વામપંથી ઝોક ધરાવતું ભારતીય મિડીયાને કલ્પનાની દુનિયામાં જીવવાનું બહુ ગમે છે અને એટલેજ એ પાકિસ્તાન સાથે ‘અમન કી આશા’ જેવા ગતકડાં લઈને આવતું હોય છે. ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો સુધરે એ માટે નરેન્દ્ર મોદીએ સત્તા સાંભળ્યા બાદ બે વખત કોશિશ કરી હતી, પરંતુ NDTV નામની એક ન્યૂઝ ચેનલ પોતાને કદાચ ભારત સરકારથી પણ ઉપર ગણે છે તેણે આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મામલે મધ્યસ્થી બનવા માટે નોર્વેને જબરદસ્તીથી ઘુસેડી દીધું હતું.
બન્યું એવું કે NDTV સંવાદદાતા કમ હોસ્ટ નિધિ રાઝદાને ભારતની મુલાકાતે આવેલા નોર્વેના વડાપ્રધાન એરના સોલબર્ગનો પોતાની ટીવી ચેનલ માટે ઇન્ટરવ્યુ લીધો હતો. ઇન્ટરવ્યુના દિવસે તેનો પ્રચાર કરવા માટે નિધિ રાઝદાને એક Tweetમાં એમ કહ્યું હતું કે તેની મુલાકાતમાં નોર્વેના વડાપ્રધાને કહ્યું છે કે નોર્વે કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા માટે તૈયાર છે.
નિધિ રાઝદાનની આ Tweet બાદ સોશિયલ મિડિયામાં હલચલ મચી ગઈ હતી. આજકાલ Twitter પર દેશ-વિદેશના નેતાઓ પોતાના આધિકારિક નિવેદનો પણ આપતા હોય છે એટલે શક્ય છે કે નિધિ રાઝદાનની એ Tweet ભારતના વિદેશ મંત્રાલય સુધી કે પછી નોર્વે સરકારના ધ્યાનમાં પણ આવી હોય. એક તરફ નિધિ રાઝદાન અને કદાચ NDTV પણ પોતાની ‘સિદ્ધિ’ બદલ પોરસાઈ રહ્યા હતા પરંતુ થોડા જ સમય બાદ ભારતમાં નોર્વેના રાજદૂત નિલ્સ રેગ્નાર કામ્સ્વેગે Tweet કરીને નિધિ રાઝદાનની Tweetને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે વડાપ્રધાન એરના સોલબર્ગે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનું કહ્યું જ નથી.
આમ નિધિ રાઝદાન અને પોતાને ભારત સરકારથી સવાઈ ગણતી NDTV દેશ અને દુનિયા સમક્ષ ખુલ્લા પડી ગયા હતા.
નોર્વેના વડાપ્રધાને પોતાની દિલ્હી મુલાકાત દરમ્યાન અહીંની રોયલ નોર્વે એમ્બેસીની ગ્રિન લોન્સનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે પત્રકારોના સવાલના જવાબમાં આ પ્રમાણે કહ્યું હતું…
ભારત અને પાકિસ્તાન એટલા મોટા રાષ્ટ્રો છે કે તેઓ બહારની કોઇપણ મદદ વગર પોતાના દ્વિપક્ષીય મામલાઓનું નિરાકરણ લાવી શકે છે. પરિસ્થિતિમાં પરિવર્તન કરવા માટે કોઈ બહારથી દબાણ ન લાવી શકે, જો પરિવર્તન કરવું જ હોય તો તે અંદરથી જ થવું શક્ય છે. હા, એક વખત જો આ બંને દેશો ભેગા મળીને પરિવર્તનની પ્રક્રિયા શરુ કરે તો પછી બીજા રાષ્ટ્રો મદદ માટે આવી શકે છે.
નોર્વેના રાજદૂતે બાદમાં પત્રકારોને પણ કહ્યું હતું કે વડાપ્રધાન એરના સોલબર્ગે ક્યારેય ભારત પાકિસ્તાન વચ્ચે કોઇપણ મુદ્દે મધ્યસ્થી કરવાની કોઈજ ઓફર કરી ન હતી.
હવે નિધિ રાઝદાનની વાત કરીએ તો તેણે પોતાની ઓરીજીનલ Tweet પર કેટલાક લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબમાં એમ કહ્યું હતું કે એરના સોલબર્ગ ગયા મહીને પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા અને POKમાં જઈને ત્યાંના કાશ્મીરી ભાગલાવાદીઓને મળ્યા હતા. આ મુલાકાતને બહુ મોટું મિડિયા કવરેજ મળ્યું હતું. આમ સોલબર્ગ જો POKમાં ભાગલાવાદીઓને મળ્યા હોય તો એનો મતલબ એ જ છે કે નોર્વે ને ભારત પાકિસ્તાન વચ્ચે આ મુદ્દે મધ્યસ્થી કરવામાં રસ છે અને બે રાષ્ટ્રો વચ્ચે સફળ મધ્યસ્થી કરવાનો નોર્વેનો ઈતિહાસ રહ્યો છે!
પરંતુ, કાયમની જેમ નોર્વેના રાજદૂતનો રદિયો આવ્યા બાદ આ NDTV પત્રકારે કોઇપણ ખુલાસો તો દૂર પરંતુ ખોટા સમાચાર ફેલાવવા બદલ માફી પણ નથી માંગી. ઉલટું તેનું આ બાબતે ધ્યાન દોરનાર એક વ્યક્તિની Tweet નો જવાબ આપતા નિધિ રાઝદાને તેને ટ્રોલ્સના કુપ્રચારથી દૂર રહેવાની સલાહ આપી દીધી હતી!
લાગતું વળગતું: વડાપ્રધાન ઇમરાન ખાન હોય કે બીજો કોઈ પાકિસ્તાન તો આવું જ રહેવાનું |
આ જ છે NDTV અને તેના જેવા અન્ય સામ્યવાદી મિડિયા હાઉસીઝની માનસિકતા. તેઓ પોતાના ફાયદા માટે દેશના સન્માનને પણ ભૂલી જતા હોય છે. નોટબંધી વખતે જેમને તકલીફ પડી હોય એવાના જ ઇન્ટરવ્યુ લેવા કે પછી દેશનું ભાવી અંધકારમય છે એવું દર્શાવવા કલાક સુધી પોતાનો સ્ક્રિન પણ કાળો કરી દેવો જેવા ગતકડાં NDTV માટે સામાન્ય બની ગયું છે. યાદ રહે આ જ NDTV ને અગાઉ સરકાર તરફથી ખોટા સમાચાર ફેલાવવા બદલ 24 કલાક ચેનલ બંધ કરી દેવાની સજા પણ મળી ચૂકી છે.
નિધિ રાઝદાનની હાલની હરકત તો એક નાનકડું ઉદાહરણ છે પરંતુ NDTV ફેક ન્યૂઝ ફેલાવવામાં હોંશિયાર છે એવા ઘણા દાખલાઓ આપણે ભૂતકાળમાં પણ જોઈ ગયા છીએ. મજાની વાત એ છે કે આ જ NDTV અન્ય ચેનલો કે રાષ્ટ્રવાદી લોકો પર વારંવાર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ મૂકતું હોય છે!
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: શિયાળો આવી ગયો છે, તો નવી નવી વાનગીઓ સાથે તેનું સ્વાગત કરીએ?