2019ની લોકસભાની ચૂંટણીઓમાં જીત મેળવવા દિલ્હીની આમ આદમી પાર્ટીએ દિલ્હીના મતદારોને મતદાર યાદી અંગે ખોટો પ્રચાર કરીને ભ્રમિત કરવાનો પ્રયાસ આદર્યો છે.
આવનારી લોકસભાની ચૂંટણીઓમાં જીત મેળવવા માટે સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓ ગમેતે હદ સુધી જવા માટે તૈયાર છે, પરંતુ દિલ્હીની આમ આદમી પાર્ટીએ તો હદ વટાવી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી દિલ્હીવાસીઓને એક ફોન કોલ આવે છે જેમાં એમ કહેવામાં આવે છે કે તેમનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યું છે!
આમ આદમી પાર્ટીએ દિલ્હીવાસીઓને ગેરમાર્ગે દોર્યા
આ પ્રકારના ફોન કોલ્સની ફરિયાદો મોટી સંખ્યામાં ચૂંટણી પંચ સમક્ષ પહોંચતા ચૂંટણી પંચે દિલ્હી પોલીસમાં તેની વિધિવત ફરિયાદ કરીને દિલ્હી પોલીસને આ મામલાના મૂળ સુધી જવાનું કહ્યું છે. 08 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસને કરેલી લેખિત ફરિયાદમાં ઈલેક્શન ઓફિસર મનોજ કુમારે કહ્યું છે કે આ મામલે પ્રથમદર્શી સત્યતા જણાઈ રહી છે અને આથીજ તેની સત્યતા તપાસવા તેમજ તે અંગે જરૂરી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે.
Press Release-10.02.2019 pic.twitter.com/unDgCmFwkv
— CEO, Delhi Office (@CeodelhiOffice) February 10, 2019
દિલ્હી પોલીસને ફરિયાદ કર્યા બાદ દિલ્હીના ચીફ ઈલેક્શન કમિશનરે એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી હતી જેમાં તેમણે કહ્યું છે કે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ અને સંસ્થાઓ દિલ્હીના નાગરિકોને ફોન કોલ કરી રહ્યા છે કે તેમના નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઇ ગયા છે અને તેઓ તેને ફરીથી ઉમેરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ રિલીઝમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મતદારોએ વોટર હેલ્પલાઇન, જે nsvp.in પર આપવામાં આવી છે તેની માહિતી લઈને SMS દ્વારા પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તેની પુષ્ટિ કરે.
આ ઉપરાંત દિલ્હીના ચૂંટણી પંચે મતદારોને ઓનલાઈન તપાસ કરવાનું પણ અથવાતો ફોર્મ 6 દ્વારા મતદાર યાદીમાં પોતાનું નામ ઓફલાઈન ચેક કરી લેવાની પણ સલાહ આપી છે.
લાગતું વળગતું: લોકસભા ચૂંટણીઓ જીતવા અરવિંદ કેજરીવાલે શરુ કર્યો ઈમોશનલ અત્યાચાર |
આ આખીયે ઘટના પાછળની હકીકત એવી છે કે આમ આદમી પાર્ટીએ થોડા દિવસ અગાઉ એવો આરોપ લગાવ્યો હતો કે ભાજપે દિલ્હીની મતદાર યાદીમાંથી લગભગ 30 લાખ નામો ડિલીટ કરાવી દીધા છે. જો કે અગાઉ પણ ચૂંટણી પંચે આવું કશું થયું હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તેમ છતાં હાલમાં આપ દ્વારા દિલ્હીના મતદારોને ફોન કોલ દ્વારા માહિતી ફેલાવવામાં આવતી હોવાના કિસ્સા બહાર આવ્યા છે. આ ફોન કોલ્સમાં કથિતરૂપે એમ કહેવામાં આવે છે કે “તમારું નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યું છે પરંતુ અરવિંદ કેજરીવાલ તેમનું નામ ફરીથી ઉમેરી આપશે.”
દિલ્હીના ઘણા મતદારોએ આ પ્રકારના ફોન કોલ્સ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરીને સોશિયલ મિડીયામાં શેર કર્યા હતા અને તેમાં સ્પષ્ટપણે સંભળાતું હતું કે કોલ કરનારાઓ ‘આપ’માંથી કોલ કરી રહ્યા છે. અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની ફરિયાદો ચૂંટણી પંચમાં પહોંચી છે. દિલ્હીના ઘણા મતદારોએ એમ પણ કહ્યું છે કે આ પ્રકારના ફોન કોલ આવ્યા બાદ જ્યારે તેમણે મતદાર યાદી ચકાસી ત્યારે તેમાં તેમનું નામ જોવા મળ્યું હતું.
9 ફેબ્રુઆરીએ દિલ્હીના ચીફ ઈલેક્ટોરલ ઓફિસરે પણ એક જાહેર નિવેદનમાં લોકોને આ પ્રકારના ફોન કોલ્સ અંગે ચેતતા રહેવાની સલાહ પણ આપી હતી.
આમ આ રીતે આમ આદમી પાર્ટી દિલ્હીવાસીઓમાં ભ્રમ ઉભો કરાવવા માંગતી હોય એવું લાગી રહ્યું છે. આમ કરીને તેને શું મળશે એ તો પાર્ટી અને તેના નેતાઓ જ જાણે પરંતુ દિલ્હીના મતદારોની અપેક્ષા પર ઉણા ઉતર્યા બાદ આમ આદમી પાર્ટીની સરકારે ખરેખર તો શાસન પર ધ્યાન આપવાની જરૂર હતી નહીં કે લોકોને ભાજપ વિરુદ્ધ ભડકાવીને નિષ્પક્ષ ચૂંટણી પંચ પર શંકા કરવા લોકોને ઉત્તેજિત કરવાની.
eછાપું
તમને ગમશે: ઈરાને તેનું પહેલું સેટેલાઈટ રોકેટ ‘સિમોર્ઘ’ સફળતાપૂર્વક છોડ્યું પણ અમેરિકા પરેશાન