શિયાળો અને રીંગણ- હમ કાલે હૈ તો ક્યા હુવા અચ્છે દિલ વાલે હૈ

12
1262
Photo Courtesy: shopify.com

ભારતખંડમાં છ ઋતુઓનું વૈવિધ્ય હોવાથી ઋતુચર્યાનું ખાસ મહત્વ છે. કઈ ઋતુમાં કયો આહાર લેવો તેના ઉપર આયુર્વેદના મહર્ષિઓએ ખાસ પ્રકાશ પાડેલો છે. ઠંડી ઋતુમાં ગરમ આહારવિહારનું સેવન કરવું એ આ ઋતુનો મુખ્ય સિધ્ધાંત છે. આમતો રીંગણ તમામ શાકનો રાજા છે. વરસે દહાડે નવેક હજાર કરોડનો રીંગણનો કારોબાર છે જેમાં 300-400 કરોડના રીંગણની બારોબાર નિકાસ પણ થાય છે. રોજીંદા આહારમાં આપણે કોઈકને કોઈક શાક હમેશા ખાતા હોઈએ જ છીએ. તેથી શિયાળામાં રીંગણનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. હાલ આવેલી ‘શરતોલાગુ’ ફિલ્મમાં બતાવેલ વેગન લોકો માંસની અવેજીમાં ઘણી ડીશ રીંગણથી બનાવીને ખાય છે.

રાજકોટથી જામનગર હાઈવે પર જતા એક ભરવાડનું ઢાબુ છે, બારેમાસ રીંગણનો ઓળો ધમધમાવીને લીલું લસણ નાંખી ખવડાવે છે અને સાથે ટેનીસ બોલ જેવડો માખણનો લોંદો-ઘી-ગોળનું દડબુ અને બાજરીનો રોટલો, વીસેક અથાણાં અને જમાઈને પણ ન કરતા હોવ એવો આગ્રહ – “બાપલીયા વયો જાહે આટલો રોટલો”…  કાઠીયાવાડમાં ભગવાન જો ભૂલો પડતો હોય તો માત્રને માત્ર કાઠીયાવાડી ભોજનીયા જમવા, બાકી માવો ચોળવા ભગવાન ભૂલો ના પડે. કાઠીયાવાડી બેનર માત્રથી વાનગી કાઠીયાવાડી બની જતી નથી એ હાઈ-વેઈયા ધાબાનરેશો ખાસ ધ્યાને લે.

મલ્ટિનેશનલ કંપનીઓએ રીંગણના બિયારણમાં બાયો ટેકનોલોજીથી જમીનજન્ય જીવાણું બેસીલસ થુરિંજિએન્સિસ દાખલ કરીને બીટી રીંગણની નવી જાત બજારમાં મૂકી છે. જિનેટિકલી મોડીફાઇડ બિયારણમાં આ જમીનજન્ય જીવાણું રીંગણના છોડમાં ઝેર ઉત્પન્ન કરે છે જેને કારણે આખો છોડ ઝેરી બની જાય છે. રીંગણના છોડને નુકશાન કરતી ઇયળો આવા છોડના કોઇપણ અંગને ચૂસે એટલે તરત જ ઝેરની અસરને કારણે ઇયળ મરી જાય. થોડા વર્ષો પહેલા આ પ્રમાણે જ કપાસના છોડ માટે પણ બીટી બિયારણ બનાવવામાં આવેલું હતું જે હવે સામાન્ય થઇ ગયું છે. જોકે જે તે સમયે થોડા સમય માટે આવા બિયારણના વિરોધનો વંટોળ ઊભો થયો હતો પણ સમય જતાં તે હવે શાંત થઇ ગયો છે. કંપનીઓનું માનવું છે કે ગરમ કરવાથી રીંગણનું આ ઝેર નાશ પામે છે પરંતુ એ સાચું નથી માટે ખોરાક માં દેશી, તાજા રીંગણ ખાવા જ હિતાવહ છે.

રીંગણની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડીમાં વધુ માફક આવે છે. બી વગરના રીંગણ સમશીતોષ્ણ જેવા છે. જયારે બી વાળા રીંગણ ગરમ કહી શકાય. રીંગણની અનેક જાતોમાંથી મોટા ઓળા ના ભુટ્ટા રીંગણાં બી વિનાના અને અતિ સ્વાદિષ્ટ હોવાથી ભઠ્ઠામાં શેકીને તેનો બનાવેલો ઓળો અતિ સ્વાદિષ્ટ, પચવામાં હળવો અને જઠરાગ્ની ને પ્રદીપ્ત કરનારો છે. બને ત્યાં સુધી ગાયના ઘીમાં ઓળો બનાવવો. જો એ ન મળે તો તલનું તેલ લઈ શકાય. સાથે જ રીંગણ ચડવવાની બાબતમાં પણ કાળજી રાખવી જરૂરી છે.

રીંગણને અગ્નિ પર યોગ્ય રીતે પકવેલાં હોય એ ખૂબ જરૂરી છે. ભુટ્ટાને તેલ લગાવીને પછી શેકવામાં આવે છે. શેકતાં પહેલાં એની અંદર સોય કે છરી વડે કાણાં પાડેલાં હોવાં જરૂરી છે. રીંગણનો છેક ઊંડે સુધીનો ગર અગ્નિથી બરાબર પકવી દેવામાં આવે છે. બી વિનાના કાચા લાંબા રીંગણાંનું શાક પણ સુપાચ્ય અને પથ્ય છે. સાવ નાના રીંગણને મસાલો ભરીને આખા વઘારવામાં આવે એને રવૈયા કહેવાય. એને આખા દાળ કે કઢીમાં પણ નાખી શકાય. બી વાળા રીંગણ શુક્રનો સ્રાવ કરાવનારા હોઈ કુમળા રીંગણ જ ખાવા.

લાગતું વળગતું: વધુને વધુ શાકભાજી ખાવ અને હ્રદયને તંદુરસ્ત રાખો – એક અભ્યાસ
  • રીંગણ સાજા માટે સદા હિતકારી અને માંદા માટે લાભદાયી છે. તે ગરમ હોવાથી કફ અને વાયુના રોગો ને મટાડે છે, હળવા હોવાથી તુરંત જ પચી જાય છે. લૂખા હોવાથી કફની ચીકાશ ને દુર કરે છે તેથી વાયુ અને કફના કોઇપણ રોગમાં રીંગણ લઇ શકાય છે.
  • ઉધરસમાં તો દિવસમાં બે-ત્રણ વાર રીંગણ ખાસ લઇ શકાય. શ્વાસ, કફ, શરદી અને મંદાગ્નિવાળા દર્દીએ ખવાય તેટલા વધુ રીંગણ ખાવા.
  • મેદસ્વી લોકો બાફેલા રીંગણ નું વધુ સેવન કરે, ઓળો ખાય તો તેમનું વજન ઘટશે. વજન ઘટાડવા રોજ રીંગણનો સૂપ કે સરગવાના સૂપ પર રહેવું સારું પડશે. તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી ઝડપથી પેટ સાફ લાવે છે, મળને પાતળો કરી ઉતારે છે અને આંતરડે ચોંટેલા જુના મળને ઉખાડીને પાચનતંત્રને ચોખ્ખું કરે છે.
  • ગરમ પ્રકૃતિના રીંગણ દેશી ગાયના ઘીમાં વઘારીને ખવાય તો કોલેસ્ટેરોલ ઓછું કરવામાં સાથ આપે છે સાથોસાથ નળીઓમાં ચોંટેલા ચરબીના થરને ઓગાળવામાં આ પરફેક્ટ ડાયેટ પ્લાન બની રહે છે.
  • વાયુના રોગો જેવાકે સાંધાના દુઃખાવા, આમવાત, પડખાનો દુ:ખાવો વગેરેમાં રીંગણ ખાવાનો આદેશ આયુર્વેદે આપેલો જ છે. આવા રોગોમાં તલનું તેલ અને આગળ પડતું લસણ નાંખીને બનાવેલા રીંગણ આ શિયાળે ચોક્કસ તમારા સાંધાને જકડાવા નહીં દે.
  • વળી આવા જાત જાતના દુઃખાવામાં રીંગણના ગરને સિંધવ નાંખી તેલમાં શેકી તેની પોટીસ બાંધવાથી આ પોટીસ દુઃખાવાની ટ્યુબ ઘસવા કરતા વધુ ઝડપથી આરામ આપે છે.
  • તેમાં વિટામીન C ની માત્રા વધુ છે, વળી શરીરમાંથી હાનીકારક તત્વો દુર કરીને ચહેરાનો ગ્લો વધારે છે, માખણ સાથે ખાધેલો ઓળો વાળના ગ્રોથમાં પણ સારો ફાળો આપે છે.
  • તાવ ઉતર્યા પછી થોડા દિવસ રીંગણનો ઓળો કે મગની દાળ માં નાના રીંગણ પકાવીને ખાવાથી ઘણો જ ફાયદો થાય છે.
  • રીંગણમાં કેટલાક પોલીફેનોલ્સ હોય છે જે શરીરનું બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે, એ શરીરમાંથી સોજા દુર કરે છે અને ખાસ તો શ્વસનતંત્રમાં લાગતા ઇન્ફેકશનને વધારાનો કફ ઓગાળી દુર કરે છે. આયુર્વેદ આ બાબતને હજારો વરસ પહેલા લખી ચુક્યું છે. આજ પોલીફેનોલ્સ કેન્સરના કોષોને અનિયંત્રિત રીતે વધતા અટકાવે છે.
  • કુદરતી રીતે ફોલિક એસીડ ધરાવતા શાકોમાં રીંગણ શ્રેષ્ઠ છે, બહેનોને થાક લાગે અને માસિકની સમસ્યાઓ થાય તેમજ લોહીની ઉણપ હોય તો રીંગણ વહારે આવે છે. પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા એકાદ મહિનો રીંગણ ખાવાથી ફોલિક એસીડનું યોગ્ય પ્રમાણ જળવાય છે અને ગર્ભાશયની શુદ્ધિ થાય છે જેથી જન્મજાત ખોડખાંપણથી બાળકને બચાવી શકાય છે. યાદ રહે પપ્રેગ્નન્સી વખતે અને એ રાખવા માટે તો ઠંડા દ્રવ્યો જ હિતકારી છે.
  • એક સંશોધન મુજબ રીંગણમાંનું નાસુનીન નામનું તત્વ મગજના કોષોને નાશ પામતા બચાવે છે તેમજ ફ્રી રેડિકલ્સને દુર કરે છે. મગજને સહુથી વધુ કફનો ભય હોય છે, કફનું બુદ્ધિ પર આવરણ ચડી જતા બુદ્ધિ જડ થઇ જાય છે, ભેંસ તેનું સુંદર ઉદાહરણ છે. ગરમ રીંગણ મગજના કફ ને ઓગાળી બુદ્ધિ વધારનાર ડાયટ સાબિત થાય છે.

શિયાળામાંમાં સ્વાસ્થ્ય જાળવવા નીચે મુજબ સૂપ બનાવીને પીવા….

  1. સરગવાની શીંગો બાફી તેમાં હિંગ, સિંધવ, મરી, દાડમનો રસ ભેળવી ગરમ ગરમ પીવો.
  2. રીંગણ બી વગર ના બાફી તેમાં હિંગ, સિંધવ, મરી, દાડમનો રસ ભેળવી ગરમ ગરમ પીવો.
  3. આમળા અને મગ બાફી તેમાં હિંગ, સિંધવ, મરી, દાડમનો રસ ભેળવી ગરમ ગરમ પીવો.
  4. આ જ રીતે બીજા શાક કે કઠોળ કે જે વાયુ ન કરે તેના સૂપ બનાવી પી શકાય.

અહી આહારના એક ભાગ તરીકે રીંગણનું વર્ણન છે, આ શાકનો ભરપુર લાભ લેવા માહિતી અપાઈ છે. આહાર એક પુરક દ્રવ્ય છે. એ દવાની જગ્યા ક્યારેય ન લઇ શકે પરંતુ દવાને ચોક્કસ દિશામાં લઇ જવા મદદ ચોક્કસ કરી શકે એ આશાએ માહિતી આપી છે. ‘કાચું એ સાચું’ એવા ગાંડા કાઢતા આદિમાનવીય જઠરનરેશો માટે શાકાહાર સામેની લાલબત્તી પીછત્તીસ જોજન દુર જ રહેશે એમાં બેમત નથી.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: Thugs Of Hindostan કોની કોપી વધુ અને કોની કોપી બિલકુલ નહીં?

12 COMMENTS

  1. એકદમ સરસ, સરળ, માહીતી પ્રચુર અને શાસ્ત્રીય લેખ..
    આયુર્વેદ ના લેખો શાસ્ત્રીય હોયતો સરળ ના હોય, સરળ હોય તો શાસ્ત્રીય ના હોય,
    ગપ્પાંબાજી હોય.
    પણ તમારો આ લેખ ઉત્તમ છે.
    એક વધારાની માહિતી આપવાની ઈચ્છા થાય કે BT રીંગણ હજુ સુધી ભારત માં પ્રતિબંધિત છે.

    મલ્ટી નેશનલ મોનસેંતો જેવી કંપનીઓ ના પાપ ભારત સરકાર સમક્ષ આ લાગુ કરવાની ખૂબ કોશિશ થયેલી. પણ ભારત ની કેટલીક સંસ્થાઓ એ આંદોલન ચલાવ્યું અને હજુ પણ આપણા સદભાગ્યે, ભારત માં જીનેટીકલી મોડીફાઈડ અનાજ પ્રતિબંધિત છે.

    BT કપાસ ના કપાસિયા તેલ માં એ ઝેર આવે છે , તેનાથી બચવું.

    આયુર્વેદ બચાવવો હોય તો આહાર, દૂધ, દવાઓ બધું ય બચાવવું પડશે.

  2. માહિતીસભર.. લોકોને જરૂરીયાત છે તેવી ને લોકોને સમજાય તેવા સ્વરૂપે માહિતી.. આપના પ્રયાસો સ્તુત્ય છે

  3. રીંગણ શાકભાજી નો રાજા,
    રાખે સદા તાજા-માજા-સાજા

  4. આ રસપ્રદ માહિતી ના કારણે રીંગણ પ્રત્યે ના પ્રેમ માં વધારો થયો…ખૂબ સરસ…👌👌👍👍

  5. ખૂબ ખૂબ આભાર
    હું મારી મા સાથે રીંગણ વિશે જીભાજોડી કરતો હતો અને આ લેખ મળી ગયો ને બધા જવાબ મળી ગયા!
    😃👍👌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here