પાણીપુરી પર પ્રતિબંધ અને તેની સામાજીક તેમજ આર્થિક અસરો – એક નિબંધ

0
433
Photo Courtesy: amarujala.com

સરકાર દ્વારા પાણીપુરી પર પ્રતિબંધ મુકવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. તબક્કાવાર પાણીપુરી ઉપર પ્રતિબંધ મુકાશે એવું પણ જાણવા મળ્યું છે. પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ મુક્યો ત્યાં સુધીતો સમાજ ઉપર તેની કોઈ અસર દેખાતી નહતી પણ પાણીપુરી જેવા સ્ત્રી સમાજનાં રાષ્ટ્રીય ખોરાક ઉપર પ્રતિબંધ મૂકીને સરકાર જાણે સ્ત્રીઓની સ્વતંત્રતા છીનવી રહી છે. સરકારનું એવું કહેવું છે કે  પાણીપુરી ખરાબ આવે છે એટલે બંધ કરવી જોઈએ અને આ પ્રતિબંધથી સમાજમાં ઘણા ઘેરા પ્રત્યાઘાતો પડશે. તો આવો જાણીએ કે પાણીપુરી પ્રતિબંધ થી સમાજ ઉપર કેવી અસર થશે.

Photo Courtesy: amarujala.com

છોકરીઓ ચાર વાર ખરીદી કરવા જાય છે એમાંથી એક વાર ખરીદી કરે છે અને ત્રણ વાર ખરીદી કર્યા વગર પાછી આવે છે પણ જેટલી વાર ખરીદી કરવા જાય છે પાણીપુરી તો દરેક વખતે ખાય છે આ ચવાઈ ગયેલા વોટ્સએપ જોકનું હવે શું કરવાનું એની ચોખવટ સરકારે કરી નથી કે પાણીપુરીનાં પ્રતિબંધ દરમિયાન વોટ્સએપનો આ જુનો જોક ફોરવર્ડ કરી શકાશે કે નહીં??

પુરૂષો ઉપર પાણીપુરી પરના પ્રતિબંધથી ખરાબ અસર થવાની છે. આમે પુરૂષો જોડે સારું ઘણું ઓછું થાય છે એટલે વધુ ખરાબ એ થવાનું છે પહેલા દસ રૂપિયાની પાણીપુરી ખવડાવીને જે ગર્લફ્રેન્ડને પટાવી શકાતી હતી હવે એ અંગેનું બજેટ વધારવું પડશે કેમકે દસ રૂપિયામાં બીજી વાનગીઓનાં ઓપ્શન બહુ ઓછા છે. આ બજેટમાં માત્ર સીંગ-ચણા જ બચે એવો ભય પણ પુરુષોને અત્યારથી જ ધ્રુજાવી રહ્યો છે.

લાગતું વળગતું: પાણીપુરી એટલે મહિલાઓ માટે બસ જગ ઘુમૈયા થારે જૈસા ના કોઇ જેવુંજ

શીતળાસાતમની સાંજે આખા ગુજરાતનું કોમન મેનુ એવી પાણીપુરી બનાવવા અને ખાવા પર પ્રતિબંધ આવશે તો ફરજીયાતપણે શીતળાસાતમની સાંજે પણ સવારના ઢેબરા ખાવા પડશે એટલે સવાર-સાંજ ઠંડા ઢેબરા ખાવાથી પાણીપુરી જેટલું જ પેટ બગડશે કે એનાથી વધારે પેટખરાબ થશે એનો કોઈ તાગ હજુ સરકારના ખાદ્ય વિભાગ દ્વારા મેળવી શકાયો નથી.

એપલના પ્રોડક્ટ વાપરીને પણ સફરજનના દુશ્મન એવા ડોક્ટર સમાજ પણ ન સમજાય એવી ભાષામાં લેખિત રીતે જોરદાર લખાણ લખીને પાણીપુરી પરના પ્રતિબંધનો વિરોધ કરશે કેમકે An apple a day keeps doctor away. જ્યારે પાણીપુરી જેવી સ્વચ્છ નાહ્યા વગરના  ભૈયાજીના પરસેવાથી બનેલી વાનગીના કારણે કેટલાય ડોકટરની પ્રેક્ટીસ ચાલતી હોય છે જે બંધ થઇ જશે, અને ડોકટરની પ્રેકટીસ ઓછી થવાની સીધી અસર દવાની દુકાનોવાળા અને દવાનું પ્રોડક્શન કરતી કંપનીઓ ઉપર પડશે. લાખો હજારો લોકો બેકાર થઇ જશે આર્થિક મંદી આવી જશે. GDP ગ્રોથ નીચે જતો રહેશે રિઝર્વ બેંક રેટ હાઈક કરી નાખશે, રૂપિયાનું અવમુલ્યન થશે અને વિપક્ષ પાછો ઉત્સાહમાં આવી જશે.

હિન્દી રાષ્ટ્રભાષાનું ચલણ પણ પાણીપુરીના પ્રતિબંધના કારણે ઓછું થઇ જશે. ખબર નહીં પણ ગુજરાતમાં કોઈ ગુજરાતીજ પાણીપુરી વેચતો હોય તોય લોકો એની જોડે હિન્દીમાં વાત કરતા હતા. જેમકે, “ભૈયા થોડા તીખા બનાવજો” “તુમ મસાલા તો નાખતા હી નહીં હૈ” “દસ રૂપિયા કી પાણીપુરી નથી થઇ અભી એક બાકી હૈ” “મસાલા પૂરી તો આપને કા ને ?” જેવી હિન્દી ભાષા પાણીપુરી ઉપરના પ્રતિબંધના કારણે  ધીમેધીમે વિલુપ્ત થઇ જશે.

પાણીપુરી પરના પ્રતિબંધની  શેરો શાયરી ઉપર પણ માઠી અસર પડશે.

પ્રેમ ગયા પૈસા ગયા,

તૂટ ગયા સંસાર,

મુહ ના દિખાયા આજતક,

જિસકો દિયા ઉધાર”

 

“મેં નગદ લાઉં તુમ્હે ઉધાર ખીલાઉં,

ઈરાદા ક્યા હૈ અમદાવાદ છોડ જાઉં.”

 

“માંગો ખુદા સે બંદે સે નહીં,

દોસ્તી હમસે ધંધે સે નહીં”

આવી જોરદાર શેરો શાયરી પાણીપુરીની લારીઓ ઉપર લખેલી જોવા મળતી હતી હવે આ બધું લુપ્ત થઇ જશે.

ધીમે ધીમે વર્ષો વિતતા જશે અને 2050ના વર્ષમાં કોઈ પાણીપુરીનો ફોટો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂકીને કહેશે કે ફક્ત 2018નાં લોકો ને જ આ વાનગી વિષે ખબર હશે એમ કરીને લાઈકની ઉઘરાણી કરી જશે.

અજ્ઞાન ગંગા

સ્ત્રી 1: ચલ પાણીપુરી ખાવા જઈએ.

સ્ત્રી 2: કેમ?

સ્ત્રી 1: અરે! નોટો બંધ થવાની હતી એ પહેલા સોનું ખરીદવા જવાય છે તો પાણીપુરી બંધ થવાની છે એ પહેલા એને ખાવા નઈ જવાનું?

સ્ત્રી 2: સોરી યાર ચલ…જઈએ છેલ્લીવાર પાણીપુરી ખાઈ લઈએ ત્યારપછી આપણે ગોલ-ગપ્પા જ ખાઈશું.

લી. – વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી.

eછાપું 

તમને ગમશે: અલ્યા આ SWIGGY ને Free Home Delivery કરવી કેમની પોસાતી હશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here