રાષ્ટ્રવાદીઓને અન્યાય કરતા Twitterના અધિકારીઓને સંસદીય સમિતિનું સમન્સ

    0
    250

    સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Twitterને સંસદીય સમિતિ દ્વારા રાષ્ટ્રવાદીઓને પરેશાન કરાતા હોવાની ફરિયાદને અનુલક્ષીને સમન્સ પાઠવવામાં આવ્યા છે.

    Photo Courtesy: dnaindia.com

    સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Twitter પર છેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા હેન્ડલ્સ પ્રત્યે અન્યાય થતો હોવાની ફરિયાદ થઇ રહી છે. નાગરિકોના એક જૂથે આ અંગે ફરિયાદ કરતા સંસદસભ્ય અનુરાગ ઠાકુરની અધ્યક્ષતા હેઠળની ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની સંસદીય સમિતિએ Twitterના અધિકારીઓ તેમજ ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે.

    આ અંગેની જાણકારી ખુદ અનુરાગ ઠાકુરે પોતાની Tweetમાં આપી હતી. આ બેઠક આવતી 11 ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગ્યે નક્કી થઇ છે.

    Twitter વિરુદ્ધ થયેલી ફરિયાદ

    થોડા દિવસ અગાઉ જ સિટીઝન્સ ફોરમે અનુરાગ ઠાકુરને એક દસ્તાવેજ સોંપ્યો હતો જેમાં રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા યુઝર્સ પ્રત્યે Twitter ભેદભાવભરી નીતિ ધરાવતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ‘યુથ ફોર સોશિયલ મિડિયા ડેમોક્રેસી’ (YSMD) હેઠળ દિલ્હીના લાડો સરાઈ વિસ્તારમાં આવેલી Twitterની ઓફિસ સામે પ્રદર્શન કર્યા હતા જેની આ સંસદીય સમિતિએ નોંધ લીધી હતી.

    આ પ્રદર્શનકર્તાઓએ આરોપ મુક્યો હતો કે આ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ વામપંથી વિચારસરણી ધરાવતા યુઝર્સની તરફેણ કરતું હોય છે. YMSDએ પોતાના આરોપોમાં જણાવ્યું હતું કે ચૂંટણીના વર્ષમાં ભારતીય ચૂંટણીઓ પર અસર પાડવા માટે જે મુક્ત અને ન્યાયી ચૂંટણીની ભાવનાની વિરુદ્ધ છે, તે ભારતીય લોકશાહીની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.” જો કે Twitter દ્વારા આ આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા.

    આ પ્રકારનો વિરોધ સામે આવવા પાછળનું કારણ રહ્યું હતું અંકુર સિંગનું હેન્ડલ Twitter દ્વારા સસ્પેન્ડ કરવું. અંકુર સિંગનું હેન્ડલ Twitter દ્વારા કોઇપણ કારણ બતાવ્યા વગર જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ Twitter પર #BringBackAnkurSingh નામનો ટ્રેન્ડ લોકપ્રિય થયો હતો અને બીજા જ દિવસે Twitter દ્વારા અંકુરનું હેન્ડલ એક્ટીવ કરી આપવામાં આવ્યું હતું એટલુંજ નહીં પરંતુ તેણે માફી પણ માંગી હતી.

    પરંતુ અંકુર સિંગ જેવો કિસ્સો તો એકલદોકલ જ જોવા મળે છે જ્યાં Twitter માફી માંગે છે મોટાભાગના કિસ્સાઓમાં Twitter પોતાની શરતે જ રાષ્ટ્રવાદીઓના હેન્ડલ પરનું સસ્પેન્શન પરત લે છે. ગયા વર્ષે અદાકાર અને અમદાવાદના સંસદસભ્ય પરેશ રાવળ સાથે પણ આ જ પ્રકારનું વર્તન Twitter દ્વારા કરવામાં આવ્યું હતું અને છેવટે પરેશ રાવળે Twitterની શરત માનીને પોતાનું હેન્ડલ મુક્ત કરાવ્યું હતું.

    હવે એ જોવાનું રહેશે કે હવેના ભવિષ્યમાં જ્યારે ચૂંટણી પ્રચાર તેની ચરમસીમાએ હોવાનો ત્યારે Twitter રાષ્ટ્રવાદી તરફી હેન્ડલ્સ સાથે કેવો વ્યવહાર કરે છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here