રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – અવગણના છોડીએ અને તેની સાચી ઉજવણી શરુ કરીએ

7
564
Photo Courtesy: newstrack.com

જ્યાં કાલે શું ખાધું હતું એ યાદ નથી હોતું પણ કાર્તિક – નાયરા ના ડ્રેસિંગ ગોખાઈ ગયા હોય એવી પ્રજા માટે આવા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ જેવા દિવસો આવે ને જાય ફેર નથી પડતો. ફટાકડાની ટાઈમબંધી હોય કે પ્રદુષણની આડ મન-શરીરથી પોદળો બનેલ સમાજ હકીકતમાં આ ચોક્કસ રોગમાંથી બહાર આવે એની તાતી જરૂર છે.

Photo Courtesy: newstrack.com

સરકારને સપના નથી આવતા કે આવા દિવસો મનાવે, આયુષ વિભાગ એટલો પણ નવરો નથી કે બે મહિના પહેલેથી દીકરીના લગ્ન હોય એવી તૈયારીઓ કરી 60 દિવસના 60 અલગ અલગ સ્વસ્થ રહેવાના અમૃત જેવા પ્રોગ્રામ સમાજને આપે!! સરકારી પ્રોગ્રામ્સ અને તહેવારો એક ચોક્કસ એરણ પર ચકાસીને ચોક્કસ તબક્કા વાર સમાજોપયોગી કેવી રીતે થઇ શકે એ દ્રષ્ટિકોણથી વિકસાવેલા હોય છે. જેમ પોલીયો દિવસ ઉજવી ઉજવાવડાવી આપણે પોલીયોમુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરી શક્યા એમ આ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ થકી ચોક્કસ સ્વસ્થ-રોગમુક્ત સમાજ આપણે એક દિવસે ઉભો કરી શકીશું.

2016થી ભગવાન ધન્વન્તરીના પ્રાગટ્ય દિવસ-ધનતેરસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ત્રીજો રા.આયુ.દિવસ ઉજવાઈ રહ્યો છે. હર વખતે સ્વસ્થ જીવનશૈલીની અલગ અલગ થીમ હોય છે આ વખતે આખી સ્વસ્થચર્યાને જ થીમ રૂપે વણી લેવાઈ છે.

अतिपरिचयादवज्ञा सन्ततगमनादनादरो भवति ।

मलये भिल्लपुरन्ध्री चन्दनतरुकाष्ठमिन्धनं कुरुते ॥

“કોઈ ની સાથે અતિશય પરિચય-આવાગમનથી માનહાની થાય છે. જેમ મલય પર્વતના અસંખ્ય ચંદનના વૃક્ષો નો ઉપયોગ ત્યાંની ભીલ જાતી ઇંધણ તરીકે કરે છે.”

બસ આયુર્વેદની બાબતમાં આજ બન્યું, આયુર્વેદને ડોશીમાંના વૈદા અને દાદીમાંની પોટલીઓના નામે એટલું બધું લોકભોગ્ય બનાવી દેવાયું કે આ પારસમણી એક કાટમાળની જેમ ભુલાયો. જેમ ચંદનની કિમત સમજ્યા વગર એને ચૂલો બાળવા વપરાય જેમ ભોજપત્રને સળગાવી ચા બનાવવામાં આવે બસ એમજ આયુર્વેદનું સાચું મહત્વ લોકોમાંથી ભુલાઈ ગયું. એમાંય સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો, ડાયાબીટીસના ચૂર્ણો, એમાં પીવાના ઉકાળા, તુઘલખી નુસખાઓ, હદય રોગ –સ્વાઇન ફ્લ્યુથી બચવાના ઉપાયો આયુર્વેદના નામે ફરવા શોમાંડ્યા.

દરેક વ્યક્તિ ડોક્ટરની જેમ આ નુસ્ખાઓની વકીલાત કરતો અને એને ફોરવર્ડ કરવામાં પાશવી આનંદ કમ ઉપકારની લાગણી સાથે ગર્વિત થતો જોવા મળ્યો. પણ આમાં એક ચોક્કસ પેઢીને તમે ઘોર નુકસાન પહોંચાડ્યું, વધુ પડતું લોકભોગ્ય બનાવવાની લ્યાયમાં તમે આયુર્વેદને સસ્તોને હાસ્યાસ્પદ કરી દીધો. તમે મફતિયા નેટ સાથે આયુર્વેદને પણ #MeTOO અવસ્થા માં લાવી દીધો. આ ક્ષુલ્લક પોસ્ટોના કારણે સુંઠના ગાંગડે કેટલાક લેભાગુઓ વૈદ્ય થઇ ગયા. હકીકતમાં આ ફોરવર્ડિયા મેસેજો આયુર્વેદનો એક અબજમો પણ ભાગ નથી. જેમને તંબુરાનો ‘ત’ કે બોર્નવીટા નો ‘બ’ પણ નથી આવડતો એવી લુખ્ખેશ પ્રજાતિઓ માત્રને માત્ર નાણા કમાવવાની લાલચમાં ઠગવૈદ્ય બની દવાઓ આપવા માંડી, પોતાનો પ્રચાર, પત્રિકાઓ વિડીઓ, દર્દીઓના બનાવેલા રિઝલ્ટ્સને ભોળિયા લોકો એ ફેરવી ફેરવીને આવા લુખ્ખેને મહાન બનાવી દીધા.

પણ ખેર આયુર્વેદને સમાજ ભૂલે પણ સરકાર કેમ ભૂલે? સરકારી નાણાનો મહત્તમ ઉપયોગ આરોગ્યની સેવાઓ પ્રજાને આપવામાં થાય છે. હકીકતમાં અહી હિન્દસ્વરાજની ગાંધીજી ની એક વાત યાદ આવે છે…કે જો સમાજનો દાટ વાળ્યો હોય તો ડોક્ટર અને વકીલોએ. ખબર હોય કે અસંયમથી જીવીશ તો રોગ થશે છતાં અસંયમથી જીવે, કારણ કે ખબર છે જો રોગ થશે તો ડોક્ટર અને ગુનો કરીશ તો વકીલ બચાવશે તો ખરા જ. પોતાની ભૂલથી રોગ થાય તો બચાવવાનો સરકારે? મુઝસે શાદી કરોગીના સલમાનખાનની જેમ… ડૂબતા છોકરા ને બચાવ્યો, પછી બહાર કાઢી માર્યો… કારણ : સાફ અક્ષર મેં લિખા થા તૈરના મના હૈ, ડેન્ઝર ઝોન…તો ફિર વહાં ગયા કયું? દિયે દો હાથ ક્યા ગલત કિયા??   

લાગતું વળગતું: દેખો ઓ દીવાનો તુમ યે કામ ના કરો આયુર્વેદ કો બદનામ ના કરો!

ખબર છે મારો ખોરાક ભેળસેળીયો છે, ખબર છે મારા હવા-પાણી પ્રદુષિત છે, ખબર છે મારા જીન્સ સુધી ખરાબતત્વો ઘુસી ગયા છે, ખબર છે હું મોડો ઉઠીશ ને બપોરે ઉંઘીશ તો મારું શું થશે, ખબર છે લારી ગલ્લાના ખોરાક મને શું નુકસાન કરશે, ખબર છે બજારૂ ઇન્દ્રિયલીલાવિલાસ મને ક્યાં લઇ જશે, ખબર છે રોગને દબાવી દઈ એના મૂળ નહીં કાઢું તો એ કયા સ્વરૂપે ઉથલો મારશે, સતત આયુર્વેદની અવગણના કરવાની ફેશનમાં દૂધ-ઘી વગર તાણભર્યા જીવનમાં હું એટેક લાવી ને જ જંપીશ મને ખબર છે…

કસરત- યોગ વગરનો પોદળો એવો હું ક્યારે પથારીમાં પડીશ ખબર છે. હું એજ કોમન મેન છું જે બધું જાણું છું. મારા શરીરને રોગ ના થાય એના કરતા એને સજાવવાના ખર્ચા કરવા મને વધુ ગમે છે, મને એન્ટીબાયોટિક ચણા મમરાની જેમ ફાકવી ગમે છે પણ ઉકાળાને આઉટડેટેડ ગણી મજાક ઉડાડી હું મારા જ પગ પર લઘુશંકા કરું છું એ પણ ખબર છે. જેમ ઘાણીનો બળદ જીવનમાં લાખો કિલોમીટર ફરે પણ એ ઘાણી થી દુર જતો નથી એમ મારા જ વાડાઓ છોડ્યા વગર હું જીવનનું અંતિમ સત્ય નહીં સમજી શકું એ પણ ખબર છે. હું જ કોમન મેન છું જેમણે હલકા વેપારી બની પોતાના જ હવા-પાણી-ખોરાક-શરીર બગાડ્યા છે. હું એજ કોમનમેન છું જેણે વેપારી બની ભેળસેળ કરીને કેન્સર, ડાયાબીટીસ, હદયરોગને ઘેર ઘેર પહોંચાડ્યા છે. હું એજ કોમનમેન છું જેણે અનેક માધ્યમોથી તમારા મગજ અને સમાજને બગાડ્યા છે. હું જ મારા ખુદના અને સમાજ ના અધ:પતન માટે જવાબદાર છું, ખાડો ખોદનાર હું ને સુવાનું પણ મારે જ છે એ જાણનાર કોમનમેન હું જ છું.

બધું જ જ્ઞાન ને દોઢડહાપણ છે પણ આયુર્વેદ ને અનુસરવો નથી, વળી આ બધું જ કરીને રોગ થાય તો મટાડવાનો સરકારે. મા કાર્ડ હોય કે અન્ય યોજનાઓ જો આયુર્વેદને અનુસરીએ તો ત્યાં સુધી પહોંચવાનો વારો જ ન આવે. એટલે જ હવે સરકારે કમર કસી છે. રોગ બને એટલા ઉગતા જ ડામવા, પ્રિવેન્શનના ભરપુર પ્રયત્નો કરવા. જ્યારે સમાજ બીમાર પડતો જ બંધ થાય તો સરકારનો રૂપિયો બીજા વિકાસમાં વપરાય. ઊંચું જીવનધોરણ અને સરકારના રૂપિયાનો બચાવ માત્રને માત્ર આયુર્વેદથી જ શક્ય છે. તન અને મનથી સ્વસ્થ સમાજ કોઇપણ સરકારનું સ્વપ્ન હોય. અને એને સાકાર કરવા આજે આયુષ વિભાગ કમર કસી તૈયાર થયો છે. ગામડે ગામડે આયુર્વેદ દવાખાના, દવાઓ અને તાલુકા- જીલ્લામાં આયુર્વેદ હોસ્પિટલની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ વોટ્સઅપ અને ફેસબુકના ફોરવર્ડિયા મેસેજ પર ભરોસો ન મુકો, શરીરને નુસખા ચકાસવાની ફેક્ટરી ન બનાવો જાવ સરકાર ના દવાખાને, આયુર્વેદ ના તજજ્ઞો સેવા આપવા બેઠા જ છે. લાભ લો અરે છેવટે આ નુસખો સાચો છે કે ખોટો એ પણ ફોરવર્ડ કરતા પહેલા ત્યાં જઈને પૂછી આવો. જવાબ મળશે ચોક્કસ મળશે અને સરકારી જવાબ નહીં મળે એની પણ ગેરંટી.

ચાલો એક કોમન મેન તરીકે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ માટે કેટલાક સંકલ્પ લઇએ…ને આમ એની ઉજવણી કરીએ:

  • વહેલા ઉઠીશ, બપોરે નહીં ઊંઘું.
  • રોજ 15 મિનીટ કસરત અને શિયાળુ માલીશ શેક કરીશ.
  • નુસખા ફોરવર્ડ નહીં કરું, પહેલા ચકાસીશ.
  • હું જાતે દવાઓ નહીં લઉં, તેમજ અન્યોને ન લેવા માટે સમજાવીશ.
  • કાચું ખાવાનું કે ફણગાવેલ ખોરાક ભારે હોઈ નહીં ખાઉં.
  • બજારૂ ખોરાકથી દુર રહીશ.
  • વિરુદ્ધ આહાર વિષે મારા કુટુંબ- સમાજને જણાવીશ અને ચામડીના રોગોથી બચાવીશ.
  • દરેક રોગ થવાના પૂર્વ લક્ષણો મારા વૈદ્ય પાસેથી સમજી લઈશ અને એનાથી બચવા શું ખોરાક પાણી જીવનશૈલી બદલવા તે જાણીશ.
  • હું અનુભવી વૈદ્યના સાચી દિનચર્યા-ઋતુચર્યાના પ્રવચન ગોઠવી સ્વસ્થ સમાજના નિર્માણમાં ફાળો આપીશ.
  • હું શરીરને એવું ઢાળીશ કે કમસેકમ એકાદ રોગ તો માત્ર આયુર્વેદ દવાથી જ મટે એવો આગ્રહ રાખીશ.
  • હું ઋતુઓ મુજબ પંચકર્મ કરાવી મારી ગાડીની જેમ શરીરની પણ સર્વિસ કરાવીશ-અક્ષયકુમાર ની જેમ.
  • રોજ ગાયના ઘીના ટીપાં નાકમાં પાડવાથી , તેલ માલીશ થી મેડીકલેઈમના પ્રીમીયમથી ઓછા ખર્ચા માં લાંબુ ને સ્વસ્થ જીવાય છે એ હું જાતે કરી સમાજ ને શીખવીશ.
  • દરેક રોગની પરેજીઓ ખાસ સમજીશ અને પાળીશ.
  • બહેનો ને ઋતુધર્મ અને સુતીકાધર્મ ખાસ સમજાવીશ જેથી અકાળે મેનોપોઝ, કમરના દુઃખાવા, સફેદ પાણી પડવું, વ્યંધત્વ, અન્ય માસિક સંબંધી બીમારીઓથી તેઓ બચે.
  • નૈતિક નિયમોનું પાલન કરી મારું મગજ અને સમાજ સ્વસ્થ રાખીશ.

બસ આ નિયમોમાંથી બે ચારનું પણ પાલન કરીએ તો આપણો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ સાચો ઉજવાઈ ગયો સમજ અને એજ ભગવાન ધન્વન્તરીને સાચી અંજલી…

જય આયુર્વેદ જય ધન્વન્તરી…

eછાપું

તમને ગમશે: સોનામાં રોકાણ કરાય? હા તો કેમ અને જો ના તો કેમ? ચાલો જાણીએ

7 COMMENTS

  1. As usual,
    Absolutely true.
    Bhartiya praja ni vanchan ni kshamta khubaj ghati gai che, etle jivan kem jivvu ena vishena lekh (jemke aa), pustako, samhitao vanchvanu to dur jovanu pn dur thi j pasand kare che.
    Karnke loko pase time nthi 😡

  2. ખૂબજ સરસ અને સ્પષ્ટ ભાષામાં વાસ્તવિકતા સમજાવી સાહેબ. ..આપને તથા આપની કલમને અભિનંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here