સુરતની લાજપોર મધ્યસ્થ જેલ માં આમ તો અનેક કાચા/પાકા કેદીઓ સજા કાપી રહ્યા છે, જેમાં કેટલાક એવા પણ હશે જેને અપરાધ કર્યો નહિ હોય છતાં જેલવાસ ભોગવી રહ્યા છે. એવું જ એક વ્યક્તિવ છે. વિરેન્દ્ર વૈષ્ણવ જેઓ લેખક, પત્રકાર, કાર્ટૂનિસ્ટ, ચિત્રકાર, આધ્યાત્મિક સંગીતકાર અને કવિ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વીરેન્દ્ર વૈષ્ણવ વર્ષ 2010માં હત્યાના આરોપમાં કલમ 302ના હત્યાના કથિત આરોપસર કાચા કામના કેદી તરીકે જેલમાં હતા. જોકે 27 નવેમ્બર 2018ના રોજ સુરત સેશન્સ કોર્ટે વિરેન્દ્ર વૈષ્ણવને નિર્દોષ જાહેર કર્યા હતા.
નિર્દોષ હોવા છતાં આઠ વર્ષ સજા ભોગવી ચૂકેલા વિરેન્દ્ર વૈષ્ણવ જેલની અંદર રહી, પોતાની લેખનશેલી દ્વારા વિશ્વભરમાં નામના મેળવી છે. તેમણે અગાઉ પત્રકાર તરીકે કામગીરી બજાવી હતી. ભારત અને વિશ્વના પ્રસિદ્ધ દૈનિક વર્તમાનપત્રો તથા ચેનલોમાં તેઓ પત્રકાર અને કાર્ટૂનિસ્ટ તેમજ કોલમિસ્ટ તરીકે કામગીરી કરી ચુક્યા છે.
વિરેન્દ્રભાઈ 1992 થી 2001 પત્રકારત્વની આસપાસ જ રહ્યા અને ત્યારબાદ વ્યવસાયમાં આગળ વધવા માટે આફ્રિકા ગયેલા ત્યાં તેમને થોડો આધ્યાત્મિક રંગ લાગેલો અને મારી સાથેની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે તેમણે ઇસ્લામના ધર્મગ્રંથ કુરાનનો અને ખ્રિસ્તી ધર્મના બાઇબલનો પણ તેમણે અભ્યાસ કર્યો તેમજ ખ્રિસ્તી ધર્મના બેપ્ટીઝમના અભ્યાસમાં ઊંડા ઉતર્યા.
આ મુલાકાત દરમ્યાન વધુમાં તેમણે કહ્યું હતું કે જણાવતા કહ્યું કે તેમને શ્રીમદ્ ભાગવદ્દ ગીતા અને હિંદુ ધર્મ ચાર વેદો પર પણ અભ્યાસ કર્યો છે તેમજ વિરેન્દ્ર વૈષ્ણવ સ્થાનિક ભાષાઓ તેમજ અનેક દેશોની ભાષાઓ જેમકે , સ્પેનિશ , જર્મન, ફ્રેન્ચ , મોંગી , ઉર્દુ , મરાઠી , બંગાળી , રાજસ્થાની , પંજાબી , તમિલ એવી 19 જેટલી ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે. વિરેન્દ્ર વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિકસમાં PhD ડિગ્રી મેળવી છે. જેલમાં રહીને વિરેન્દ્રભાઈએ વેલ્યુ એજ્યુકેશન ઓફ સ્પિરિચ્યુઆલીટી , હ્યુમન રાઈટ્સ અને ફાઈન આર્ટ જેવા ત્રણ વિષયોમાં માસ્ટર ડીગ્રી મેળવી છે.
વિરેન્દ્ર વૈષ્ણવ ના જણાવ્યા અનુસાર ખુબ જ મુશ્કેલી ભર્યા સમયમાં તેમણે જેલમાં રહી તેનો હકારાત્મક ઉપયોગ કર્યો છે. જયારે તેમણે જેલ માં અલગ અલગ આરોપીની 20,000 જેટલી ચાર્જશીટ વાંચી છે અને જેલના આઠ વર્ષના અનુભવ પર પોતાની 180 પાનાની આત્મકથા “લાઈફ બિહાઇન્ડ બાર્સ ” લખી છે. આ આત્મકથા લંડનના ઓલમ્પિયા પબ્લિશર્સ દ્વારા તારીખ 25 મે 2017ના રોજ વિશ્વના 75 દેશોમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
લાગતું વળગતું: 102 Not Out – વૃદ્ધાવસ્થા એ ફક્ત માનસિક પરિસ્થિતિ છે |
તદુપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પુસ્તકની ભરપૂર પ્રસંશા કરી હતી. જયારે વિરેન્દ્ર વૈષ્ણવનું બીજું પુસ્તક “પ્રિઝન પ્રિઝનર્સ પેઇન એન્ડ આઈ ” જેને ચેન્નાઇના નોશન પ્રકાશન દ્વારા 150 દેશોમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
આટલું જ નહીં પરંતુ વિરેન્દ્રભાઈના આ બંને પુસ્તકોને નવ ભાષામાં ટ્રાન્સલેટ કરી પ્રકાશિત કરવામાં આવ્યા છે. જયારે તાજેતરમાં જ “સોલ વર્ડસ બાય ડેડ એન્ડ ડોટર” આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં “થાઉઝન્ડ ટાઈમ આઈ સે” જે ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે.
વીરેન્દ્ર વૈષ્ણવના આવનારા પુસ્તકો ઔક્સફર્ડ યુનિવર્સિટીના લિટરેચર વિભાગમાં ઓબ્ઝર્વેશન માટે મોકલવામાં આવ્યા હતા જે યુનિવર્સિટીના વડા, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને ખુબ પસંદ પડ્યા છે. જયારે પેઇન્ટિંગ અને કવિતા ક્ષેત્રે 2015 થી 2018 એમ સતત ચાર વર્ષ ટીંકા ટીંકા એવોર્ડ મેળવ્યો છે. આ સિવાય ચિત્રકામ માટે રાષ્ટ્રીયકક્ષાએ તેમને 2016માં પાંચમું અને 2017માં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વિરેન્દ્ર વૈષ્ણવ આધ્યાત્મિકતાના ફેલાવા માટે પણ ખુબ સારા કામો કરે છે. થિયોસોફિકલ સોસાયટી ઓફ અમેરિકાના તેઓ મેમ્બર પણ રહી ચુક્યા છે. જયારે આગામી સમયમાં યુવાનોમાં કાયદાકીય જાગૃતિ ફેલાવવા અને પોઝિટિવિટી લાવવા માટે પણ કામ કરશે.
આમ વિરેન્દ્ર વૈષ્ણવ એ જેલમાં રહીને પણ અને તકલીફો ભોગવીને પણ કેવી રીતે હકારાત્મકતા કેળવાય અને તેનાથી કેવી રીતે સફળતા મેળવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આપણે જ્યારે નાની નાની તકલીફોનો સામનો કરતા નકારાત્મક વિચારો ધરાવવાના શરુ કરી દઈએ છીએ, એવામાં વિરેન્દ્રભાઈનું ઉદાહરણ કાયમ સામે રાખવાથી તેને દૂર કરી શકવામાં આપણને મદદ મળી શકે તેમ છે.
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: ઉત્સવોની રાણી દિવાળી: આ વર્ષે દિવાળીને નવા વ્યંજનોથી વધાવીએ