલી તેની જરૂર માત્ર સ્કૂલ કે કોલેજમાં રોલ નંબર અને એક્ઝામ રિસીપ્ટ પૂરતી જરૂરી હોય છે.

લગ્ન પછી પણ કોઈ પણ સ્ત્રીને અટક ન બદલવી હોય તો તે પોતાના પિતાની સરનેમ રાખી શકે છે. અથવા તો એક ટ્રેન્ડ ચાલ્યો છે, તેમ બંને સરનેમનું કોમ્બિનેશન કરી શકે છે. ઘણી સ્ત્રીઓને મતે, આ કોમ્બિનેશન કરેલું ઓપ્શન વધારે યોગ્ય છે કેમ કે તેમને પોતાનું અસ્તિત્વ ટક્યું હોવાની લાગણી થાય છે. અને જો કાંઈ વિશેષ વિચારવું ન હોય તો પતિની સરનેમ “નિસ્વાર્થ” ભાવે અપનાવી લેવામાં પણ કાંઈ જ ખોટું નથી.

હવે, આ બધાં જ ઓપ્શન બાજુ પર મૂકી વિચારીએ, તો અટક, એ કોઈ પણ સ્ત્રી માટે કેટલી અગત્યતા ધરાવે છે? પર્સનલી ઘણી, કેમ કે એમાં પિતા પ્રત્યે આદર અને પ્રેમની ભાવના જોડાયેલી હોય છે. પણ એના સિવાય કાંઈ જ નહીં. એક સરનેમ આપણું અસ્તિત્વ ઊભું નથી કરતી. આપણા કાર્યો અને એના પરિણામો આપણી આગવી ઓળખ ઊભી કરવામાં આપણને મદદ કરે છે.

વિલિયમ્સ શેક્સપિયરને હિસાબે તો નામમાં પણ કાંઈ રાખ્યું નથી અને સ્ત્રીઓ અટક માટે અવનવા ગતકડાં શોધે છે. જો અટક જ બધું ડિસાઇડ કરતી હોય તો લોકો અટક વાંચીને જ લગ્ન માટે તૈયાર થઈ જાય. કોઈ કહેશે, અમને તો અંબાણી કે બચ્ચન જ ખપે.

સરનેમ બદલવાથી સ્ત્રીઓનું અસ્તિત્વ મટી જાય, તે વાત ગળે ઉતરે તેવી નથી. હા, તેને પોતાના નામમાં સમાવીને એક અલગ જ ઓળખાણ ઊભી કરી શકાય છે. આપણા પિતાની અટક મુકવી એ પિતાનું અપમાન નથી કે નથી આપણું અપમાન. આ એક ચોઇસની મેટર છે.

એક તાજો દાખલો લઈએ. સોનમ કપૂરે લગ્ન બાદ ઈન્સ્ટગ્રામ, ટ્વિટર પર સોનમ કપૂર આહુજા લખ્યું. ટ્વિટર પર તો તેણે સોનમ આહુજા લખ્યું હતું. એમાં ઘણી સ્ત્રીઓએ હોબાળો મચાવ્યો હતો. એમના કહેવા પ્રમાણે, સોનમ એક અલગ વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભાશાળી અભિનેત્રી છે. તે સમાજમાં પરિવર્તન લાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે અને તે સરનેમ ચેંજ કરવાનો નિર્ણય કરે, તે તેમને સ્વીકાર્ય નહોતો.

હવે વિચારો. શું ફેર પડે સોનમ કપૂર આહુજા લખ્યું તેમાં? શું આહુજા લખવાથી તે અનિલ કપૂરની દીકરી નહીં રહે? શું તે ફેશન આઇકોન નહીં રહે? શું તે ફિલ્મોમાં કામ નહીં કરી શકે? એ બધી વાતો વિચારીએ, તે પહેલાં તો સોનમે Cannes Festival માં લગ્ન પછી તરત જ હાજરી આપી દીધી. તે તેનાં શેડ્યૂલ પ્રમાણે બીઝી થઈ ગઈ અને આપણે?

સરનેમ બદલવાથી કે ન બદલવાથી, સ્ત્રીઓના જીવનમાં કોઈ મોટો ફેરફાર આવતો નથી. હા, ડોક્યુમેન્ટેશનમાં થોડા ઘણાં ફેરફાર આવી શકે છે. જેમ કે, મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિગેરેમાં પિતાનું નામ લખવાથી મેરેજ થવાનો પુરાવો સતત સાથે રાખવો પડે છે. પિતા સાથે સંકળાયેલા રહેવું હોય તો તેને માટે સરનેમ જ એક માપદંડ નથી. હા, પતિ સાથે લિગલી સંકળાયેલા રહેવાનું માપદંડ જરૂર છે.

મારા વિચારો મુજબ, સરનેમ બદલાય છે, સ્ત્રીઓ નહીં. આપણી પર્સનાલિટી, આપણું બિહેવિયર તે આપણી ઓળખાણ છે. બાકી હું પણ માનું છું કે, “વોટ ઈઝ ધેર ઇન ધ નેમ?”

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: આયોજન વગરની જિંદગી એટલે અણધાર્યા અવસરોનો સરવાળો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here