વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિશન શક્તિની સફળતાનો આનંદ વહેંચવો તેને ભારતના કેટલાક જાગૃત નાગરિકો ચૂંટણી પ્રચાર કહે છે પરંતુ તેઓ 2014ની એક ઘટના ભૂલી જાય છે જ્યારે સોનિયા ગાંધીએ….
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મિશન શક્તિની સફળતાની જાણકારી આપવા માટે અને દેશવાસીઓને તે માટે શુભેચ્છાઓ પાઠવવા માટે સંબોધન કર્યું હતું. આ સમગ્ર સંબોધન દરમ્યાન વડાપ્રધાને ક્યાંય પણ પોતાના માટે કે પોતાની પાર્ટી માટે આ સિદ્ધિ બદલ મત આપવાની અપીલ કરી ન હતી. તેમછતાં મોદીના કાયમી વાંકદેખાઓથી આ રહેવાયું નહીં અને તેને ચૂંટણી આચારસંહિતાનો ભંગ કહીને ગામ ગજવી નાખ્યું હતું.
સોશિયલ મિડિયામાં મોદી દ્વેષીઓની કોઈજ ખોટ નથી. અમુક દ્વેષીઓ અને પત્રકારો પોતાને દેશના સહુથી મોટા જાગૃત નાગરીકોમાંથી એક માને છે. જ્યારે તેમને એમ કહેવામાં આવ્યું કે દેશને મળેલી આટલી મોટી સિદ્ધિની જાણકારી અને દેશવાસીઓને અભિનંદન આપવા માટે જો વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરતા હોય તો એમાં વાંધો શું છે? તો પેલા દ્વેષીઓ અને ભારતના શ્રેષ્ઠ જાગૃત નાગરીકોએ સવાલ કર્યો કે કેમ? અમને સરકારને સવાલ કરવાનો અધિકાર છે.
જો કે તેમણે સરકારને સવાલ કરવાના અબાધિત અધિકારનો ઉપયોગ માત્ર 2014 પછી એટલેકે મોદી સરકારના સત્તા સંભાળ્યા બાદ જ શરુ કર્યો છે એ હકીકત છે. જો એવું ન હોત તો 2014ની લોકસભાની ચૂંટણીઓની મધ્યમાં એટલેકે 14 એપ્રિલ 2014ના દિવસે તે સમયના UPA ચેરપર્સન અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ રાષ્ટ્રને કેમ સંબોધન કરીને પોતાની પાર્ટીનો સીધો અને આડકતરો એમ બંને પ્રચાર કરી દીધો એ સવાલ તેમણે ત્યારે કેમ ન કર્યો?
2014ની લોકસભાની ચૂંટણીની જાહેરાત તે સમયના મુખ્ય ચૂંટણી કમિશનર વી કે સંપતે 5 માર્ચ 2014ના દિવસે કરી દીધી હતી. તો પછી સોનિયા ગાંધીને આ જાહેરાત થયાના એક મહિના અને દસ દિવસે રાષ્ટ્રને સંબોધન કરવાની જરૂર કેમ પડી? સોનિયા ગાંધીએ આમ કેમ કર્યું એ સવાલ એ સમયે કેમ કોઈ જાગૃત પત્રકાર કે પછી દેશના એ જાગૃત નાગરીકોએ ન કર્યો?
લાગતું વળગતું: મિશન શક્તિની સફળતાથી અમેરિકા સ્તબ્ધ, કોંગ્રેસ અને પાકિસ્તાન કન્ફ્યુઝ્ડ |
તેમના આખા સંબોધનમાં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી જે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર હતા તેમનું નામ લઈને તેમના વિષે ઘણું કહ્યું છે અને દેશના નાગરિકોને મીઠા મીઠા શબ્દોમાં દેશની એકતા અખંડિતતા કેમ જરૂરી છે અને જો મોદી વડાપ્રધાન બનશે તો તે તૂટી જશે અને દેશનું ધનોતપનોત નીકળી જશે એવો આડકતરો ભય પણ દેખાડ્યો હતો.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બુધવારનું ઉદબોધન માત્ર દેશના વૈજ્ઞાનિકોએ મેળવેલી સિદ્ધિને દેશ સાથે શેર કરીને તેને ગર્વ અને આનંદ મહેસૂસ કરાવવા માટે હતું અને તેમાં નામ માત્રનો પણ ચૂંટણી પ્રચાર ન હતો. તો બીજી તરફ સોનિયા ગાંધીનું આ સંબોધન પૂર્ણપણે મત માંગવા માટે જ હતું. મજાની વાત એ છે કે સોનિયા ગાંધી કોઇપણ વૈધાનિક પદ ધરાવતા ન હતા તો પછી તેમને દૂરદર્શનનો દૂરુપયોગ કરવાની છૂટ કેમ આપવામાં આવી તેવો સવાલ કોઈએ ક્યારેય નથી કર્યો.
તો પછી આપણે એમ માનવું કે નરેન્દ્ર મોદીએ જ દેશના નાગરિકોને એ યાદ દેવડાવ્યું કે તેમની પાસે પણ સરકારને સવાલ પૂછવાનો અધિકાર છે, કારણકે અગાઉ તો લોકોને તે બાબતનો ખ્યાલ જ ન હતો. તો પછી દેશને જાગૃત કરી દેતા અચ્છે દિન લાવવા માટે આપણે બધાએ ભેગા મળીને નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપવા ન જોઈએ?
eછાપું
તમને ગમશે: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન અને અમેરિકન મિડીયાની માનસિકતા