પુ.લ. દેશપાંડેને આપણે તારક મહેતાની હરોળના દિગ્ગજ કહી શકીએ?

1
463
Photo Courtesy: majhavidarbha.com

સબ ટીવી હવે લઈને આવી રહ્યું છે, મરાઠી સાહિત્યના મહાન હાસ્યલેખક પુ.લ. દેશપાંડેના હાસ્ય ચરિત્રલેખનો પર આધારિત નવી શ્રેણી ‘નમૂને’. પુસ્તકો, નવલકથાઓ અને નવલિકાઓ પરથી ટી.વી. સિરીયલો બનાવવાના કિસ્સા ફિલ્મોની સરખામણીમાં ઓછા છે. આમ તો એ શરૂઆત દૂરદર્શનના સમયથી શરૂ થયેલી. The Secret Life Of Walter Mitty પરથી બનેલી ‘મુંગેરીલાલ કે હસીન સપનેં’, બંગાલી બાબુ ‘બ્યોમકેશ બક્ષી’, ચંદ્રકાંતા પુસ્તક પરથી બનેલી ‘ચંદ્રકાંતા’, બિમલ મિત્રાની ‘સાહેબ, બીબી ઔર ગુલામ’, જવાહરલાલ નહેરુની The Discovery of India પરથી બનેલી ‘ભારત એક ખોજ’, 1949માં ધરમવીર ભારતીની નવલકથા ‘ગુન્હાઓ કે દેવતા’ પરથી બનેલી ‘એક થા ચંદર, એક થી સુધા’, આર.કે.નારાયણની ‘માલગુડી ડેય્ઝ’ વાર્તાઓ પરથી એ જ નામની પ્રચલિત શ્રેણી દૂરદર્શન પર આવેલી. અપવાદરૂપે રાજીન્દર સિંઘ બેદીની ‘લાજવંતી’ ઝી ટીવી પર અને ગો.મા.ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ સ્ટાર પર રજૂ થયેલી.

હવે દૂરદર્શનનું કામ સબ ટીવીએ હાથમાં લીધું હોય એમ તારક મહેતાના ‘દુનિયાને ઊંધા ચશ્મા’ પરથી બનેલી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આગામી 28મી જુલાઈએ 10 વર્ષ પૂરા કરશે. શરદ જોશીની નવલકથા ‘લાપતાગંજ’ પરથી એ જ નામની અતિ લોકપ્રિય શ્રેણી પણ આવેલી. ગુજરાતના લોકજીભે ચઢેલા પહેલા-વહેલા (જાધવ ભાભાને બાદ કરતા) હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડના વનેચંદને લઈને સબ ટીવી પર ‘પાપડપોળ’ નામની શ્રેણી શરૂ થયેલી પણ કંઈ કાઠું કાઢ્યું નહીં. આર.કે.લક્ષ્મણના કાર્ટૂનો પરથી પણ એક શ્રેણી કામિયાબ રહેલી. લોકોની રગ પારખી લીધી હોય એમ સબ ટીવીએ મહારાષ્ટ્રમાં ‘પુ.લ’ તરીકે વધુ લોકપ્રિય એવા પુ.લ. દેશપાંડે અને તેમની કૃતિઓ આપણી સમક્ષ લાવવાનું નક્કી કર્યું છે.  . આ શ્રેણી અને તેના પાત્રો વિશે વાત કરીએ એ પહેલાં આવો જાણીયે અને માણીયે પુ.લ. દેશપાંડે વિશેની કેટલીક ઉલ્લેખનીય વાતો:

8 નવેમ્બર 1919માં ભર બપોરે 2.30 વાગ્યે મુંબઈના ગાંવદેવી વિસ્તારમાં કૃપા હેમરાજ ચાલમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં દંપતિ લક્ષ્મણ અને લક્ષ્મીબાઈ દેશપાંડેને ત્યાં પુત્રનો જન્મ થયો. બાળકના જન્મ વખતે પુરુષોત્તમ (અધિક) માસ શરૂ હતો એટલે કુટુંબે એનું નામ ‘પુરુષોત્તમ’ રાખવાનું નક્કી કર્યું. મરાઠી સાહિત્યમાં આ પુરુષોત્તમ ખરેખર કલાના ક્ષેત્રે ઉત્તમ પુરુષ બનશે એવી આગાહી કે આકાશવાણી એ બાળકના જન્મ વખતે થઈ હશે. હાસ્યલેખક તરીકે જ નહીં, કુશળ સ્ટેજ અને ફિલ્મ અભિનેતા, સ્ક્રીપ્ટ લેખક, ગાયક, વક્તા, સંગીત બનાવનાર અને વાજિંત્રો વગાડનાર એવા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે આગળ વાત કરી એમ મરાઠી સાહિત્ય જગતમાં ‘પુ.લ.’ના નામે જાણીતા થયા. પુ.લ.ના પુસ્તકો અંગેજી અને કન્નડ ભાષામાં અનુવાદ થયેલા છે પણ ગુજરાતીમાં કોઈ અનુવાદ પ્રાપ્ત હોય એવી જાણકારી મને નથી, જે આપણી ગુજરાતી પ્રજા માટે એક ખોટ જ ગણવી રહી. સાઉથ બોમ્બેમાં ગ્રાંટ રોડથી જોગેશ્વરી પછી વિલે પાર્લેમાં અને છેલ્લે પુણેમાં રહેલા પુ.લ. એ બે વાર લગ્ન કરેલા પણ સંતાનસુખ ન હતું. પુ.લ. ના પુસ્તકો પરથી એમના વક્તવ્ય (ખાસ કરીને હાસ્યશૈલીમાં) ખૂબ જ પ્રચલિત થયેલા. ચાર્લી ચાપ્લીન અને રવિન્દ્રનાથ ટાગોર આ બંને પુ.લ. ના ફેવરીટ હતા.

બાળપણથી જ પુ.લ. ના ઘરમાં વડીલો તરફથી સંગીત બાબતે પ્રોત્સાહન મળતું રહેતું. ‘સંગીત’ અને ‘નાટક’ આ બે પરિવારના મુખ્ય આકર્ષણ હતા. પિતા વાણીના ચાહક, મામા ચિત્રકાર, નાના સાહિત્યકાર જેમણે ગુરુદેવ ટાગોરની ગીતાંજલિનો મરાઠી અનુવાદ ‘અભંગ ગીતાંજલિ’ કરેલો. પુ.લ. હાર્મોનિયમ વગાડતા શીખ્યા અને ચૌદ વર્ષની ઉંમરે જ મરાઠી ભાષાના પ્રસિદ્ધ અને મહાન ગાયક બાલગંધર્વ (1888-1967) પાસેથી શાબાશી મેળવી હતી. પુ.લ.ના ગુરુનું નામ હતું ચિંતામણરાવ. આ ગુરુ-શિષ્યની જોડીની કામગીરીમાં એટલી સામ્યતા હતી કે બંને મહાનુભાવોને ‘સાહિત્ય અકાદમી’ તરફથી તથા ‘સંગીત નાટ્ય અકાદમી’ તરફથી પુરસ્કાર મળ્યા છે. ભારતમાં બીજા કોઈપણ ભાષાના ગુરુ-શિષ્ય બેલડીને આવું સન્માન મળ્યું નથી. 1965ના વર્ષમાં પુ.લ. નાંદેડ સાહિત્ય સંમેલનના અધ્યક્ષ બન્યા ત્યારે શ્રીરામ માંડે નામના મરાઠી કવિએ ‘પુલાયન’ (આપણે ત્યાં પણ રમેશ પારેખે હસ્તાયણ, પગાયણ, શરીરાયણ, અરીસાયણ, રમેશાયણ અને ફોટાયણ જેવા કાવ્યો લખેલા છે) નામનું એક દીર્ઘ કાવ્ય લખી નાખ્યું. આ કાવ્યમાં એમણે પહેલી વાર ‘પુલકિત’ શબ્દ વાપર્યો અને પછીથી એ શબ્દ મરાઠી શબ્દજગતમાં ખૂબ જ લોકપ્રિય બન્યો.

લાગતું વળગતું: સાહિત્ય ને સીમાડા નહીં, સાહિત્યકારો ખુદ નડે છે…

1966માં પદ્મશ્રી અને 1990માં પદ્મભૂષણ સિવાય સાહિત્ય અકાદમી એવોર્ડ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, સંગીત નાટક અકાદમી ફેલોશીપ, મહારાષ્ટ્ર ભૂષણ, કાલિદાસ સન્માન જેવા અનેક એવોર્ડ અને પારિતોષિકોથી પુ.લ.ને નવાજવામાં આવ્યા છે. પુ.લ. રેડિયોમાં કામ કરતાં અને 79-80 વર્ષની ઉંમરે પણ આકાશવાણી પર પ્રસારિત કાર્યક્રમો માટે ઈન્ટરવ્યુ લેતાં. એકવાર હિન્દુસ્તાની ક્લાસિકલ ગાયક વસંતરાવ દેશપાંડેના ઈન્ટરવ્યુમાં રેકોર્ડીંગ ચાલુ હતું, રેકોર્ડીંગવાળાએ એક્સ્ટ્રા ટેપ લગાડી રાખી હતી (કે કદાચ સમય કરતાં વધુ વાર ઈન્ટરવ્યુ ચાલે), લોકો તલ્લીન હતા અને ઈન્ટરવ્યુની 28મી મિનિટે ધડામ દઈને પુ.લ. બોલ્યા – ઠીક છે વસંતરાવ, નમસ્કાર. અને તરત જ મુલાકાત પૂરી! પછી એમને પૂછવામાં આવ્યું કે આવું શું કામ કર્યું તો પુ.લ. એ એમની લાક્ષણિક અદામાં જવાબ આપ્યો – અરે, આપણે રેડિયોના માણસો છીએ. આપણા તો લોહીમાં ટાઈમ-મેનેજમેન્ટ હોય!

એક ખૂબ જ રસપ્રદ વાત એવી છે કે ભારત-ચીનના યુદ્ધ વખતે એક મરાઠી સૈનિક કડકડતી ઠંડીમાં થથરતો હતો. શરીરે પૂરાં કપડાં પણ ન હતા. પોતાની સાથે સરહદ પણ લાવેલા ‘દિવાળી અંકો’ને બાળીને સૈનિકે એક તાપણું સળગાવ્યું. એક એક કરતાં બધા દિવાળી અંકો એ તાપણામાં નાખવા લાગ્યો, ત્યારે એક અંકમાં લેખકનું નામ ‘પુ.લ. દેશપાંડે’ વાંચ્યું. લેખનું શીર્ષક હતું – મારું ખાદ્યજીવન. આગમાં નાખવા પહેલાં એ લેખ વાંચવાં લાગ્યો. કડકડતી ઠંડીથી બેચૈન સૈનિક ખૂબ જ કંટાળી ગયો હતો. જલ્દી મોત આવે એની વાટે બેસેલા આ સૈનિકે જ્યારે પુ.લ. નો લેખ વાંચ્યો ત્યારે બોલ્યો – અરે અરે, આ બધું ખાવા માટે તો મારે જીવવું જ જોઈએ. અને મનમાં એણે જીવવાનો નિર્ધાર કર્યો. કેવું લખાણ હશે પુ.લ. નું?

એક વાર એવું બન્યું કે પુ.લ. હાર્મોનિયમ લઈને પોતાના એક મિત્ર સાથે સંગીતસાધના કરતા હતા ત્યારે એમની પત્ની માટે કોઈનો ફોન આવે છે. હાર્મોનિયમ છોડીને ફોન ઉપાડ્યો તો પાડોશના એક બેનને ઈડલી બનાવવાની રેસિપી જોઈતી હતી. પત્નીના હાથમાં મહેંદી લાગેલી હોય છે એટલે આખી રેસિપીમાં પુ.લ. ફોન પકડીને ઊભા રહે છે. અને પત્નીના હાથમાં મહેંદી લગાડેલી જોઈને પુ.લ. ગીત ગાવાનું શરૂ કરે છે – મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગ લાગ્યો. ગુજરાતી ઉચ્ચાર એટલા શુદ્ધ કે તમે કહી જ શકો કે એક મરાઠી ભાષી માણસ આ ગાઈ રહ્યો છે.

પુ.લ. જ્યારે દિલ્હી સંગીત નાટ્ય અકાદમીના ઉપાધ્યક્ષ હતા ત્યારનો એક કિસ્સો છે. એક દિવસ બપોરના જમણવાર પછી સાહિત્યની મહેફિલ જામેલી. મહેફિલમાં એક પ્રસિદ્ધ નાટ્યકારનો પારો ચડેલો હતો. એમને પૂછ્યા વગર એમના કોઈ નાટકના બીજી કોઈ ભાષામાં શો થયેલા એટલે કોપીરાઈટ ભંગ થયા હોય એવો કંઈક મામલો હતો. ઘણાં લોકોએ સમજાવવાની કોશિશ કરી પણ સાહેબ ટસ ના મસ ન થયા. ચર્ચા વધુ ગંભીર બનતા પુ.લ.એ ત્યાં બાજુમાં રાખેલી હાર્મોનિયમ લીધી અને કહ્યું, હું મારા નાટકનો એક ભાગ તમને અત્યારે અહીં કરી બતાવું છું. આ ભાગનો કોપીરાઈટ કોઈ પાસે નથી. જે કોઈને આ ભાગની નકલ કોઈપણ ભાષામાં કોઈપણ ગામમાં કરવાની છૂટ આપું છું. પછી હાર્મોનિયમ વગાડવાનું શરૂ કર્યું. જેમ જેમ વગાડવાનું જામ્યું, પુ.લ.ની એક્ટિંગ કુશળતા બહાર આવતી ગઈ.

એક પણ શબ્દ બોલ્યા વગર એમણે એવી કલાકારી બતાવી જેમાં આરોહ-અવરોહથી એક પ્રેમી-પ્રેમિકાનો પ્રેમ, પ્રેમી કઈ રીતે પ્રેમિકાને પ્રેમયાચના કરતો, પ્રેમિકા કેવી શરમાતી, બંનેના લગ્ન, લગ્ન પછી ઝઘડા, ફરી પ્રેમ, ફરી મસ્તી – એમ સંગીતમાં જ તેમણે એક પણ શબ્દ બોલ્યા વગર અર્ધો કલાક આવી મહેફિલ જમાવી. આ મહેફિલના સાક્ષી એક મહાશયે એવું એક જગ્યાએ લખ્યું છે કે “કોઈ પણ પૂર્વતૈયારી વગર પૂર્વસૂચના વિના આ માણસ આટલું સરસ પરફોર્મન્સ આપી શકતો હોય તો એ નાટક અને કળાના વિષયમાં કેટલા પરિપક્વ હશે? આ માણસની આજુબાજુ મહારાષ્ટ્રનું સાંસ્કૃતિક જગત શા માટે કેન્દ્રિત છે, એનો જવાબ પુ.લ. એ ફક્ત 30 મિનિટમાં આપી દીધો.” (પેલા ગુસ્સાયેલા નાટ્યકારને એ વાતની ખબર પડી ગઈ કે લોકો ભલે તમારા નાટકની સ્ક્રીપ્ટ કોપી કરીને બીજી ભાષામાં પરફોર્મ કરતાં, પણ ઓરિજીનલ એ ઓરિજીનલ!)

MA અને LLBની ડીગ્રી હતી અને નાટ્ય કે ફિલ્મનિર્માણના દરેક પાસાઓના જાણકાર હતા. પુ.લ.ની છેલ્લી ફિલ્મ હતી – ગુળાચા ગણપતી! તેમાં સર્વેસર્વા પુ.લ. જ હતા. કથા, પટકથા, સંવાદ, સંગીત, દિગ્દર્શન અને ફિલ્મના હીરો પણ પોતે. ફિલ્મ ખૂબ જ ચાલી પણ પુણેમાં જ્યારે એ ફિલ્મ રજૂ થઈ ત્યારે પુ.લ.  ને એક આમંત્રણ પણ નહતું. પોતે પત્ની સાથે ટિકિટ લઈને ફિલ્મ જોવા ગયેલા. દેશપાંડે અને તેમની પત્ની સુનિતા બંનેએ ઓરિયેન્ટ હાઇસ્કૂલ, મુંબઈમાં શિક્ષક તરીકે અને વર્ષો સુધી રાની પાર્વતી દેવી કોલેજ બેલગામ (કર્ણાટક) અને કિર્તી કોલેજ (મુંબઈ)માં પ્રોફેસર તરીકે કામગીરી બજાવી. દૂરદર્શન જ્યારે નવું નવું સ્થાપિત થયેલું એ વખતે પુ.લ.એ કામ કરેલું છે. ભારતીય ટેલિવિઝન પર તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની મુલાકાત લેનાર તે પ્રથમ વ્યક્તિ હતા. એ જમાનામાં BBCમાં તાલીમ માટે પુ.લ. ને એકાદ વર્ષ માટે મોકલવામાં આવેલા. બાદમાં ફ્રાન્સ અને પશ્ચિમ જર્મનીમાં પસાર કરેલા સમયના આધારે તેમણે પોતાનો પહેલો પ્રવાસવર્ણન-નિબંધ ‘અપૂર્વાઈ’ લખેલો. જટીલ સ્નાયુઓ અને પાર્કિન્સન્સ (ધ્રુજારી)ના રોગને લીધે પુ.લ. દેશપાંડે પુણે, મહારાષ્ટ્રમાં 12 જૂન 2000 ના રોજ મૃત્યુ પામ્યા. યોગાનુયોગ એવો કે એ દિવસે તેમના લગ્નની 54મી વર્ષગાંઠ હતી.

પુ.લ.ની 60મી વર્ષગાંઠ વખતે એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ થયેલી જે Youtube પર ઉપલબ્ધ છે. જો રસ હોય અને મરાઠી સમજાતું હોય તો જરૂર જોજો. અચ્છા, તો આ બધી વાતમાં ‘નમૂને’ વિશેની વાત તો રહી ગઈ. પુ.લ.ના નાટકો, હાસ્ય વક્તવ્યો અને નમૂનાઓ વિશે આવતાં અઠવાડિયે… नक्की या, पुढच्या मंगळवारी…

પડઘોઃ

જીવનમાં મને ગમતી એક વાત કહું છું. આજીવિકા માટે આવશ્યક એવા વિષયનું શિક્ષણ જરૂર લો. પાપી પેટના ભરણપોષણ માટે કોઈ વ્યવસાય-નોકરી દિલથી કરો પણ સાહિત્ય, ચિત્રકામ, સંગીત, નાટક, શિલ્પ, હસ્તકળા, ખેલકૂદ – આમાંથી કોઈ એક કળા સાથે મૈત્રી જરૂર કરો. વ્યવસાય-નોકરી તમને જીવાડશે પણ કળા દ્વારા મળેલી મૈત્રી તમને ‘શું કામ જીવવું?’ એ શીખવાડશે.

-પુ.લ.

eછાપું 

તમને ગમશે: વિવિધ પીણાં – આકરા ઉનાળામાં આત્માને પરમ શાંતિ આપતું અમૃત

1 COMMENT

  1. તારક મહેતા પ્રત્યે પૂરા માન અને સન્માન સાથે કહેવું પડે કે પુ લ સાથે એમની સરખામણી ન કરાય.
    પુ લ બહુ બહુ મોટા ગજાના હાસ્યકાર. વિશ્વસ્તરના. તારક મહેતા આપણી ભાષાના ટોપ 5મા આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here