વારે તહેવારે નરેન્દ્ર મોદી સરકાર પર ખેડૂતોને અન્યાય કરવા અને પોતાને તેમજ કોંગ્રેસ પાર્ટીને ખેડૂતોના તારણહાર બતાવતા રાહુલ ગાંધીએ જ ખેડૂતોની જમીન પચાવી પાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વળી, આ કિસ્સો રાહુલ ગાંધીની લોકસભા બેઠક અમેઠીમાં જ બન્યો છે.
ગઈકાલે રાહુલ ગાંધી અમેઠી ગયા હતા અને ત્યાં જ તેમણે ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. અમેઠીના શાહગઢ વિસ્તારના કેટલાક ખેડૂતોએ ગૌરીગંજમાં રાહુલ ગાંધીના આવતાની સાથે જ વિરોધ કર્યો હતો. આ વિરોધ રાહુલ ગાંધી દ્વારા વચન આપવામાં આવેલી સમ્રાટ સાયકલ ફેક્ટરીને શરુ કરવામાં મળેલી નિષ્ફળતા અંગે હતો. આ વિરોધ પ્રદર્શન પણ એ જ સ્થાને કરવામાં આવ્યું હતું જ્યાં સમ્રાટ સાયકલ ફેક્ટરી બનવાની છે.
એક ખેડૂતના કહેવા અનુસાર રાહુલ ગાંધીએ અહીં સાયકલ ફેક્ટરી બનાવવાનું વચન આપીને ખેડૂતો પાસેથી ભૂમિ અધિગ્રહણ કર્યું હતું અને વર્ષો થયા બાદ પણ ફેક્ટરી તો શરુ થઇ જ નથી પરંતુ ખેડૂતોને તેમની ભૂમિ પણ પરત નથી મળી. આ ખેડૂતનો રોષ સમજી શકાય તેમ છે કારણકે તેણે ત્યાં આવેલા પત્રકારોને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ અમારી જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો છે. આથી તે ભારતમાં રહેવા લાયક નથી, તેમણે ઇટાલી જતું રહેવું જોઈએ.
સમ્રાટ ફેક્ટરીનો આખો કિસ્સો એવો છે કે છેક રાજીવ ગાંધીના સમયમાં જ્યારે તેઓ 1986માં અમેઠીથી સાંસદ હતા ત્યારે તેમણે UPSIDC પાસેથી સમ્રાટ સાઈકલ ફેક્ટરી માટે 65.67 એકરની જમીન લીઝ પર લીધી હતી. કોઈ કારણસર આ ફેક્ટરી બની જ નહીં અને ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલે 2014માં લોનની રીકવરી કરવા માટે રૂ. 20.10 કરોડમાં આ જમીનની હરાજી કરી હતી.
લાગતું વળગતું: નરેન્દ્ર મોદી પર ટાઈમિંગનો પશ્ન ઉઠાવનાર કોંગ્રેસે જાટ આરક્ષણ વખતે શું કર્યું હતું? |
મહત્ત્વની વાત હવે આવે છે. આ હરાજી દરમ્યાન જમીન ખરીદવા માટે રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટે રૂ. દોઢલાખની સ્ટેમ્પ ડ્યુટી ભરી હતી. 2015ના એક ચૂકાદામાં કોર્ટે એવો નિર્દેશ આપ્યો કે આ જમીન લીઝ પર હતી અને આથી તેને રાજીવ ગાંધી ટ્રસ્ટને વેંચી ન શકાય. આમ તેની માલિકી UPSIDCને પરત આપી દેવામાં આવી હતી. ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં એવું બહાર આવ્યું હતું કે એક સમજી વિચારીને અમલમાં મુકવામાં આવેલી રણનીતિ અનુસાર આ જમીન સમ્રાટ સાયકલ્સના નામે કરી દેવામાં આવી હતી.
આ જ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂમિ અધિગ્રહણ કાયદાનો વિરોધ કરતા તે ખેડૂત વિરોધી હોવાનું કહ્યું હતું, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ અમેઠીના ખેડૂતોની 65.67 એકર જમીન પર કબજો જમાવી લીધો છે તે અંગે તેઓ કાયમ મૌન પાળી રહ્યા છે. ખેડૂતોના હિતમાં વિચારતી કોંગ્રેસે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતો પાસે લોનમાફીના નામે મત લઈને તેમની સાથે કેવો વિશ્વાસઘાત કર્યો તે ઉદાહરણ હજી તાજું જ છે.
પોતાને ખેડૂતોના તારણહાર બતાવનારા રાહુલ ગાંધી આજે 32 વર્ષથી પોતાના પક્ષની ગેરરીતિઓને લીધે ગરીબ ખેડૂતોની જમીન ફસાઈ પડી છે અને એ પણ એ વિસ્તારમાં જેણે તેમને તેમના પરિવારની ત્રણ-ત્રણ પેઢીથી સંસદમાં મોકલ્યા છે તેમની જમીન ક્યારે છોડાવશે તે અંગે ક્યારે બોલશે?
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: રોમાંચક 2019ના વર્ષમાં કયા કયા નવા સ્માર્ટફોન્સ Launch થવાના છે?