ચાલો વિદેશ જઈએ! આ ટ્રેન્ડ શરુ થવા પાછળના કારણો વિચાર્યા ખરા?

4
424
Photo Courtesy: tb-guide.de

વિદેશ કે ફોરેન કે એબ્રોડ! નામ અલગ અલગ હોઈ શકે પણ બધાનો મતલબ એક જ થાય છે કે ‘ભારતની બહાર જવું’. થોડા ફ્લેશબેકમાં જઈએ અને આજથી લગભગ પંદર વીસ વર્ષ પહેલાની યાદો બ્રશ-અપ કરીએ. એ વખતે આપણા બધાયના પપ્પાના એક એવા મિત્ર વિષે જરૂરથી તમે સાંભળ્યું હશે કે જે વિદેશમાં (ભારતીયો માટે મોટાભાગે વિદેશ એટલે અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા અને થોડું હટકે હોય તો એ જર્મની!) રહેતા હોય. પપ્પા  પોતાના એ મિત્ર વિષે આપણને વાત કરતા ત્યારે આપણને એમના પ્રત્યે માન ઉપજતું અને આપણે આપણા ભાઈબંધો સામે ગર્વથી કહેતા કે, ‘જોયું! મારા પપ્પાના ફ્રેન્ડ વિદેશમાં છે વિદેશમાં!’ અને જયારે એ અંકલ ખાસ વિલાયતી ચોકલેટ્સ લાવતા કે મોકલાવતા ત્યારે તો આપણા એમના પ્રત્યેના માનમાં સર્વોચ્ચબિંદુ ભરતી આવી જતી.

Photo Courtesy: tb-guide.de

ખેર! એ દિવસોની મજા અલગ જ હતી. એના સંદર્ભમાં આજની પરિસ્થિતિ જોઈએ તો દેખાશે કે વિદેશ જવું એ બિલકુલ સહજ વાત બની ગઈ છે. જેમ આજે ઘરે ઘરે BDS અને BE/B.TECH મળી રહે છે તેમ વિદેશ જનારા મિત્રો પણ મળી રહે છે. લેટેસ્ટ જ વાત કરું તો કેનેડામાં જનારા પંજાબીઓ ઉપરાંતના ભારતીયોની સંખ્યામાં છેલ્લા બે ત્રણ વર્ષમાં રીતસર ત્સુનામી જેવો ઉછાળો આવ્યો છે. એવા જ આંકડાઓ ઓસ્ટ્રેલિયા માટે પણ બહાર આવ્યા છે. અમેરિકામાં ટ્રમ્પભાઈ તો હવે અહીંથી જનારા ભારતીયો અને ત્યાં વસતા ભારતીયો પર આંશિકથી માંડીને મહદંશે પ્રતિબંધ લાદવાની અણી ઉપર છે. એમનું માનવું છે કે ભારતીયોનું ઈમિગ્રેશન અમેરિકાના યુથ માટે બેરોજગારી નીપજાવનારૂ સાબિત થાય છે.

એક મિનીટ! અહી આ વાત વિચારવા જેવી છે. ભારતીયોના લીધે ત્યાં પ્રોપર અમેરિકાના (કહો કે XYZ દેશના) યુવાવર્ગ માટે રોજગારીની તકો પર અસર જોવા મળે છે? આ વાત નવાઈ ઉપજાવનારી એટલા માટે છે કે ભારતના ઇમિગ્રન્ટસ બીજા દેશોમાં વધવા માટે ભારતનું જે કારણ જવાબદાર છે એ કારણ પણ મૂળમાં તો બેરોજગારી જ છે ને?

ચાલો આ વાતને જરા વિગતે સમજીએ. ભારતમાંથી વિદેશમાં આર્થિક ઉપાર્જન માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા રોજબરોજ વધતી હોવાનું કારણ શું હોઈ શકે એ તમે ક્યારેય વિચાર્યું છે? અમુક વિદ્યાર્થીઓ જે ખરેખર વિદેશમાં જવા માટે પેશનેટ છે એના સિવાયનાઓ માટે એનું કારણ મહદઅંશે તકની ઉપલબ્ધતા ન હોવાનું છે. કારણ કે જુનિયર કેજીથી માંડીને ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું બધું જ શિક્ષણ ભારતમાં લેવા છતાંય છેલ્લે ધાર્યા મુજબનું અર્થોપાર્જન ન મળે અથવા તો મળેલી તક પોતાને માટે ઉતરતી કક્ષાની હોય તેમ લાગે અથવા તો પછી તક મેળવવા જેટલી આવડત ન હોય ત્યારે જ વિદેશ જવું એ એક અંતિમ વિકલ્પ તરીકે પસંદગી પામે છે.

એક સમય પછી યુવાવર્ગને એવું લાગવા મંડે છે કે ભારતમાં રહીને સમય બગાડવા કરતા વિદેશ જઈને મહેનત કરવી શું ખોટી? એમની વાત સાથે હું બિલકુલ સંમત છું. દરેકને પોતાના જીવનને ઉન્નત બનાવવાનો હક છે અને એના માટે કશું પણ કરી છૂટવા માટે તેઓ સ્વતંત્ર છે. આ આખી મંત્રણાના અંતે મને સવાલ એ ઉદ્ભવે છે કે ભારતમાં તકોના અભાવ કેમ છે? સાચો પ્રોબ્લેમ શું છે? તકોની અનઉપલબ્ધતા કે પછી તકોને અનુસંગત કૌશલની અનઉપલબ્ધતા કે પછી તકો ઉભી કરી શકે એવા સાહસિકો પેદા કરવા માટે જરૂરી શિક્ષણની અનઉપલબ્ધતા?

સવાલો વિચારવા માટે સમય માંગી લે તેવા છે. ગુગલ, માઈક્રોસોફ્ટ જેવી માંધાતા ગણાતી કંપનીઓના CEO પદ પર ભારતીય જ બિરાજમાન છે. તો એવા તમામ ભારતીયોને શું ભારત દેશ તકો આપવામાં નિષ્ફળ ગયો છે? જવાબ આપવો જરા મુશ્કેલ છે. કારણ કે આવ પેચીદા મુદ્દાઓ માટે એકસાથે અસંખ્ય પરિબળો જવાબદાર છે. એ પરિબળો 12 વર્ષથી નાની બાળાઓ પર થતા બળાત્કારની માનસિકતાથી લઈને મોટી મોટી કંપનીઓ કે બેંકોમાં થતા ભ્રષ્ટાચાર સુધીના હોઈ શકે છે. ભારતમાં રહીને મોટા થયેલા લોકો જ્યારે વિદેશને ભારત કરતાં લાખ ગણું વધારે પસંદ કરે છે ત્યારે એક વાતની ગાંઠ બાંધી લેવા જેવી છે કે ક્યાંક કશેક તો આપણે કાચા પડીએ છીએ.

લાગતું વળગતું: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: શું આપણી નોકરીઓ ખતરા માં છે?

આવી બાબતોનું મુખ્ય અને એકદમ બેઝીક કારણ વિષે વિચારતા તે ચોક્કસપણે અમર્યાદિત વસ્તી વધારાના લીધે (અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો વસ્તી વિસ્ફોટના લીધે) જ મળશે. કારણ કે આપણે ત્યાં રહેલા મર્યાદિત સંસાધનો અમર્યાદિત વસ્તી  વધારાને પહોચી વળવા સક્ષમ જ નથી. અહી કોઈપણ સરકાર ભલે પોતાનો રોલ એકદમ બખૂબી નિભાવી પણ જાણે, છતાંય વસ્તી વિસ્ફોટને રોકવામાં તે હંમેશા અસક્ષમ સાબિત થતી આવી છે. અનિયંત્રિત વસ્તી વધારો થવાથી ઉપલબ્ધ તકોની મર્યાદિત સંખ્યા સામે એ તક માટેની યોગ્યતા ધરાવતા ઉમેદવારોની સંખ્યા ભયજનક રીતે વધારે હોય છે. જેના લીધે રહી જતા ઉમેદવારો ફ્રસ્ટ્રેશનનો શિકાર બને છે. સરકાર પણ અહી મજબુર થઇ જાય છે. ઉપરાંત આપણે ત્યાં ઈજનેરી, ડોકટરી અને બીજા આંગળીના વેઢે ગણી શકાય એટલા ફિલ્ડ્સને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. ‘જોબ ગીવર’ કલ્ચરની જગ્યાએ બધે જ ‘જોબ સિકર’ ટાઈપનું કલ્ચર જોવા મળે છે.

ગુણાત્મક શિક્ષણની જગ્યાએ માત્રાત્મક શિક્ષણ પદ્ધતિના લીધે ઉદ્યોગ સાહસિકો ખુબ જ જુજ પ્રમાણમાં ઉભરી આવે છે. જેના લીધે નવી તકો ઉભી થતી નથી અને બેરોજગારીની સંખ્યા વધતી જાય છે. આવા સંજોગોથી પહેલાથી જ વાકેફ હોવાના લીધે આજકાલ ગ્રેજ્યુએશનપછી તરત જ સ્ટુડેંટ વિઝા પર વિદેશ જવાનું કલ્ચર વધવા પામ્યું છે. ત્યાં જઈને દિવસે ભણવાનું અને રાત્રે કામ કરીને પૈસા કમાવવાનું યુવાવર્ગને વધુ આકર્ષક લાગે છે. ભારતમાં રહીને પોતાની જિંદગીના અમુલ્ય વર્ષો બગાડવા કરતાં વિદેશમાં મહેનત કરવાને વધુ શાણપણ સમજવામાં આવે છે.

કહેવા માટે તો ભારતમાં આજે વિશ્વનો સૌથી વધુ 65% યુવાઓ ધરાવતો એક જીવંત દેશ છે. પરંતુ ઊંડે નજર નાખીએ તો એ 65%માંથી કૌશલ્ય ધરાવતા યુવાઓની સંખ્યા કેટલી? આ સવાલ લાજવાબ છે. પ્રયત્નો એ દિશામાં ચાલુ જ છે. પરંતુ મંઝીલ હજીયે ધૂંધળી ભાસે છે. આખુંય માળખું વિશ્વ સાથે કદમ મિલાવી શકવા માટે ધરખમ ફેરફારો માંગે છે. આ ફેરફારો ત્યારે જ શક્ય બનશે જયારે દેશ પ્રત્યેની પોતાની ફરજો મહજ બંધારણના આર્ટીકલ 51(ક)માં જ ન રહેતા નસનસમાં ફરતી થશે.

આચમન :- “માત્ર સરહદ પરના સૈનિકો જ દેશદાઝ બતાવે એવું જરૂરી નથી”

eછાપું

તમને ગમશે: એકતા કપૂરની સિરિયલ નાં સમીકરણો ઘર ઘર કી કહાની બની ગયા છે

4 COMMENTS

  1. બહુ ઊપર ઉપરની માહિતી..
    આ બાબત ઉપર ઘણું મનોમંથન કરવાની જરૂર છે….

    જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, ઉપરાંત લોકોની માનસિકતા ઘણા પોઈન્ટ છે…

    • વાત તમારી મુદ્દાની છે. આ એક વિહંગાવલોકનનો સાર મેં કહેવા પ્રયત્ન કર્યો છે. તમે જે કહો છો એ વિશે પણ લખીશ ચોક્કસ. આભાર.

  2. આપના નિરીક્ષણમાં થોડા સુધારા જરૂરી છે. આપનું નિરીક્ષણ છેલ્લા બે દાયકાથી, વીસ વર્ષ ને આવરી લે છે.
    ગુજરાતી સૈકાઓથી દરીયો ખેડે છે. કેટલાય કુટુંબો ઓગણીસમી સદીના પ્રારંભમાં આફ્રિકા જઈને વસ્યા હતા/છે.અને એવું જ ઈંગ્લેન્ડ માટે પણ સાચું છે.
    અમેરિકાએ ૧૯૬૦ માં એશિયાઈ વસાહતીઓ ને પ્રવેશ આપવાનું શરૂ કર્યું ત્યારથી ગુજરાતીઓ નું અમેરિકા તરફ પ્રયાણ ચાલુ જ છે.
    ૧૯૮૦ પહેલા આવેલા, નોકરિયાત કે વિદ્યાર્થીઓ, એમને એ વખતે કોઈ વ્યવસાયિક પ્રશ્ન ન હતો. કારણ કે સાધનસંપન્ન વ્યક્તિ જ આ migration કરી શકતી હતી.
    આજે તો લોન મળે છે. ભણતર વધ્યું છે.
    તક વધી છે. ગુજરાતમાં કામધંધો વધે કે ન વધે, આ પ્રવાહ ચાલુ જ રહેશે.

    • તમારા અનુભવે તમે સો ટકા સાચા છો સર. હું ખરેખર અહીં છેલ્લા બે દાયકાની જ વાત કહેવાનો પ્રયત્ન કરું છું. ટ્રેન્ડ ધીમે ધીમે ગાડરિયા પ્રવાહમાં પરિવર્તન પામી રહ્યો છે. દેવું કરીને પણ માત્ર નાના કામો કરવામાં અહીં દેશમાં નાનમ લાગે તે માટે યુવાનો ફોરેન જવા તૈયાર છે. અહીં એમનો વાંક પણ નથી. આપણે ત્યાં બધાને થઈ પડે એ માટે જરૂરી તકોનો અભાવ છે એ નગ્ન સત્ય છે. જે પહેલાં તમારા અવલોકનોમાં કદાચ આજના જેટલું નહીં હોય એવું બનવાજોગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here