પોસ્ટ ઓફીસ નાનામાંનાના માણસની બચતની જરૂરિયાત પૂરી કરે છે. તમે રૂ 20 માત્રથી પોસ્ટ ઓફિસમાં બેન્કની જેમ ખાતું ખોલાવી શકો છો અને એમાં ઓછામાંઓછું બેલેન્સ જાળવવા માટે પણ માત્ર રૂ 50 ની જરૂર છે અને આ બચત બેંક પર તમને વાર્ષિક 4% વ્યાજ મળે છે.

તો પોસ્ટ ઓફિસમાં રીકરીંગ ડીપોઝીટ શરૂ કરવા માત્ર રૂ 10 માસિક જમા કરાવવાથી થઇ શકે છે અને પાંચના ગુણાંકમાં રીકરીંગ ડીપોઝીટ શરુ કરી શકાય છે. પોસ્ટ ઓફીસ રીકરીંગ ડીપોઝીટ પર હાલ 6.9% વાર્ષિક વ્યાજ મળે છે
પોસ્ટ ઓફીસ ટાઈમ ડીપોઝીટ એ ફિક્સ્ડ ડીપોઝીટ સ્કીમ છે જેમાં તમે એક વર્ષ થી લઇ પાંચ વર્ષ સુધી ફિક્સ્ડ ડીપોઝીટ કરી શકો છો. આ યોજનામાં એક વર્ષ માટે વાર્ષિક વ્યાજ છે 6.6% અને પાંચ વર્ષ માટે છે 7.4%
પોસ્ટ ઓફીસ મંથલી ઇન્કમ સ્કીમમાં તમે વધુમાં વધુ રૂ 4,50,000 મૂકી શકો છો અને જો જોઈન્ટ ખાતું હોય તો રૂ 9 લાખ મૂકી શકો એના પર તમને દર મહીને 7.3% વાર્ષિક દરે વ્યાજ મળે છે.
તો સીનીયર સીટીઝન માટે વાર્ષિક 8.3% ના દરે તમે વધુમાં વધુ રૂ 15 લાખ મૂકી શકો છો એના પર ત્રિમાસિક વ્યાજ મળે છે.
પોસ્ટ ઓફીસના જ નેશનલ સેવિંગ્સ સર્ટીફીકેટમાં તમે રૂ 100 થી રોકાણ કરી શકો છો. ત્રણ વર્ષમાં તમારા રૂ 100 ૧૪૪.૨૩ થશે જે 7.6% વ્યાજ સૂચવે છે; તો કિસાન વિકાસ પત્ર માં તમે રૂ 1000 થી રોકાણ કરી શકો છો જેમાં 7.3% દરે વ્યાજ મળે છે જે 9 વર્ષ 10 મહિનામાં બમણા થશે.
લાગતું વળગતું: સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલેકે SIP માં રોકાણ કરવું એટલું સરળ છે? |
પોસ્ટ ઓફીસ દ્વારા ઉપલબ્ધ એક ખાસ યોજના સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર સ્ત્રીઓ રોકાણ કરી શકે છે. આ એક PPF એટલેકે પબ્લિક પ્રોવિડંડ ફંડ જેવું ખાતું છે એમાં ઓછામાંઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ દોઢલાખ રૂપિયા એક વર્ષમાં મૂકી શકાય છે અને તેના પર 8.1% ના દરે વ્યાજ મળે છે.
આમ તમે જોશો તો પોસ્ટ ઓફીસ સમાજના સૌથી નીચલા સ્તરના લોકો માટે પણ બેન્કિંગ અને બચત સેવા પૂરી પાડે છે અને હાલમાં ચાલુ વ્યાજ દરે ઉલટું અમુક કિસ્સામાં વધુ વ્યાજ મળે છે જે 8.1% જેટલું છે. આમ જેણે બચત જ કરવી છે એ નજીવી રકમથી બચત કરી એના પર વ્યાજ પણ મેળવી શકે છે.
પોસ્ટ ઓફિસનો સૌથી મોટો ફાયદો એ છે કે જે ગામડામાં બેન્કિંગ વ્યવસ્થા નથી ત્યાં પણ પોસ્ટ ઓફીસ છે અને ત્યાં આ ખાતાઓ ખોલી શકાય છે અને સામાન્ય માં સામાન્ય મજુર કક્ષાનો માણસ પણ એનો લાભ લઇ શકે છે. તો ગામડામાં ગૃહિણીઓ પણ આનો લાભ લઇ શકે છે. વળી પોસ્ટ ઓફીસ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરવાથી આવકવેરામાં પણ બાદ મળે છે આમ એ વધારાનો લાભ પણ લઇ શકાય છે.
કોઈ એક ગેરફાયદો કહો તો અહી આપણે જાતે પોસ્ટ ઓફિસમાં જવું પડે છે અને ત્યાં લાંબી લાઈનો હોય છે. પરંતુ અહી એજન્ટની વ્યવસ્થા પણ છે જેઓ તમને ઇચ્છિત સેવા આપે છે.
કિસાન વિકાસ પત્ર કે નેશનલ સેવિંગ્સ સર્ટીફીકેટ સામે તમે લોન પણ લઇ શકો છો એથી એમાં જે પૈસા પાંચ વર્ષ કે નવ વર્ષ બ્લોક થાય છે એની સમસ્યા હલ થાય છે. તો સીનીયર સિટીઝનને બેંક કરતા થોડું વધુ વ્યાજ મળી શકે છે
આમ આપણી પોસ્ટ ઓફીસ સમાજના જુદા જુદા સ્તરના તમામ લોકો માટે ઉપયોગી બચત અને રોકાણ સેવા આપે છે.
આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર– 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
eછાપું
તમને ગમશે: વોટર પાર્ક – પાણી સાથેની મજા તમારી ચામડી માટે સજા ન બની જાય એ જરૂરી