રેવા ફિલ્મમાં કે ધ્રુવ દાદાની નોવેલમાં એક વાત જે આપણે સૌએ નોંધ લેવા જેવી છે એ કે ફિલ્મમાં કે નોવેલમાં રેવા એટલેકે એક નદી એક વસ્તુ તરીકે નહીં પણ એક પાત્ર તરીકે ઉપસી આવે છે, કોઈ નિર્જીવ બંધિયાર નહીં પણ અદ્રિતીય સ્થાને પ્રકૃતિને મહત્વ આપવામાં આવ્યું છે. જે એક ગર્વની વાત કહી શકાય. હિન્દી ફિલ્મોમાં બનારસને ઘણી વાર દર્શાવ્યું અને ગંગા નદીને પણ. આમ છતાં રાંઝણા લઇ લો કે મસાન, ગંગાને “મા” તરીકે દર્શાવવામાં નથી આવી. કદાચ એ જ કારણ પણ હોઈ શકે કે અમારી પેઢીને નદી-તળાવો-પહાડોમાં સંસ્કૃતિની ઝલક નથી દેખાતી.
હમણા હમણાં દ્વારકા જવાનું થયું, પરસોતમ મહિનાના લીધે અહીં ખુબ ભીડ હતી અને સ્ત્રીઓ પોતાની શ્રદ્ધાના કારણે ગોમતી નદીમાં સ્નાન કરી રહી હતી. એ વાત સામે કોઈ વાંધો નથી પણ એ પાણી જેવું હતું એ જોઇને મને એવું લાગ્યું કે જો આવું પાણી આ લોકોના ઘરે ઘર-વપરાશ માટે જતું હોય તો આ જ સ્ત્રીઓ ગાગર લઈને નગરપાલિકા કે મહાનગરપાલિકાએ ચોક્કસથી પહોચી ગઈ હોય.
વાત સ્ત્રીઓની નથી, એ તો એમની શ્રદ્ધા અને કૈક અંશે રીવાજ ગણી લો એટલે એ લોકો પવિત્ર ગોમતીજી માં સ્નાન કરી રહી હતી. પણ શું આપણી નદીઓ ખરેખર એટલી પવિત્ર રહી છે? ગંદકીના થરની નીચે દબાઈ ગઈ છે. ગમે ત્યાં વહે, ગમે તેટલું વહે કે પછી સાગરમાં ભળે આપણે બધી જ જગ્યા પર નદીને મેલી કરવા પર આવી જઈશું.
આપણી નદીઓ વિશેની થોડા ફેક્ટસ ચેક કરીએ તો, આપણી નદીઓનો પ્રવાહ ઘટી રહ્યો છે. આપણી ગંગા “મા” એ વિશ્વમાં સૌથી વધુ રીતે પ્રદુષિત થયેલી નદી છે, ગોદાવરીના પ્રવાહમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે. કાવેરીએ પોતાનો 40% જેટલો પ્રવાહ ખોયો છે જયારે નર્મદાએ 60% જેટલો. આ તો આપણી મોટી નદીઓની વાત છે. જયારે આપણા ગામમાં વહેતી નદીઓ તો હવે ચોમાસા સિવાય વહેતી હોય એવું મને ક્યાય જોવા મળ્યું નથી. જો આ જ સ્થિત રહેશે તો આપણી સંસ્કૃતિ જેવી આ નદીઓ પણ સીઝનલ થઇ જાય તો ના નહીં. વળી, આ નદીઓ ચોમાસામાં પુર લાવશે અને ભયંકર નુકસાન સર્જી શકે એવી સ્થિતિ પણ સર્જાઈ ચુકી છે.
ગત વર્ષે ઉત્તરાખંડ હાઈકોર્ટે ગંગા અને યમુનાને “લીવીંગ એન્ટીટી” મતલબ કે જીવિત વસ્તુ તરીકે જોવાનો ચુકાદો આપ્યો હતો જેથી કરીને નદીઓના કિનારા પર કોઈ વ્યક્તિ કચરો ફેકી ન શકે, પણ ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો માન્યો રાખ્યો ન હતો કેમકે ગંગા અને યમુના બીજા રાજ્યોમાંથી પણ પસાર થાય છે. જો કે આ ન્યુઝીલેન્ડ એકમાત્ર એવો દેશ છે જેણે વાનગાનુઈ નદીને લીવીંગ એન્ટીટી તરીકે જાહેર કરી છે અને આ કાયદાનું પાલન થાય તે માટે ત્યાં યોગ્ય પગલા પણ લેવામાં આવ્યા હતા.
તો નદીને બચાવવા આપણે શું કરી શકીએ? વેલ, સરકારની એક પહેલ છે. ક્લીન ગંગા પ્રોજેક્ટ અને આ સિવાય ઇશા ફાઉન્ડેશન દ્વારા રેલી ફોર રીવર નામનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં સરકારનો સાથ પણ છે. પરંતુ નદીઓને બચાવવાનો એક માત્ર ઉપાય છે. રેલી ફોર રીવર અનુસાર, વ્રુક્ષો વાવો અને પર્યાવરણને હર્યું-ભર્યું રાખો. તો આ વચ્ચેનું કનેક્શન શું છે? આપણી નદીઓમાં પાણી વરસાદ થકી આવે છે, અને નદીઓમાં પાણી બે રીતે આવે છે એક તો વરસાદનું પાણી ચોમાસા બાદ જમીનની અંદર વહેતું પાણી. તો વ્રુક્ષો જેમ વધુ હશે તેમ જમીન પોચી રહેશે અને જેથી પાણી સહેલાઈથી જમીનની અંદર જઈ શકશે અને એ જ પાણી આપણી નદીઓના પ્રવાહને ઘટવાથી બચાવી શકશે.
એટલે જ તો વ્રુક્ષો વાવો, વરસાદ લાવો અને તમારા ગામની નદી અને આપણા દેશની નદીઓને જીવંત રાખો.
eછાપું
તમને ગમશે: એક EVM ની આત્મકથા
Ek dum sachi Waat che