શું તમને રેડીયમ, લંડન મેચ અને કેનેરી વિષકન્યાઓ વિષે માહિતી છે?

11
880
Photo Courtesy: freaked.com

૨૦ મી સદી માં રેડીયમ શોધાયું ત્યારે એક મિરેકલ અમૃત સમાન વસ્તુ શોધાઈ હોઈ એવા આનંદો આનંદો થવા માંડ્યા. આ શોધના કારણે આજે પણ રેડીયમ ગર્લ્સના કોફીનમાં તેના હાડકાં ચમકે છે અને હજુ હજારેક વરસ સુધી ચમકતા રહેવાના છે.એ રેડીયમ ગર્લ્સ કે જે ફેક્ટરી માલિકોની બેદરકારીનો ભોગ બની, રોગથી પીડાઈ ત્યારે સીફીલીસનો ચેપ લાગ્યો હોવાનું જણાવી અનૈતિક સેક્સ જેવા છીછોરાં છાંટા ઉડાડી કેરેક્ટરની બાબતે પણ કોર્ટમાં બદનામ કરવામાં આવી. જ્યારે ન્યાય મળ્યો ત્યારે ચુકાદો સાંભળવા માત્ર તેમાંની એક જીવતી હતી એ રેડીયમ ગર્લ્સ…ચમકતી દુનિયાનું એક અંધકારમય સત્ય.

પહેલી વિષ કન્યા… રેડીયમ ગર્લ્સ …

Photo Courtesy: freaked.com

વાતની શરૂઆત થાય છે ૧૯મી સદી માં… ચમકતા રેડીયમથી વસ્તુઓને રંગવાની હોડ જામી હતી. બટનો, ઘડિયાળના ડાયલો, હેન્ડલો, સ્વીચ, રમકડાં, કપડાં વગેરે. એમાંય સૈનિકોને મોકલાતી ઘડિયાળો અંધારામાં પણ ચમકે એના માટે એને રેડીયમથી રંગાતી, એને રંગતી આ રેડીયમ ગર્લ્સ. આ કન્યાઓ પરોક્ષ રીતે સેનાને મદદ કરતી હોવાનો ગર્વ અનુભવતી.

પરંતુ રેડીયમ મિશ્રિત રંગની પીંછી થોડીથોડીવારે સુકાઈ જતી આથી એ પીંછીને મોમાં મૂકી ભીની કરી એને અણીદાર બનાવાતી, આવું જ શીખવ્યું હતું અનડાર્ક કંપનીના માલિકોએ. આ કન્યાઓ રેડીયમથી રોજના લગભગ સાડાત્રણસો ડાયલ રંગતી. આ રેડીયમનું બંધારણ કેલ્શિયમ સમાન હોઈ શરીર એને સમજવામાં થાપ ખાઈ ગયું અને હાડકાંઓમાં રેડીયમ જમા થવા માંડ્યું. આયુર્વેદમાં આને દુષિવિષ કહે છે. ધીરેધીરે શરીરમાં જમા થતું નબળું ઝેર. એક રેડીયમ ગર્લ તેનો દુઃખતો દાંત પડાવવા ગઈ ત્યારે ડેન્ટીસ્ટના હાથમાં તેનું આખું નીચલું જડબું આવી ગયું, કેમકે તેના હાડકાં પોલાં સ્પોંજ જેવા થઇ ચુક્યા હતા.

આ રેડીયમ કન્યાઓ અંધારામાં પણ ચમકતી. તેમના પેશાબ-થુંક બધું અંધારા માં ચમકતું. નોકરી કરીને રાત્રે આવતી કન્યાઓ ભૂત જેવી ચમકતી અને ફેક્ટરીના ડ્રેસ લોકો રાત્રે પાર્ટીઓ માં ચમકવા પહેરતા. અરે એ વખતે રેવિએટર નામનું નાનું એક્વાગાર્ડના ડબ્બા જેવું હોમ એપ્લાયન્સ મળતું જેમાંથી રેડીયમવાળું પાણી આવતું. જેનાથી તમામ રોગો દુર થઇ જાય છે એવો દુષ્પ્રચાર કરવામાં આવતો અને લોકો હોંશેહોંશે આ પાણી પીતા. રેડીયમ વાળા બટર મળતા બ્રેડ પર લગાડી લોકો ખાતા. રેડીયમ ભરેલી કેપ્સુલ મળતી જેને એક લીટર પાણી માં રાત્રે મૂકી રાખવાથી રેડીયમ ચાર્જ વોટર પીવા માટે બનતું ને આ કેપ્સુલ લાઈફ ટાઈમ ચાલવાની હતી.

સ્ત્રીઓ રેડીયમ વાળો મેકઅપનો સમાન લેતી, નાઈટ પાર્ટીઓમાં બોયફ્રેન્ડ માટે રેડીયમથી દાંત રંગીને જતી અને હોંઠે પણ આવી લીપસ્ટીક લગાવતી. બેક્ટેરિયા સામે લડી પાયોરિયા દુર કરવા ડેન્ટીસ્ટકા સુઝાયા નંબર 1 બ્રાંડરૂપી આ ટુથપેસ્ટ ઘસાવા લાગી. પરિણામે સીધી અસર લોકો પર પડવા લાગી હાડકાં, દાંત બટકણા થઇ પડવા લાગ્યા અને છેવટે મોતના  મુખમાં આ કામદારો ધકેલાઈ ગયા. આશરે 4000થી વધુ આ ચમકતાં સિતારા ડૂબી ગયા.

આવું જ બીજું ઉદાહરણ લંડનમેચ ગર્લ્સ

લંડનમાં દિવાસળીઓ બનાવવાના કારખાનામાં એ વખતે સફેદ ફોસ્ફરસ વપરાતો. એની કેમિકલ ધુમાડીને પાવડર સતત શ્વાસમાં જવાથી અહીં નોકરી કરનારના હાડકાંમાં જમા થતો. અસરગ્રસ્ત હાડકા લીલાશ પડતી સફેદ ઝાંયવાળા બની અંધારામાં ચમકતાં. હાડકાં જયારે પોલા થાય ત્યારે એની સારવારમાં ફોસ્ફરસ વાળું તત્વ વપરાય છે પણ આ ફેક્ટરીમાં શ્વાસમાં તેનાથી 1000 ગણું શક્તિશાળી તત્વ જવાથી નીચલા જડબામાં ગાંઠો થતી અને પછી એ સંકોચાતા ગરોળી જેવું મો બની જતું. અહી પણ રેડીયમ ગર્લ્સનો જ ઈતિહાસ લખાયો. કામદારો ફરી મોતના મુખનો કોળીયો બન્યાં.

ને ત્રીજી વિષ કન્યાઓ.. કેનેરી ગર્લ્સ…

જેમ પારસમણી જેને અડે એ પીળું સોનું થઇ જાય એવી હતી આ કેનેરી ગર્લ્સ. ટીફીનના સમયે કોઈ એની સાથે ન જમતું કેમકે એ જેને અડે એ વસ્તુ પીળી પડવા માંડતી. કેનેરી નામનું પક્ષી બ્રિટનના અમુક ભાગમાં જોવા મળતું જે પીળાશ પડતું કથ્થાઈ રંગનું હતું. બ્રિટનમાં યુદ્ધમાં મોટે ભાગે પુરુષવર્ગ જતા ફેકટરીઓ માં કામદારોની અછત વરતાવા લાગેલી. પરિણામે સ્ત્રીઓને બોમ્બ બનાવવાના કારખાનામાં કામ કરવા મોકલાતી. દેશસેવાની આળ નીચે ટ્રીનીટ્રોટોલ્યુઇન ભરવા અને એને ઢાંકણાં લગાવવાનું કામ કરાવાતું. એમાંથી નીકળતી સફ્યુરિક એસીડની ઝાંયથી આ કન્યાઓનો રંગ પીળો પડવા લાગ્યો. મોટાભાગનાને એનેમિયા અને કમળો થયાં. વાળ લીલાશ પડતા બન્યા. બાળકો પણ પીળા પેદા થવા લાગ્યા છેલ્લે અસરગ્રસ્તમાંથી ચોથા ભાગના લોકો મૃત્યુ પામ્યા.

આ બધી પિષ્ટપેષણ એટલા માટે કરવાની કે હમણાં સીલીકોસીસના રોગીઓને 100% અપંગતા ગણી તેમણે કેસ કર્યો ત્યાર થી 8% લેખે વળતર આપવાનો આદેશ કોર્ટે ESIS-કામદાર રાજ્ય વીમા યોજનાને કર્યો. પંચમહાલ બાજુ પથ્થર દળવાના કારખાનામાં 500થી વધુ લોકોના આ રીતે મોત થયા અને 500 થી વધુ હાલ પીડાતા હોઈ તેમણે કામદાર રાજ્ય વીમા યોજના વિરુદ્ધ કેસ કર્યો નીચલી કોર્ટમાં કેસ જીતી જતા કામદાર રાજ્ય વીમા યોજનાએ હાઇકોર્ટમાં અપીલ કરી અને ત્યાંથી પણ કામદારો જીત્યા.

હાલ પથ્થર ની ખાણો, કારખાનામાં સીલીકોસીસથી પીડાવું સામાન્ય બન્યું છે. કામદાર રાજ્ય વીમા યોજનાની ફરજ છે કે તેમને રક્ષણ આપવું અને આવા રોગો સામે તેમના શરીરને આવરણ બક્ષવું. કામદાર રાજ્ય વીમા યોજનામાં આયુર્વેદના દવાખાના પણ છે. આવા રોગીઓને દુષિવિષથી પીડાતા હોવાનું આયુર્વેદમાં જણાવાયું છે. નબળું ઝેર વધુ માત્રામાં ભેગું થાય અને મૃત્યુકારક કારણો સાથે સંકળાય અથવા શરીરની જીવનીય શક્તિને ચલાવતી સીસ્ટમ પર હુમલો કરે તો મનુષ્ય ક્રમશ: મૃત્યુ તરફ ધકેલાતો જાય.

લાગતું વળગતું: આવો પંચકર્મ ને સાચા અર્થમાં જાણો

આયુર્વેદમાં સહુથી મોટો માસ્ક એટલે રોજ સવારે નાકમાં ગાયના ઘીના બે-બે ટીપાં મૂકીને જ ઘરની બહાર નીકળવું. આનાથી મોટા ભાગની અશુદ્ધિઓ-ધૂળ-ધુમાડા સામે રક્ષણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. દિનચર્યામાં સવારે ઉઠી માથા-નાક-કાનમાં તેલ પૂરવાથી ક્યારેય રોગો થતા નથી અને ઉત્તમાંગ એવા માથામાં થતા રોગો સામે શરીરની બધી જ ઇન્દ્રિયો મજબુત બને છે. દવાવાળું એક અણુતેલ જો નાકમાં રોજ નંખાય તો વાળ કાળા થઇ દ્રષ્ટિ પણ તેજ થાય છે અને બુદ્ધિ ઉપર કફનું આવરણ ન ચડવાથી જડતા આવતી નથી. એક સંન્યાસી એ બે મણ અણુતેલ પોતાની પૂરી જિંદગી માં આમ નાક વાટે માથામાં ઉતારેલું અને એના ફાયદાનું પ્રવચનમાં વર્ણન પણ કરતા.

જો આવા ઓક્યુપેશનલ રોગો આપની ફેક્ટરીમાં ના થાય એવું આપ ઈચ્છતા હોવ તો પ્રથમ આ નાકમાં ત્રણ ટાઇમ ટીપાં નાંખવાનું ફરજીયાત કરાવો. પછી આવે છે વમન. જેમાં પાંચ થી સાત દિવસ ઘી પીવડાવી માલીશ શેક કરાવાય છે. ઘી થી આખા શરીરમાં હાડકાં જેવી ધાતુમાં રહેલા વિષાક્ત તત્વો પણ ઓગળી ને કોઠામાં આવી જાય છે માલીશ શેકથી આ તત્વો વધુ લીક્વીડીટી પકડે છે અને છેલ્લે મીંઢળવાળા દૂધ કે શેરડીનો રસ પીવડાવી કોઠામાંથી સાત-આઠ ઉલટીઓ કરાવી બધા વિષાક્ત તત્વો શરીરમાંથી બહાર કાઢી નંખાય છે. કામદાર રાજ્ય વીમા યોજનામાં આપના કામદારોને મોકલી ફરજીયાત આ પંચકર્મ વરસે એકવાર કરાવવું જ જોઈએ અને વધુ અસરગ્રસ્ત લોકોને આયુર્વેદ હોસ્પિટલમાં દાખલ કરી બસ્તિ અને બીજી ટ્રીટમેન્ટ આપવી જોઈએ. આ સાથે ફેફસાંમાંથી વિષાક્તતા દુર કરવા કેટલાક નિર્દોષ ચૂર્ણો, આસવ-અરિષ્ટ, આયુર્વેદ ધુમપાન, છાતી પર માલીશ શેક, નાગરવેલના પાન, તુલસી મધના ઉકાળા વગેરે આપવું.

જયારે રોગચાળાનો વાવડ હોય ત્યારે ઘણા ફેક્ટરીવાળા આયુર્વેદિક કીટ બનાવી કામદારોને વહેંચે છે. લેબર દેશનો પાયો છે, તંદુરસ્ત કામદારોથી જ દેશનો વિકાસ થશે અને પાણી પહેલા પાળ આયુર્વેદ બાંધી આપે તો લાભ લેવામાં આળસ ન કરવી.

જય આયુર્વેદ!

eછાપું

તમને ગમશે: ભારત દેશ : જાણેકે દુષણોના સાત કોઠામાં ઝઝૂમતો અભિમન્યુ

11 COMMENTS

  1. જબરદસ્ત લેખ…. બિન જરૂરી પોલિટિકલ કે ક્રિકેટ મેચ કે ગ્લેમર વર્લ્ડ જેવી ફાલતુ ને પેઈડ મીડિયા ના કારણે સમાચાર મતલબ ગંદવાળો સમજતા લોકો માટે આવા ઉત્તમ લેખ ની વિસ્તૃત લેખમાળા શરૂ કરવી જોઈ…

    ખુબ ખુબ અભિનંદન

  2. સિલિકોસિસ બીમારી થી પીડિત માણસ સારા થઈ શકે તેમ છે કે નહીં ??

  3. ખુબ જ સરસ લેખ, આધુનિક વિજ્ઞાન અને ભૌતિક સુખ સગવડો પાછળ આંધળી દોડમાં મનુષ્ય પોતાના શારિરીક સુખ શાંતિ જાળવવા માં ઊણો ઉતર્યો છે. આયુર્વેદ એ માટે ફરી થી તક આપે છે. આનંદ થયો કે આવો લોકો માં જાગૃતિ લાવવાનો પ્રયત્ન થયો.
    આશા છે કે, ખોરાક માં લેવાતા ઝેર વિશે પણ લખશો..
    ખૂબ ખૂબ આભાર ..! 👌🏻👍🏻💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here