તમારા બેંક એંકાઉન્ટમાં નોમિનેશન નથી? તો જરૂરથી કરાવી લેજો કારણકે એ તમારા અને તમારા જ પ્રિયજનોના હિત માટે અત્યંત જરૂરી છે.
આમ તો મોટાભાગના લેખકો માટે કાલ્પનિક કથા લખવી એ ચપટી વગાડવા જેવી બાબત છે. પણ જ્યારે રિઆલિટી લખવાની હોય ત્યારે ઘણું સંશોધન કરીને પછી લખવામાં મજા છે.
દા. ત. બેંકમાં એન્કાઉન્ટ ખોલાવીએ ત્યારે આપણામાંથી કેટલાં ખરેખર એવું વિચારે છે કે જીવનનો કોઈ ભરોસો નથી તો બેંકમાં મૂકવામાં આવતી રકમ ભવિષ્યમાં કોને આપવી છે? એકાદ બે નહીં લગભગ બધાં જ આવું વિચારતા હોય છે. પણ ક્યારેક એવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે જ્યાં બેંક એન્કાઉન્ટ તો ખુલે છે પણ એકાઉન્ટ હોલ્ડરના નિધન પછી તે રકમના હકદાર કોઈને નિમવામાં આવ્યા ન હોવાથી, પરિવારજનો લાંબી પ્રોસીજર કરીને તેમનાં હકો મેળવવા પડતા હોય છે. મોટેભાગે ફેમિલી ઇસ્યુઝ, નિ:સંતાન દંપતિ, એક કરતાં વધારે બેંક એકાઉન્ટ, વિગેરે જેવી સિચુએશનમાં આમ બનતું હોય છે.
(જો નોમિનેશન કરાવેલું હોય તો બેંકમાં કોઈ પણ વિધિની જરૂર નથી. માત્ર એક એપ્લિકેશન લખવાથી કામ પતી જાય છે.)
હમણાં જ એક એવો કિસ્સો બન્યો કે ઘરના વડીલ એવા પિતાનું અવસાન થયું હતું. જાણે તેમને તેમનાં મૃત્યુની ખબર હોય, તેમ બેંકને લગતી માહિતી અને પેપર્સ, બધું જ યોગ્ય રીતે તૈયાર કરીને ફાઇલ બનાવી હતી. અચાનક એક દિવસ તેમનું અવસાન થયું. વિધિઓ પતાવીને બાળકોએ જ્યારે તેમનાં પેપર્સ જોયા તો ધ્યાનમાં આવ્યું કે એક બેંક એકાઉન્ટમાં કોઈ નોમિનેશન નથી.
આવું ઘણી વાર બનતું હોય છે કે આખી જિંદગી નિયમબદ્ધ જીવન જીવેલા માણસને પણ માંદગીમાં કાંઈ સુજે નહીં. ઘણી વખત ઘરની બીજી બધી જવાબદારી પૂરી કરતાં કરતાં વ્યક્તિ પોતાની જ જવાબદારીમાં ચુકી જાય છે. એટલે આ કિસ્સામાં પણ વડીલ પોતે હયાત નહોતા એટલે તેમનાં બાળકો માટે એકાઉન્ટમાં પડેલી રકમ કેમ ઉપાડવી તે પ્રશ્ન બન્યો. બેંકમાં જઈને તપાસ કરતાં, બેંક ઓથોરિટીએ તેમને નીચે પ્રમાણે પેપર્સ સબમિટ કરવા કહ્યું. આપ પણ નોંધી લેજો, કદાચ કોઈની મુશ્કેલીઓમાં સાથ આપી શકો. નોમિનેશન ફોર્મ્સ અને એફિડેવિટ ફોર્મ્સ બધું જ બેંકમાંથી ઉપલબ્ધ હોય છે.
- બેંકના ખાતાની પાસબૂક
- પિતાનું ડેથ સર્ટિફિકેટ
- જેમનું નામ એડ કરાવવું હોય તેમનું ઓળખનું પ્રમાણપત્ર (Pan Card, Aadhar Card બંને)
- અવસાન પામનારનું પેઢીનામું, મિનિમમ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર, નોટરી કરાવીને તૈયાર કરવું. આ પેઢીનામામાં માત્ર મરણ પામનારના પત્ની અથવા પતિ અને બાળકોનાં જ નામ આવે.
- નોમિનેશન સર્ટિફિકેટ (જે – તે બેંકમાંથી તેનું ફોર્મ મળી રહેશે), 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવીને રાખવું
- 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ જેમાં એક ડીક્લેરેશન હોય કે નોમિનેશન ન હોવાથી જે તે વ્યક્તિને રૂપિયા જાય તેમાં બીજા વારસદારોને વાંધો નથી. આનો મુસદ્દો પણ બેંકમાંથી મળી રહેશે.
- વારસદાર તમામનાં ઓળખના પુરાવા Pan Card, Aadhar Card)
- એક એપ્લીકેશન જેમાં મરનારની વિગતો જેમ કે એકાઉન્ટ નંબર અને રકમ વિશેની માહિતી આપવી રહેશે.
- નોટરી માટે વકીલને ત્યાં જરૂરી બે સાક્ષીઓ, ઓળખના પુરાવા સાથે. કુટુંબમાંથી પણ ચાલે.
- બે વ્યક્તિ સિક્યોરિટી પર્સન તરીકે. જેમની ઓળખના પુરાવા સાથે આવક પણ દર્શાવવાની હોય છે. અને આ વ્યક્તિઓ સીધી રીતે મરણ પામનાર સાથે સંકળાયેલી હોવી જોઈએ નહીં. એટલે મૃત્યુ પામનારના સગા ભાઈ અને બહેન ન ચાલે.
બસ, આમ તો આનાથી વધારે પેપર્સ જોતાં નથી. અને હા, ખાસ નોંધ લેવી કે બેંકમાંથી જો “પેઢીનામું” તલાટી પાસેથી લાવવા માટે કહે તો તે બિલકુલ જરૂરી નથી. પેઢીનામું વકીલ પાસે તૈયાર કરાવી લેવું. વકીલ પાસે ડ્રાફ્ટ તૈયાર જ હોય છે, જેની જાણ કદાચ બધાને હોતી નથી. તલાટી ઓફિસમાંથી પણ મેં પોતે કન્ફર્મ કર્યું છે કે જો જમીન, ખેતર, વિગેરે જેવી મિલ્કતોમાં ક્લેમ કરવાનો હોય તો તે માટે જ પેઢીનામાંની જરૂર પડે છે.
આપણા જીવનકાળ દરમિયાન આપણે જે ભેગું કરીએ છીએ, તેનો લાભ યોગ્ય વ્યક્તિ પામે તે માટે હંમેશા જાગૃતિ રાખો અને આપણા ગયા પછી આપણાં હેરાન ન થાય તેની કાળજી લેવી,તે આપણી નૈતિક જવાબદારી છે.
અસ્તુ!!
eછાપું
તમને ગમશે: આદરણીય વિજયભાઈ – ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એક ખુલ્લો પત્ર