મોટેભાગે આપણે વિલપાવર એટલેકે ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ એ સાવ અલગ અલગ ભાવનાઓને એક જ માનતા હોઈએ છીએ. આપણા માટે આત્મવિશ્વાસ અને વિલપાવર બંને એક જ છે. પરંતુ ખરેખર એવું નથી.
તમને કોઈ કાર્ય કરી શકવા અંગે આત્મવિશ્વાસ હશે પરંતુ તે ટાર્ગેટ એચીવ કરવા માટે વિલપાવરનો અભાવ હશે અથવાતો એ નબળો હશે તો તમારું એ કાર્ય પૂર્ણ થવા અંગે સો ટકા શંકા કરી શકાય.
ચાલો એક ઉદાહરણ લઈએ. તમે સાડાત્રણ કલાક સળંગ ડ્રાઈવ કરીને અમદાવાદથી રાજકોટ પહોંચી જવાનો આત્મવિશ્વાસ ધરાવો છો પરંતુ કારમાં ઘુસતાની સાથેજ તમે એ વિલપાવર ગુમાવી બેસો છો કે તમે કારને ડ્રાઈવ કરી શકશો કે કેમ? તો પછી તમે તમારી કાર તમારા પાર્કિંગની બહાર પણ નહીં કાઢી શકો.
લાગતું વળગતું: જો આપણને આપણું જીવન ઉંધેથી જીવવા મળે તો? સારું નસીબ બીજું શું? |
વિલપાવર બાળપણથી જ આપણામાં આવી જતો હોય છે અથવાતો તેની ખોટ વર્તાતી હોય છે તેવું અનેક માનસશાસ્ત્રીઓ કહી ચૂક્યા છે. આ સંશોધન કરવા દાયકાઓ અગાઉ અમેરિકામાં બાળકોમાં વિલપાવર વધારવા માટે તેમને લાલચ આપવામાં આવતી.
ઉદાહરણ તરીકે ત્રણથી પાંચ બાળકોના સમુહને કેકનો એક એક ટુકડો આપવામાં આવતો, પરંતુ સાથે સાથે બાકીની કેકના ટુકડા કરીને પણ તેમની સામે મુકવામાં આવતી. ત્યારબાદ તમામ બાળકોને એવી લાલચ આપવામાં આવતી કે જે બાળક તેને આપવામાં આવેલો કેકનો ટુકડો ખાઈ જાય પછી પંદર મિનીટ સુધી સામે મુકેલી કેકનો એક પણ ટુકડો નહીં ઉપાડે તેને બાદમાં બે એક્સ્ટ્રા ટુકડાઓ ખાવા માટે આપવામાં આવશે.
અહીં બાળકો પર એવું કોઈજ દબાણ ન હતું કે તેઓ કેકનો પોતાને આપવામાં આવેલો ટુકડો ખાધા બાદ બીજો ટુકડો ન ખાય. વર્ષો બાદ જ્યારે આ બાળકો મોટા થયા અને નોકરી કે વ્યવસાય કરતા થયા ત્યારે એ સાબિત થયું કે જે બાળકોએ પંદર મિનીટ સુધી પોતાની લાલચ રોકી હતી તે બાળકો વધારે ઇન્ટેલિજન્ટ અને સફળ બન્યા હતા.
લાલચને પોતે દબાવી શકશે એવો આત્મવિશ્વાસ કદાચ વિલપાવરને મજબૂત બનાવે છે પરંતુ છેવટે લાલચ પરની સફળતા તો મજબૂત વિલપાવર ખુદ અપાવે છે તેવું ઉપરોક્ત ઉદાહરણ પરથી સાબિત થયું છે.
તમારો ઉછેર કેવી રીતે થયો તે ઉપરાંત મોટા અથવાતો યુવાન થયા બાદ તમે કેવા લોકો સાથે વધારે સમય ગાળો છો એ પણ તમારા વિલપાવર પર અસર કરે છે.
જો તમે નકારાત્મક અને આળસુ લોકોની સાથે કાર્ય કરો છો તો તમારો વિલપાવર નબળો પડતો જાય છે અને છેવટે ખતમ થઇ જાય છે અને સરળમાં સરળ કાર્યો તમે પતાવી શકશો કે નહીં તે અંગે તમે સતત ચિંતિત રહ્યા કરો છો અને કદાચ તેમાં નિષ્ફળ પણ જતા હોવ છો. વિલપાવર ઘટવાની પ્રક્રિયા જો કે વૃદ્ધાવસ્થા સુધી ચાલતી હોય છે.
એટલેકે યુવાનીમાં જો તમે સતત હકારાત્મક વિચારતા લોકોની કંપનીમાં રહેતા હશો તો મોટી ઉંમરે કોઇપણ દુઃખનો કે ગંભીર માંદગીનો સામનો કરતી વખતે તમારો ખડકથી પણ મજબૂત બની ચૂકેલો વિલપાવર તમને એ દુઃખને તરત ભૂલી જવામાં કે પછી એ ગંભીર માંદગીમાંથી સજા થઇ જવામાં મદદ કરે છે.
તો અત્યારથી જ Be Positive બનીએ અને મનને મક્કમ બનાવી વિલપાવરને મજબૂત બનાવવાના પ્રયાસો શરુ કરી દઈએ?
eછાપું
તમને ગમશે: World Sleep Day… અરે કાન્હા જરા ઉંઘ તો લેતા જા…