પોતાની જીત કરતા મોદીની હાર માટે બનતા પ્રયાસો કરતા વિપક્ષી પક્ષોનો ચૂંટણીના પરિણામો બાદ શું કરી શકાય તે અંગેનો એક પ્લાન મિડીયામાં લીક થઇ ગયો છે, જે તેમના તળીયે બેસી ગયેલા આત્મવિશ્વાસનો પૂરાવો છે.
ડૂબતો જેમ તરણાનો સહારો લે એમ જ “નરેન્દ્ર મોદી ક્યાંક સત્તા પર પરત આવશે તો?” એવો દ્રશ્યમાન ભય કોંગ્રેસ સહિતના વિપક્ષને રીતસર થરથર કંપાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એક સમાચાર અનુસાર કોંગ્રેસ સહીત 21 વિપક્ષી પાર્ટીના નેતાઓએ હાલમાં જ એક પ્લાન તૈયાર કર્યો છે અને આ પ્લાન અનુસાર જેવા લોકસભાની ચૂંટણીના પરિણામો તેમની અપેક્ષા અનુસાર આવે એટલે તરતજ તેઓ રાષ્ટ્રપતિને એક પત્ર સોંપવાના છે.
આ પત્રમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને એવી વિનંતી કરવામાં આવશે કે તેઓ પરિણામો બાદ સહુથી વધુ બેઠકો ધરાવતા પક્ષને (એટલેકે ભાજપ) સરકાર રચવા માટે આમંત્રણ ન આપે. આમ તો આ પત્રમાં આ વિપક્ષો એવું કારણ આપવાના છે કે (માની લઈએ કે) સમગ્ર NDA 272ના જાદુઈ આંકડાથી થોડો દૂર રહી જાય અને રાષ્ટ્રપતિ સહુથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપશે તો તે અન્ય નાની પાર્ટીઓ પર લોભ અને લાલચના દબાણ મૂકીને તેમના પક્ષે કરી લેશે. આ ઉપરાંત આ પત્ર સાથે તેઓ પોતપોતાના સંસદ સભ્યોના તેમને રહેલા ટેકાના પત્રો પણ જોડવાના છે.
પરંતુ ખરેખર જો વિપક્ષી પાર્ટીઓના આ ડરનું પાછળનું ખરું કારણ જોઈએ તો એ છે કે NDA નહીં પરંતુ જો ભારતીય જનતા પાર્ટી એકલી 272ની સંખ્યાથી થોડી ઘણી દૂર રહી જાય અને રાષ્ટ્રપતિ તેને NDAના બહુમતીના આધારે સરકાર રચવા આમંત્રણ આપે તો પછી વિપક્ષી પાર્ટી પાસેથી સત્તાનો લાડુ ફરીથી દૂર થઇ જાય કારણકે એકવાર સત્તામાં આવવા મળે એટલે કોઇપણ પક્ષ તાબડતોબ તો NDAનો સાથ ન જ છોડે. આમ વિપક્ષી પાર્ટીઓ નાના પક્ષો અથવાતો સંસદ સભ્યોના ખરીદ વેચાણનો ભય ભાજપ પર અત્યારથી મૂકીને ખરેખર તો તેઓ NDAની પાર્ટીઓને પોતાના પક્ષે કરવા માંગે છે.
બંધારણની જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ ત્રિશંકુ લોકસભાની પરિસ્થિતિમાં તેમની બંધારણીય સમજ અનુસાર કોઇપણ પક્ષને પહેલી સરકાર રચવા આમંત્રણ આપી શકે છે. હવે અહીં એક પક્ષ કે ચૂંટણી પહેલા રચાયેલા ગઠબંધન એવી કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, પરંતુ શંકર દયાળ શર્માએ નવો ચીલો ચાતરતા 1994માં અટલ બિહારી વાજપેયીને, ભલે તેમની પાસે 272નો આંકડો ન હોવા છતાં સહુથી મોટા પક્ષ તરીકે આમંત્રણ આપ્યું હતું.
તો કર્ણાટકમાં ગવર્નર વજુભાઈ વાળાએ ચૂંટણી અગાઉ થયેલા ભાજપ અને તેના સાથી પક્ષોના ગઠબંધનને પહેલો મોકો આપ્યો હતો નહીં કે કોંગ્રેસ-JDSને જેઓ ચૂંટણી તો અલગ અલગ લડ્યા હતા પરંતુ માત્ર ભાજપને સત્તાથી દૂર રાખવા માટે તેમણે ચૂંટણીના પરિણામો બાદ બે જ કલાકમાં ગઠબંધન ઉભું કરી દીધું હતું. તો ગોવામાં ગવર્નરે ચૂંટણીના પરિણામો બાદ ભાજપે ઉભા કરેલા ગઠબંધનને પહેલો મોકો આપ્યો હતો.
આમ બંધારણીય વડા પછી તે રાજ્ય કક્ષાએ હોય કે રાષ્ટ્ર કક્ષાએ બંધારણે તેમને નક્કી કરવાની સત્તા આપી છે કે તેઓ ત્રિશંકુ પરિસ્થિતિમાં કોને સહુથી પહેલા સરકાર બનાવવા માટે આમંત્રણ આપે. પરંતુ આ બધું ત્યારે ચિત્રમાં આવશે જો હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના પરિણામો ત્રિશંકુ લોકસભા બનાવશે. હાલમાં તો પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે અને હજી બે તબક્કા બાકી છે.
વિપક્ષોના આ તમામ ચૂંટણી દરમ્યાનના પેંતરા જોઇને એવું લાગે છે કે સત્તા તેમનાથી દૂર જ રહેવાની છે. શરૂઆતમાં તો બાલાકોટ એરસ્ટ્રાઈક પર વાંધો તો ઉઠાવ્યો જ પરંતુ બાદમાં પાકિસ્તાનને ફાયદો થાય એવા નિવેદનો આપવા લાગ્યા. ત્યારબાદ પહેલા રાઉન્ડ બાદ EVM પર જૂનો અને જાણીતો આરોપ મૂકીને સુપ્રિમ કોર્ટમાં VVPATની 50% મેળવણીની અરજી કરી. આ અરજી અંગે સુપ્રિમ કોર્ટે દર વિધાનસભા ક્ષેત્રના પાંચ-પાંચ બૂથના જ VVPAT મેળવવાનો ચૂકાદો આપી દીધા બાદ અચાનક પાંચમાં તબક્કા વખતે ફરીથી વિપક્ષે ઉપરોક્ત નિર્ણય વિરુદ્ધ રિવ્યુ પીટીશન ફાઈલ કરી જેને ગઈકાલે સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી અને તેના અગાઉના ચૂકાદાને જ માન્ય રાખ્યો છે.
આમ, વિપક્ષો જે પ્રમાણે મોદીને દૂર રાખવા માટે હરકત કરી રહ્યા છે તેમાં આ રાષ્ટ્રપતિને પત્ર લખવાનો ઈરાદો પણ સામેલ જ છે. મુદ્દાની વાત અને વિચારવા લાયક વાત એ છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપ પ્રમુખ અમિત શાહ સોઈ ઝાટકીને કહી રહ્યા છે કે આ વખતે ભાજપ અને NDA ગયા વખત કરતા પણ વધારે બેઠકો મેળવશે તેનાથી વિરુદ્ધ આજની તારીખ સુધી વિપક્ષી પાર્ટીઓએ ક્યારેય પોતાની જીતનો દાવો આત્મવિશ્વાસ સાથે નથી કર્યો.
પરંતુ તેના સ્થાને તેઓ નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનતા કેમ રોકી શકાય તેની શક્યતાઓ એટલેકે નકારાત્મક બાબતો પર વધુ ધ્યાન આપી રહ્યા છે. તેમનું આ વલણ કદાચ એક જ બાબત તરફ ઈશારો કરે છે કે આવનારી 23મી મે ના દિવસે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આત્મવિશ્વાસ મોટેભાગે સાચો પડવાનો છે.
eછાપું