“મારે પણ એક ઘર હોય” – પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલાં શું ધ્યાનમાં રાખશો?

0
285
Photo Courtesy: rayting.in

સૌથી પહેલા તો એ જોવાનું કે પ્રોપર્ટીમાં રોકાણ તમારી જરૂરિયાત છે કે એક ઇન્વેસ્ટમેન્ટ? તો આપણે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ ન જોતા એક જરૂરિયાત હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું એ જોઈએ? દરેક વ્યક્તિનું સ્વપ્નું હોય કે “મારે પણ એક ઘર હોય “ તો ઘર લીધા વિના છૂટકો જ નથી, પરંતુ એ પહેલા જુઓ કે તમારી નોકરી કયા પ્રકારની છે?

Photo Courtesy: rayting.in

જેમકે ટ્રાન્સફરવાળી સરકારી નોકરી હોય કે પછી તમે દર ચાર પાચ વર્ષે નવી નોકરી બદલવાના હોવ તો ઘરને લેવાની ઉતાવળ કરવાની જરૂર નથી. શક્ય છે તમારી નવી નોકરી અન્ય કોઈ શહેરમાં હોય એથી જયારે તમે એ નક્કી કરી શકવાની ક્ષમતા મેળવો કે કયા શહેરમાં તમારે કાયમી વસવાટ કરવો છે ત્યાર બાદ જ ઘરને લેવાનો વિચાર કરવો યોગ્ય રહેશે. માત્ર શહેર જ નહીં શહેરના કયા એરિયામાં રહેવું છે એ પણ નક્કી કરી શકો એ મહત્વનું છે કારણકે ઘરનું બજેટ શહેરના એરિયા મુજબ જુદું જુદું થઇ જતું હોય છે.

ઘરને લેવા જે લોન તમે લેશો અને એના EMI દર મહીને ભરશો એનું વ્યાજ આશરે દસ ટકા વાર્ષિક આવશે પરંતુ જો તમે એટલી જ રકમ ઇક્વિટી મ્યુચ્યુઅલફંડ કે શેરમાં રોકાણ કરશો તો તમને વાર્ષિક 12% થી 15% છૂટશે જે ભેગા કરવાથી તમે દસ વર્ષ પછી ઓછી લોને વધુ સારું અને મોટું આવાસ લેવા સક્ષમ બનશો. તો આવા સંજોગોમાં ઘર લેવાનું મુલતવી રાખી શકાય. વળી નવી નોકરીમાં તક વધુ હોય તો ભારે EMI તમને એ તક ગુમાવવાનું કારણ પણ બની શકે

લાગતું વળગતું: ઘરનું બજેટ: દર વર્ષની શરૂઆતમાં બચત અને રોકાણનું આયોજન કરો

જો બાપાનું ઘર મોટું હોય તો બાપા સાથે રહેવામાં જ મઝા છે કારણકે જવાબદારી વહેચાઈ જાય છે અને બચત વધી જાય છે. પરંતુ છતાં તમે આવાસ લેવા ઈચ્છો તો એ તમારું ઘર એ એક રોકાણ માત્ર જ છે એથી એ રોકાણ EMI સાથે કદી ના હોઈ શકે હા જો એનું ભાડું તમને EMI અને ઘરના મેઈન્ટેનન્સ ખર્ચ કરતા વધુ આવક રળી આપતું હોય તો એ ખરીદી શકાય.

હા એ વાત સાચી છે કે પ્રોપર્ટીના ભાવ સતત વધે છે પરંતુ જયારે તમે તમારા પોતાના કાયમી વસવાટ માટે હોમ લેતા હોવ ત્યારે એ ભાવ વધારાનો કોઈ અર્થ નથી કારણકે એ તમે વેચવાના નથી પરંતુ માણવાના છો તો દેવું લઈને એ કઈ રીતે માણી શકાય ? હા જ્યાં ઘર જરૂરી જ છે ત્યાં જ  લોન લઇ ઘર લેવું જોઈએ. ઘર લેવું જરૂરી ત્યારે જ કહેવાય કે જયારે હાલનું હોમ નાનું હોય, એક કુટુંબ વધારે સમય સાથે રહી ના શકે, ઘરમાં બે ત્રણ ભાઈ ભાંડું હોય સયુંકત કુટુંબ હોય ત્યાં જરૂરી બની જતું હોય છે.

પ્રોપર્ટી લેવાની સાચી ઉમર 35 થી 40 વર્ષની વચ્ચે છે જેથી એ દરમ્યાન યોગ્ય નાણાકીય આયોજન કરી વધુમાં વધુ બચત કરી ઓછામાંઓછા EMI આવે અને 15 થી 20 વર્ષ સુધીમાં લોન ભરપાઈ થઇ જાય એટલેકે તમારી ઉમર 60 વર્ષ કે જે નિવૃતિની વય છે એ પહેલા લોન ભરપાઈ થઇ જાય એ મુજબ આયોજન જ યોગ્ય છે, નહીં તો નાણાકીય મુશ્કેલીઓ આવી શકે છે.

નાની ઉમરમાં ઘર લેવાનો વિચાર કરવાથી એક તો આવક ઓછી હોય એથી બજેટ પણ નાનું થઇ જાય એથી ઘર પણ નાનું મળે. પરંતુ જો સારી એવી બચત કરી ઘર લીધું હોય તો ઘર મોટું મળી શકે. વળી આવક પણ વધવાથી લોન પણ વધુ મળી શકે અને મોટું ઘર લઇ શકાય. તમારી ચોક્કસ આવક કેટલી રહેશે અને દર વર્ષે કેટલી વધી શકે છે એનો અંદાજ તો તમને 35 થી 40 વર્ષની ઉમરે જયારે તમે નોકરી કે ધંધામાં સ્થિર થાવ ત્યારે જ આવે છે તો ત્યાં સુધી જેમ બને એમ વધુ બચત કરવી જ યોગ્ય રહેશે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: શું તમે રાજનીતિ શાસ્ત્ર પ્રમાણે ઉપવાસના નિયમો જાણો છો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here