પનોતી, સાડા-સાતી કે ગ્રહશાંતિ – અંધશ્રદ્ધા અઢળક પાનાં ધરાવતી ચોપડી છે!

2
618
Photo Courtesy: indiatimes.in

અંધશ્રદ્ધા જમાના મુજબ અપડેટ થતી રહે છે, વિશ્વાસ નથી આવતો? તો સ્માર્ટફોન ન હતા એ જમાનાની એક વાત કરું? એક વાર અમારા ઘરે કોઈ એક વિશિષ્ટ પ્રકારનું પેમ્ફ્લેટ (કાગળિયું) આપી ગયું. જેમાં હિન્દીમાં લખ્યું હતું:

दक्षिण मद्रास के श्री तिरुपती मंदीरमें इस कलियुग में भी एक अद्‍भूत द्रश्य देखा गया जो कि आज तक आप लोगों ने नहीं देखा होगा। मंदीरमें एक सांप निकला। उस मंदीर के पुजारीने यह देखा तो घबरा गए तब वह सांप एक ब्राम्हण का रूप धारण करते हुए बोले, “ए पुजारी, घबराओ नही, मैं जो कहता हुँ उसे तुम ध्यान देकर सुनो। मैं कुछ समय बाद पृथ्वी पर अवतार लूंगा और जो लोग धर्म का नाश करते है उनका संहार करुंगा। जो लोग श्री कृष्णजी के नाम पर इसको 1000 प्रति छपवाकर बाँटेंगे उनकी 14 दिनो के अंदर ही मनोकामना पूरी होगी। और जो लोग इस परचे को 14 दिनों के अंदर नहीं बाँटेगा तो उसकी काफी क्षति होगी। इतना कहकर सांप रुपी ब्राम्हण तीन कदम पीछे हटकर अन्तरध्यान हो गया। इस खबर को सुनकर बम्बई के एक आदमीने 2000 प्रतियां छपवाकर बाँटा तो उसे 12 दिनो के अंदर लॉटरी से 5 लाख रुपया मिला। एक आदमीने 40 परचा छपवाकर बांटा तो उसको 14 दिनों के अन्दर 9000 रुपया मिला। धनबाद के रिक्शेवालेने 150 परचा बांटा तो उसे घर ही में एक घडा मिला जिसमे अशरफी थी और एक आदमीने इसे झूठा मानकर परचा फाड दिया तो उसका लडका ही मर गया। अतः इस बात को सत्य मानकर श्रीकृष्णजी का प्रचार करना। जिस सज्जन को यह पत्र मिले उनसे निवेदन है कि वे भी इस परचाको छपवाकर बांटे अथवा इस परचा को न फाडें और दुसरे को देने की कृपा करें।

આમાં ‘તિરુપતી’ને બદલે ‘ચોટીલા’, ‘શ્રીકૃષ્ણ’ને બદલે ‘ચામુંડા માં’અને ‘સાપ’ને બદલે ‘સિંહ’ મૂકી દો એટલે આવા ગુજરાતીમાં પેમ્ફ્લેટ તૈયાર! આશિર્વાદ અને શ્રાપ એના એ જ રહેશે એટલે એનું ટેન્શન ન લેતા. આજે પણ પરિસ્થિતિ એવી જ છે. મોબાઈલ હાથવગા થઈ ગયા એટલે કાગળિયા છપાવાના ઓછા થઈ ગયા પણ જે-તે સમયે, જે-તે મેસેજો ફોરવર્ડ આપણે કરીએ જ છીએ ને?

Photo Courtesy: indiatimes.in

FIFA વર્લ્ડકપ 2018માં દિગ્ગજ ટીમોનું એક પછી એક નિર્ગમ થયું, એ વાતમાં દોષના ટોપલા અને માછલાં ક્રિકેટર વિરાટ કોહલી પર ધોવાઈ રહ્યા છે. સોશિયલ મિડીયાએ એવું તારણ (અને કારણ) કાઢ્યું છે કે જે ટીમને વિરાટ સપોર્ટ કરે એ ટીમ વર્લ્ડકપમાંથી બહાર નીકળી જાય છે. વિરાટ એ એક મોટી પનોતી છે. હજી આજ ઘડીએ વિરાટના ફોટાઓને મોર્ફ, ક્રોપ કે ફોટોશોપ કરીને કોઈને કોઈ રીતે એને ટારગેટ કરવામાં આવે છે. આ એ જ વિરાટ છે જેની ફટકાબાજી અને સેન્ચૂરીઓથી (ફક્ત એક વાર નહીં, વારંવાર) ‘ભારતનો વિરાટ વિજય’ જેવા શીર્ષક અખબારોના મુખપૃષ્ઠ પર છપાયા છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન! 2014ના FIFA વર્લ્ડકપમાં પોલ (Paul) નામના ઓસ્ટોપસે આવી જ અંધશ્રદ્ધા ને હવા આપેલી. પોલે કરેલી લગભગ બધી જ આગાહીઓ સાચી ઠરેલી અને રાતોરાત સેલિબ્રીટી ભવિષ્યવેત્તા બની ગયેલો. 2010માં ‘Ask the Paul’ નામની એક એપ પણ આઈફોન માટે લોન્ચ થયેલી અને ગૂગલે 2014માં પોલ માટે ગૂગલ ડૂડલ પણ રીલીઝ કરેલું.

મેં ક્યાંક વાંચેલું કે આપણે ત્યાં લગ્ન જેવા માંગલિક પ્રસંગે પણ ગ્રહોને રાજી કરવા ગ્રહશાંતિની વિધિ કરાવીએ એટલે જે તે ગ્રહ પોતાની ખાતાવહીમાં એવી નોંધ મૂકતો હશે કે ‘ફલાણા ભાઈએ તેમના સુપુત્ર ઢીમકાભાઈનાં લગ્ન નિમિત્તે આપણને પ્રસન્ન કરવા ગ્રહશાંતિ કરાવી છે ને આપણા માન્ય એજન્ટ મહારાજ પુરોહિત પૂછડાભાઈને રૂપિયા પાંચ હજારની દક્ષિણા સહેજ પણ કચકચ કર્યા વિના પ્રેમપૂર્વક આપી છે એટલે તેમના સુપુત્રના લગ્નજીવનને મજબૂત, ટકાઉ અને અનબ્રેકેબલ બનાવવાની જવાબદારી આપણા શિરે આવી ગઈ છે.’ આવું સાચે થાય છે? કમૂર્તામાં લગ્ન ન કરવા એવું પણ આપણે ત્યાં માનવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં તો મુહુર્ત જોયા વગર લગ્ન થાય છે અને આપણે ત્યાં પણ ઘરનાં લોકોથી ડરીને ભાગીને લગ્ન કરવા વાળા શું મુહુર્ત જોઈને ભાગે છે? શું એમનું લગ્નજીવન સારી રીતે નથી ચાલતું? અંધશ્રદ્ધા વ્હોટ એલ્સ?

એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાના ત્રણ સાહસવીરો જ્યારે ચંદ્ર પર પહેલી વાર ગયા તે અગાઉ તેમણે ચંદ્રને પ્રસન્ન કરવા ગ્રહશાંતિ કરાવી હશે એવી કોઈ વાત કોઈ ઇતિહાસકારે નોંધી નથી. આર્મસ્ટ્રોંગે તો હાથમાં કોઈ નંગજડિત વીંટી પણ નહોતી પહેરી અને કોઈ બ્રાહ્મણને દક્ષિણા પણ નહોતી આપી. કહેવાય છે કે ગ્રહો રૂઠે તો જાતકનું ધનોતપનોત કાઢી નાખે છે. તો ચંદ્રના માથે આર્મસ્ટ્રોંગે વજનદાર કચરાળા માટીવાળા બૂટવાળો પગ મૂક્યો હોવા છતાં ચંદ્રએ ગુસ્સે થઈને તેને ત્યાંને ત્યાં પટકી નાખ્યો નહોતો કે શ્રાપ આપીને બાળીને ભષ્મ પણ નહોતો કર્યો. ત્રણેય આકાશવીરોને હેમખેમ વન-પીસમાં પાછા મોકલી દીધા. મને લાગે છે કે એ લોકો ચંદ્ર પર ગયા જ નહીં હોય, કોઈ સ્ટુડીયોમાં શુટીંગ કરીને ફોટા છપાવી દીધા હશે. હેં નેં?

એવું કહેવાય છે કે શનિવારે અને મંગળવારે દાઢી કે વાળ કાપવાથી હનુમાનદાદા રિસાય જાય છે. વ્હોટ રબ્બિશ! આ અંધશ્રદ્ધા નથી તો બીજું શું છે? હનુમાનદાદા દુનિયાના દરેક પુરુષની દાઢી-વાળનો હિસાબ રાખે તો તો થઈ રહ્યું. ગયા અઠવાડિયે વડસાવિત્રી નો ‘પવિત્ર’ તહેવાર હસી-ખુશી સંપન્ન થયો. દરેક પતિદેવની ઉંમર એવરેજ દોઢેક વર્ષ વધી ગઈ. વડની પૂજા કરતી વખતે અન્ન-જળ-દૂધ-અન્ય સામગ્રીનો કેટલો અપવ્યય થાય છે એનો કોઈ હિસાબ ખરો? દોરા-ધાગા વડની ફરતે બાંધીને પતિદેવની લાંબા આયુષ્યની મનોકામના કરી અવનવી, જાતભાતની મિઠાઈઓ અને ખાદ્યપદાર્થોનો છપ્પનભોગ વડ પાસે મૂકવા કરતાં કોઈ ગરીબના પેટમાં જશે તો એ ગરીબની અંતઃકરણની દુવાથી પતિની ઉંમર વધવાના ચાન્સ વધું છે.

ભારતમાં અંધશ્રદ્ધા નો ગેરફાયદો જેટલો ઉઠાવાય છે એવો કદાચ અન્યત્ર ભાગ્યે જ ઉઠાવાતો હશે. લાભુમા અને તપસ્વીઓ આજેય પૂજાય છે પણ જ્યારે આંખ સામેથી પટ્ટી ઊતરે ત્યારે ખબર પડે છે કે કંકોડા છે. ‘ગણપતિનું દૂધ પીવું’ અને ‘માહિમની મસ્જિદ પાસે સમુદ્રનું પાણી મીઠું થયાનો’ ચમત્કાર માણનારા ઘણાં લોકો જોયા છે. ‘નિર્મલ’ નામના એક બાબાના દરબારમાં જવા માટે 3-4 મહિના પહેલાં બુકીંગ કરાવવું પડે અને એ પણ અંદાજે બે-અઢી હજારની ટિકિટ લઈને! બાબાનો સંત-સમાગમનો સમય પૂરો થાય ત્યારબાદ પૂર્ણાહુતિ વખતે ભક્તો પોતાના પર્સ-વૉલેટ-પાકીટ ખુલ્લા રાખે અને દૂરથી નિર્મલબાબા કીરપા (કૃપા) વરસાવે. જો એ રીતે બધાં લોકો પાસે ધન આવી જતું હોય તો પછી પોતે જ એકઠું ન કરી લેવાય? લોકો પાસે અઢી હજારની ટિકીટ શું કામ લેવી પડે? અખો ભગત કહી ગયો છે – આંખના આંધળા અને ગાંઠના પૂરા લોકો સ્વેચ્છાએ લૂંટાતા હોય છે. મેં ક્યાંક સાંભળેલું કે ભારતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ધંધો હોય તો ભવિષ્ય જોવાનો છે. એમાં કોઈ પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ જ નથી. ફક્ત લોકોને ખબર પડવી જોઈએ કે તમને હાથ જોઈને ભવિષ્ય ભાખતા આવડે છે. ફક્ત ત્રણ જ વાક્યો બોલવાનાઃ (1) તમને તમારી ક્ષમતા કરતાં ઓછું મળે છે (2) તમને કોઈ પૂરેપુરું સમજી જ શક્યું નથી. (3) છ મહિનામાં બધું સરખું થઈ જશે…….બસ, આટલું જ કરવાથી આ ધૂતવાનો ધંધો ધમધોકાર ચાલશે. ટ્રાય્ડ એન્ડ ટેસ્ટેડ!

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા માં ફરક છે. શ્રદ્ધા એટલે વિશ્વાસ – એ તો રાખવો જ જોઈએ. પ્રત્યેક મનુષ્ય શ્રદ્ધામય હોય છે. ભગવાનમાં શ્રદ્ધા છે કે નહીં એ પરથી માનવને ‘આસ્તિક’ કે ‘નાસ્તિક’ જાહેર ન કરી શકાય. કોઈને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય પણ સત્ય, કરૂણા, મહેનતમાં શ્રદ્ધા હોય તો તે પણ ‘આસ્તિક’ જ છે. માણસ શ્રદ્ધા વિના તરી ન શકે અને અંધશ્રદ્ધા વિના ડૂબી ન શકે. ટ્રેનમાં મુસાફરી કરનાર વ્યક્તિને ટ્રેન બનાવનાર કંપની પર, ડ્રાઈવર પર અને અને કંટ્રોલરૂમમાં બેસીને પાટા બદલનાર સ્ટાફ પર પૂરેપૂરી શ્રદ્ધા હોય છે. શ્રધ્ધાનુભૂતિ વિશે ગુણવંત શાહ લખે છે કે પૃથ્વી પરથી વિજ્ઞાનીઓ રોકેટયાન અવકાશમાં મોકલે, એ રોકેટયાનમાં બેઠેલા અવકાશયાત્રીઓને વિજ્ઞાન પર અને વૈજ્ઞાનિકો પર જબરી શ્રદ્ધા હોય છે. આઈન્સ્ટાઈન એવું કહેતાં કે ‘વૈજ્ઞાનિકો સૌથી વધુ શ્રદ્ધાળુ માણસો છે કારણ કે તેઓ બ્રહ્માંડના વ્યવસ્થિત માળખામાં વિશ્વાસ મૂકે છે.’ પ્રોબ્લેમ એ છે કે શ્રદ્ધાના દરિયામાં લોજિકના ટાપુ હંમેશાં ડૂબેલા રહે છે.

હવે આ લેખ 100 જણને વંચાવશો તો આપોઆપ તમારા મોબાઈલમાં 100 રૂપિયાનું રીચાર્જ થઈ જશે. નહીં વંચાવો તો તમને વડલાવાળા ભૂખંડીબાબા ના સમ!

પડઘોઃ

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે,

અતિશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે,

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં,

આપણે સિદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં,

પશ્ચિમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં,

આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં,

અમેરિકા વૈજ્ઞાનિક અભિગમથી બળવાન બન્યો વિશ્વમાં,

આપણે ધાર્મિક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં,

પશ્ચિમે પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં,

આપણે પૂજાપાઠ–ભક્તિ કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં,

પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચિંતામાં,

આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચિતામાં,

સાયંટીફીકલી બ્લડ ચેક કરી, એંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,

સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં,

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

– ચંદ્રકાંત બક્ષી

eછાપું

તમને ગમશે: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – મહિલા એ મુઠી ઉંચેરી નહીં પણ સરખે સરખી

2 COMMENTS

  1. 10 વરસ થી ફેસબુક ને 15 વરસ થી બ્લોક માં જ હિન્દૂ ધર્મ વિરુદ્ધ તૈયાર થયેલા મિશનરી ને અરબી લોકો ના મિક્સ જેવા પત્રકારો ને પૈસા લઇ ને સ સુ.. સમાજ સુધારક જેવા લોકો ની બક્લોલી ટાયપ બોગસ લેખન…

    શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સામુહિક નહીં વ્યક્તિગત હોય છે .. પુરા વિશ્વ માં આ નિયમ લાગુ પડે છે પણ પુરા વિશ્વ માં ભારતીય ખાસ કરી ને ગુજરાતી લોકો પરિવારવાદી ને વડીલો ને માંન સન્માન ને વડીલ ના આજ્ઞાકારી હોવા થી અમુક વસ્તુ માં એમની જાહેર વિરોધ કે કડક વિરોધ કરતા નથી એટલે સરેરાશ એવી છાપ પડે કે આ લોકો અંધશ્રદ્ધાળુ છે ..

    પશ્ચિમ માં શોધ થાય છે એટલે ઈ બુદ્ધિશાળી ને અહીંયા પશ્ચિમ ના પ્રમાણ માં શોધ નથી થતી એટલે અહીંયા ના લોકો મૂરખ ?? આવું વિચારનાર પણ પશ્ચિમ પ્રત્યે અંધશ્રધ્ધાલુ જ કહેવાય કેમ કે..

    શોધ જરૂરીયાત પ્રમાણે જ થાય.. જ્યાં જેવી જરૂરિયાત હોય એના માટે જ શોધ કામ ની નહિતર ઈ બેકાર ખર્ચો માં તબદીલ થાય ( કેવી રીતે ઈ પ્રશ્ન પૂછવા માં આવશે તો જવાબ જરૂર સંતોષકારક મળશે )

    ભારત ના લોકો કૃષિ ઋષિ પરમ્પરા અનુસાર કુદરત સાથે લડી ને નહીં કુદરત સાથે ભળી ને જીવન વ્યતીત કરતા હતા.. ખોરાક આરોગ્ય જીવન કુદરત આધારીત હતું ઋતુ ચર્યા પ્રમાણે જ જીવન વ્યતીત થતું જેમ આજે રવિવાર એટલે સન્ડે ને સન્ડે એટલે ફન ડે હોય છે લોકો પરિવાર સાથે મિત્રો સાથે સમય વિતાવી ને આંનદ માણે પણ સમજો લક બાય ચાન્સ ઈસ્લામિક શાશન આવે તો સન્ડે ફક્ત નામ નો જ રહી જાય ને શુક્ર હૈ જુમ્મા હૈ આવી જાય પણ લોકો ના દિમાગ માં રવિવાર જ રજા હોય મજા હોય ઈ ખયાલ જાય નહીં પુરાતન ભારત માં પણ ઋતુ ચર્યા જે કુદરત આધારિત હોય ને ખગોળ વિજ્ઞાન પર નિર્ધારિત હોય લોકો ઈ મુજબ જ જીવન વ્યતીત કરતા હતા કાળક્રમ મુજબ ઈશલામ આગમન થી ઋતુ ચર્યા નીકળી ગઈ ને રાજકીય વ્યવસ્થા મુજબ નું જીવન પરાણે શરૂ થયું જેથી માન્યતાઓ જેમ ની તેમ રહી પણ જીવન માં એનું કોઈ મહત્વ ના રહ્યું બાદ પોતાના સિવાય દરેક ને મૂર્ખ સમજવા વાળા અંગ્રેજો નું આગમન થયું ને દરેક રાજકીય વેપાર માં નડતર રૂપે આવનાર રાજ્ય કે લોકો પર સીધો વાર કરી ને લડવા ની જગ્યા એ એક જ વર્ગ ના બે લોકો ને આપસ માં લડાવી ને બેય બાજુ થી લાડવો લેનાર હોવા થી એમના દ્વારા કરાયેલું અધ કચરું આંકલન આજે પણ ભારતીય લોકો ઢોવે છે જેમ તમે પોસ્ટ માં ઢોવી એમ લોકો જીવન માં.. જેમ તમને ના ઈચ્છા કે ત્રેવડ હોય કમઠાણ માં થી કામ નું સત્ય તારવી લેવા ની એમ જ જનતા ને પણ નવરાશ ના હોય કમઠાણ ને દૂર કરી ને જનતા સમક્ષ જ સત્ય રજૂ કરવા ની.. સો બસ્સો પાંચસો વરસ પહેલા ના સ સુ લોકો એજ સમજ્યા વગર વિચાર્યા વગર ધર્મ ને રૂઢિ ની મૂળ જાણકારી ને હેતુ નું આકલન કર્યા વગર જેમ ધીબેળી ને હિન્દૂ ધર્મ નું મહત્વ નું પણ સુલભ સાહિત્ય અતિ ગૂંચવણ વાળું કરી નાયખું જેથી ભોળા લોકો રામ રહીમ રાધેમાં નિર્મળ આશારામ ઓશો માં ફસાતા રહે છે આજે આપ જેવા જ્ઞાની સ સુ પણ એજ ભૂલ દોરાવી ને આગલી પેઢી ને સૂફીઝમ ને ખ્રિસ્તી 32વા બાપ્તિઝમ ની અંધ શ્રદ્ધા માં ગુંચવી નાખશે…

    • કયો ટોપિક છે ને ક્યાં લય ગયા …. અહીંયા હિન્દૂ ધર્મ નો ક્યાં કોઈ વિરોધ હ કરે છે …. હર અંધશ્રદ્ધા ના વિરોધ ને હિન્દૂ ધર્મ નો વિરોધ માં ખપાવી નાખવું એ પણ અત્યાર ની આ એક Whatsapp બાપા ના Brainwash ની દેન છે …. કોઈ પણ સમાજ હોઈ સરકાર હોઈ કે વ્યવસ્થા હોઈ … એનો જો જરા પણ વિરોધ ના થાય ને અન્ધળે આંધળી સ્વીકારી લેવામાં આવે ને તો સતી પ્રથા ને દીકરી ને દૂધ પીતી કરવાના રિવાજ પાછા આવતા જરા પણ વાર નય લાગે … વિરોધ વિના ને સવાલ પૂછ્યા વિના બધું સ્વીકાર કર્યું ને એનેજ ખરેખર 60 વર્ષ સુધી ગાંધી પરિવાર ની ગુલામી કરવી છે … અને રહી વાત વાતે વાતે ઇસ્લામ સાથે સરખવાની તો ભાઈ હું હિન્દૂ છું ને હિન્દૂ ધર્મ પાળુ છું તો સુકામ ઇસ્લામ ની પંચાત કરવા જાવ … હ મને નડશે ને સાવ ઓલું રાજસ્થાન માં સાગા બાપ એ નાની છોકરી નું ગાડું કાપી નાખ્યું એવી ઘટના બનશે તો એના વિશે પણ બોલીશ જ … પણ તો હું હિન્દૂ છું એના અભિમાન માં દિલ્હી ના જે એકજ પરિવાર ના 11 સભ્યો એ સામુહિક આત્મહત્યા કરી એના વિશે ચૂપ રઈશ એમ ?
      ખોટા નો વિરોધ ને ના સમજાય એના વિરુદ્ધ પ્રશ્નો કરવા માં કંઈજ ખોટુ નથી … સમાજ ને સુધરવો હોઈ તો શરૂઆત ઘર થી કરવી પડે … ઇસ્લામ ને શિખામણ દેવી હોઈ તો પેલા હિન્દૂ ઓ માં રહેલી અંધશ્રદ્ધા કાઢવીજ પડે …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here