આપણે આપણા દસ હજાર કે દસ લાખના વાહનને જીવની જેમ સાચવીયે. પણ મહામુલા કે કહો અમૂલ્ય શરીરની અને તેના અંગો જેવા કે લીવર વગેરેની સર્વિસ કેટલી વાર કરાવીએ છીએ? નવાઈ લાગે છે ? શરીરની તે કઈ સર્વિસ હોય? પણ હા, હોય, હોય છે!
“દારૂ પીનેસે લીવર ખરાબ હોતા હૈ”… “દિલ જીગર નઝર ક્યા હૈ.. મેં તો તેરે લિયે જાનભી દે દુ”….આવા બૉલીવુડના ગાયનો અને સંવાદોથી આપણે લીવર યાને કે યકૃતને ઓળખીયે છે.
લીવર આપણા શરીરની પહેલી ચેકપોસ્ટ છે. મોટાભાગના ઝેરીતત્વો લીવરમાં જ ફિલ્ટર થઇ જાય અને ઉત્સર્જનતંત્રની મદદથી શરીરની બહાર નીકળી જાય. પણ ક્યારેક આવા તત્વો શરીરમાં રહી પણ જતા હોય છે.
શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનું વૈજ્ઞાનિક કારણ એ જ હતું કે આખો વરસ ખા ખા કર્યું હોય તો શરીરમાં ભેગા થયેલા ટોક્સિન્સ દૂર કરી શકાય. પણ એના બદલે આપણે તો ફરાળી પીઝા જેવા અવૈજ્ઞાનીક આહારની મહાન શોધ કરી નાખી…એટલેજ શરીરને સાજું કરવાને બદલે એમાં નવા ટોક્સિન્સ ઉમેરતા જઈએ છે. પરિણામે નવા નવા રોગો જન્મ લેતા જાય છે.
ચાલીસની ઉમર સુધીમાં ડાયાબિટીસ કે અસ્થમા કે ચામડી ના રોગો ઘર કરતા જાય છે. આપે ટીવી પર આવતી જાહેરાતોમા કદાચ “ફ્રી રેડિકલ” શબ્દ સાંભળ્યો હશે. આ ફ્રી રેડિકલ્સ અનેક બીમારીઓને નોતરે છે. કેટલાક વૈજ્ઞાનીકોએ આપણા શરીરમાંના કેટાલેઝ (catalase) તરીકે ઓળખાતા એક ઉત્પ્રેરક દ્રવ્ય (એન્ઝાઈમ)નો અભ્યાસ કર્યો. આ એન્ઝાઈમ શરીરમાં ચયાપચયની ક્રીયાજેમાં દરમીયાન પેદા થતા નકામા પદાર્થ હાઈડ્રોજન પેરોક્સાઈડનું પાણી અને ઓક્સીજનમાં વીઘટન કરે છે.
હાઈડ્રોજન પેરોક્સાઈડ ફ્રી રેડીકલ્સનો પુરોગામી હોઈ શકે છે. એનાથી શરીરને નુકસાન થાય છે અને કોષોની રાસાયણીક પ્રક્રીયામાં ખામી સર્જાય છે. આથી વધુ ફ્રી રેડીકલ્સ પેદા થાય છે. ફ્રી રેડીકલ્સ બીનજરુરી રાસાયણીક પ્રતીક્રીયા પેદા કરે છે, જેનાથી શરીરના કોષોને નુકસાન થાય છે. જેમાં DNAનો પણ સમાવેશ થાય છે.
કેટલાક વૈજ્ઞાનીકો માને છે કે ફ્રી રેડીકલ્સ હૃદયરોગ, કેન્સર અને બીજા ગંભીર રોગો થવા માટે મુખ્યત્વે જવાબદાર છે.
લાગતું વળગતું: આવો પંચકર્મ ને સાચા અર્થમાં જાણો |
ફ્રી રેડીકલ્સથી મુક્તી મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે આપણા શરીરની સમયાંતરે સર્વિસ કરાવો એટલે કે પંચકર્મ માંહેની વિરેચન સારવાર કરાવો. વિરેચન કર્મ એ દુનિયાની બધા જ પ્રકારની સારવારમાં એકદમ વિશિષ્ઠ છે. આ સર્વિસમાં પહેલા ત્રણ કે પાંચ દિવસ સુધી વિવિધ પ્રકારના ઘી અને તેલ દ્વારા પહેલા આખા શરીરનું “ઓઈલિંગ” કરવામાં આવે છે. એ પછી બે દિવસ મસાજ અને સ્ટીમ આપી વિવિધ પ્રકારની દવાઓ થી શરીરનું પ્રોગ્રામિંગ કરી દિવસ માં દસ પંદર કે ત્રીસ વખત ટોયલેટ જવું પડે. જેના દ્વારા વિશિષ્ટ પ્રકારે આખા શરીરમાંથી વિકૃત પિત્ત અને ટોક્સિન્સ નીકળી જાય.
જે રીતે ધાવણાં બાળકને પહેલા સૂપ જેવા પ્રવાહી ખોરાકથી શરૂ કરી ધીમે ધીમે રોટલી શાક પર લાવીએ એ જ રીતે એક જ દિવસ માં દસ થી ત્રીસ વખત ટોયલેટ જઈને આંતરડા થાકી ગયા હોઈ એને પછીના પાંચ દિવસ વિશેષ ડાયેટ ફોલો કરવાનો હોય છે. ઓઈલિંગથી શરુ કરી ડાયેટ સુધીની વિરેચન કર્મની આખી પ્રક્રિયા અંદાજે અગિયારથી પંદર દિવસમાં શરીરની પ્રકૃતિ પ્રમાણે ચાલતી હોય છે.
વિરેચન કર્મના સીધા અને આડકતરા અનેક ફાયદા ઓ છે. વિરેચનકર્મ કરવા માટે આ શરદ ઋતુ (અંદાજે 15 સપ્ટેમ્બર થી 15 નવેમ્બર) આખા વરસનો શ્રેષ્ઠ સમય છે. વધુ માહિતી માટે આપની નજીકના સરકારી આયુર્વેદ મેડિકલ કૉલેજ કે દવાખાનામાં અનુભવી પંચકર્મ વૈદ્યને મળો.
eછાપું
તમને ગમશે: અસદુદ્દીન ઓવૈસી દ્વારા સેક્યુલર મતની માંગણી કરાઈ એમાં ખોટું શું છે?