ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુ વાઘાણી પર આચારસંહિતાના ભંગ બદલ આવનારા 72 કલાક માટે ચૂંટણી પંચે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ચૂંટણી પંચે આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુ વાઘાણી પર પ્રચાર કરવા પર 72 કલાકનો પ્રતિબંધ મૂક્યો છે. જીતુ વાઘાણી પર કોંગ્રેસ દ્વારા સુરતની એક જાહેરસભામાં કોંગ્રેસ વિરુદ્ધ અપશબ્દો બોલવાનો આરોપ લગાવીને તેમના પર આદર્શ આચારસંહિતાનો ભંગ કરવા બદલ પગલાં લેવાની ચૂંટણી પંચને વિનંતી કરવામાં આવી હતી. ચૂંટણી પંચે આ અરજીનો સ્વિકાર કરતા આજે લગભગ 23 દિવસ બાદ વાઘાણી પર આજે સાંજે 4 વાગ્યાથી આગામી 72 કલાક સુધી કોઇપણ પ્રકારે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
અત્રે એ નોંધનીય છે કે જીતુ વાઘાણી આજથી વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રચાર કાર્ય શરુ કરવાના હતા, એવામાં તેમના પર પ્રતિબંધ આવી પડતા તેઓ તકલીફમાં મુકાઈ ગયા છે.
ગઈકાલે ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ધાની ચૂંટણી સભામાં કહેવાતી આચારસંહિતા ભંગની ફરિયાદને ફગાવી દીધી હતી તો સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન પર ફરી એકવાર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ મૂક્યો છે.
ગુજરાત અને આઝમખાનની લોકસભા બેઠક રામપુર જ્યાંથી તેઓ ઉમેદવાર છે ત્યાં ગત 23 એપ્રિલે મતદાન સંપન્ન થઇ ગયું હતું.
eછાપું