આવતા વર્ષે આવનારી લોકસભા ચૂંટણી પહેલાની કેટલીક પ્રિલિમિનરી પરીક્ષાઓમાંથી એક એવી કર્ણાટકની ચુંટણીમાં કોંગ્રેસ એકલે હાથે લડ્યું અને પરાજય થયો એટલેકે એને 122 સીટો પરથી 77 સીટો પર આવી ગઈ અને અંતે દેવગૌડાના જનતા દળ (S) કે જેને માત્ર 38 સીટો મળી એને મુખ્યમંત્રી પદ ઓફર કરી ભાજપ કે જે સૌથી મોટો પક્ષ તરીકે બહાર આવ્યો એને સત્તાથી દુર રાખવામાં સફળ થયો. આમ નાના પક્ષ જોડે કોંગ્રેસે ખુબ મોટું સમાધાન કર્યું.
કર્ણાટકમાં જે બન્યું તેના પરથી એ વાત તો પુરવાર થઇ જ ગઈ કે કોંગ્રેસ માટે 2019ની લોકસભા ની ચુંટણી માટે તમામ પ્રાદેશિક પક્ષો જોડે ગઠબંધન કરવું અનિવાર્ય છે અને દેશની Grand Old Party હવે એકલે હાથે ચુંટણી જીતવા શક્તિમાન નથી.
લોકસભા ચૂંટણીઓ જીતવા માટે જો કોંગ્રેસ પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરે તો સૌ પ્રથમ પ્રશ્ન ઉદભવશે કે વિજય મળ્યા બાદ વડાપ્રધાન કોણ બને અને આ પ્રશ્ન એમણે ચુંટણી પહેલા જ નક્કી કરવો પડશે. આ પાછળનું કારણ એવું છે કે ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર તો નરેન્દ્ર મોદી જ રહેશે તો એની સામે સશક્ત વડાપ્રધાન પદના દાવેદાર જોઇશે
તો શું રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સામે વડાપ્રધાન પદના સશક્ત દાવેદાર છે ?
આનો જવાબ તો એમની એક પછી એક રાજ્યોમાં હાર જ આપે છે કર્ણાટકમાં પણ કોંગ્રેસની હાર જ થઇ છે અને ચૂંટણીના પરિણામો બાદ ગઠબંધન દ્વારા સરકાર રચી રહી છે. તો આ પ્રકારના પરિણામો બાદ શું લોકસભા ચૂંટણીઓ કદાચ જીતાઈ પણ જાય તો શું ભવિષ્યના ગઠબંધનના સાથીઓ કોંગ્રેસના રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે સ્વીકારશે? મૂળે તો રાજકીય પંડિતોને શંકા છે કે આવું ગઠબંધન થઇ શકશે કે કેમ.
લોકસભા ચૂંટણી પહેલા કે પછી જો અન્ય પક્ષો રાહુલ ગાંધીને વડાપ્રધાન પદ માટે નહીં સ્વીકારે તો એ પક્ષો કોને સ્વીકારશે? એક નામ છે ચંદ્રાબાબુ નાયડુ પરંતુ શું કોંગ્રેસને આ નામ સ્વીકાર્ય બનશે? કારણકે ચન્દ્રાબાબુ અત્યાર સુધી NDAમાં હતા અને હજી થોડા મહિના અગાઉજ એમણે NDA સાથે છેડો ફાડ્યો છે અને આમ તેમનો ઈતિહાસ જોઈએ તો એ કોંગ્રેસના વિરોધી જ હતા એટલે એમનું એ રીતેજ મૂલ્યાંકન થાય જરૂરી છે.
આમ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોના ગઠબંધનમાં મૂળભૂત રીતે વડાપ્રધાન કોણ એ પ્રશ્ને જ કોંગ્રેસ માટે પડકાર રહેશે.
ધારી લઈએ કે લોકસભા ચૂંટણી અગાઉ વડાપ્રધાનના નામ વગર ગઠબંધન થાય તો? અને જો પરિણામ બાદ કર્ણાટક જેવી સ્થિતિ ઉપસ્થિત થાય તો? તો કોંગ્રેસે કોઈ અન્ય પક્ષ અથવા અન્ય પક્ષ સમૂહના વડાપ્રધાન પદના દાવેદારને ટેકો આપવો પડે તો આમ થાય તો પણ રાહુલ ગાંધી વડાપ્રધાન ન બની શકે અને એમણે પારોઠના પગલા ભરવા પડે. આમ ગઠબંધનની રાજનીતિ પર પણ કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે અને લોકસભા 2019 માટે આવા ગંભીર પડકારો છે.
eછાપું
તમને ગમશે: Mother’s Day Special: આપણી મમ્મીઓ ખરેખર મહાન છે નહીં?