મણિશંકર ઐયરની વાપસી; ભાજપ સમર્થકોએ ભવ્ય સ્વાગત કર્યું

0
263

પોતાની જીભ લપસાવવા માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે બેફામ નિવેદનો માટે જાણીતા એવા મણિશંકર ઐયર લાંબા અજ્ઞાતવાસ બાદ પરત ફર્યા છે જેનું ભાજપ સમર્થકોએ જોરશોરથી સ્વાગત પણ કર્યું હતું.

અમદાવાદ: એક સાવ આશ્ચર્ય પમાડતી ઘટનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરનો એક આર્ટિકલ છપાતાં ભારતીય જનતા પક્ષના સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું! ગઈકાલે મણિશંકર ઐયરનો આર્ટીકલ The Print નામની ઘોર મોદી વિરોધી વેબસાઈટ પર છપાયો હતો. આ આર્ટીકલમાં ઐયરે મોદીને નીચ વ્યક્તિ કહેવાને પણ યોગ્ય ગણાવ્યું હતું.

2017ની ગુજરાત લોકસભાની ચૂંટણીનો પ્રચાર જ્યારે ચરમ પર હતો ત્યારે મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ આદમી કહ્યા હતા. જાણકારો કહે છે કે મણિશંકર ઐયરના આ નિવેદનને લીધે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો રથ સહેજ આગળ જતો રહ્યો હતો અને કટોકટીની લડાઈમાં તેણે સત્તા મેળવી હતી.

જો કે ઐયરની આદત જૂની છે. તેમણે 2014ની લોકસભા ચૂંટણી અગાઉ પણ કોંગ્રેસ અધિવેશનની બહાર નરેન્દ્ર મોદીને ચા વેંચવાની ઓફર કરીને તેમને ચાયવાલા કહ્યા હતા. વડાપ્રધાન મોદીએ તે સમયે આ આખો મુદ્દો વાયરલ કરીને ચાય પે ચર્ચા નામનો એક આખો પ્રચાર કાર્યક્રમ ઉભો કરી દઈને પોતાના વોટ શેરમાં અભૂતપૂર્વ વધારો કરી લીધો હતો.

આ વખતની ચૂંટણી દરમ્યાન મણિશંકર ઐયરની ગેરહાજરી લોકોને આશ્ચર્ય પમાડી રહી હતી. જો કે ઐયરને બદલે સેમ પિત્રોડાએ નરેન્દ્ર મોદીને તેમજ તેમની સરકારને અપશબ્દો કહેવાની કે તેમને મદદ કરવાની જવાબદારી લીધી હોય એવા બયાનો આપ્યા હતા.

આ સમયે ભાજપના સમર્થકો દ્વારા એવી એક અફવા પણ ઉડાવવામાં આવી હતી કે બાલાકોટ એરસ્ટ્રાઈક્સ બાદ મણિશંકર ઐયર ક્યાંય દેખાતા નથી તો તેઓ બાલાકોટ ઘટના સમયે ત્યાં તો હાજર ન હતા? પરંતુ ઐયરે ગઈકાલે પોતાના આર્ટીકલ દ્વારા પોતાની હયાતીનું સર્ટીફિકેટ પણ આપી દીધું હતું અને આથી જ ભાજપ સમર્થકો ગેલમાં આવી ગયા હતા.

ઐયરે પોતાના આર્ટીકલમાં નરેન્દ્ર મોદીને નીચ વ્યક્તિ કહેવાને યોગ્ય ગણાવતા પોતાની જાતને ભગવાન સ્વરૂપ ગણાવતા કહ્યું હતું કે હું એ સમયે કેટલો સાચો હતો તેની હવે લોકોને ખબર પડી ગઈ હશે. આ ઉપરાંત મણિશંકર ઐયરે એવી ભવિષ્યવાણી પણ કરી હતી કે ભારતના સહુથી ગપોડી વડાપ્રધાનની વિદાય હવે નિશ્ચિત છે.

ભાજપના તેમજ નરેન્દ્ર મોદીના સોશિયલ મિડિયા સમર્થકોએ જોકે મણિશંકર ઐયરનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે હવે તેઓ છેલ્લા તબક્કામાં ભાજપને જરૂર ફાયદો કરાવશે.

એક યુઝરે મણિશંકર ઐયરની એન્ટ્રીથી ભાજપ સમર્થક કેવા નાચી ગાઈ રહ્યા છે તેની GIF ઈમેજ Tweet કરી હતી.

ભાજપના સોશિયલ મિડિયાના રાષ્ટ્રીય હેડ અમિત માલવિયાએ પણ Tweet કરતા કહ્યું હતું કે મણિશંકરે તેમની ભૂલ દોહરાવીને ફરીથી મોટી ભૂલ કરી છે.

તો જાણીતા રાજકીય વિશ્લેષક આનંદ રંગનાથને એક જાણીતી બોલિવુડ ફિલ્મના લોકપ્રિય ગીતને મણિશંકર ઐયરની એન્ટ્રી સાથે સરખાવ્યું હતું.

પત્રકાર સ્વપ્ન દાસગુપ્તાએ બાલાકોટમાં મણિશંકર હાજર ન હોવાની ખાતરી કરતી ટીખળ કરી હતી.

એવું નથી કે માત્ર ભાજપ સમર્થકોએ મણિશંકર ઐયરની વાપસી અંગે મંતવ્યો આપ્યા છે. કોંગ્રેસ સમર્થક અને કોંગ્રેસના પ્રથમ પરિવારની સહુથી નજીક એવા તટસ્થ પત્રકાર પલ્લવી ઘોષે દુઃખ વ્યક્ત કરીને કહ્યું છે કે ભાજપને ફાયદો કરાવવા સેમ પિત્રોડા ઓછા હતા કે હવે ઐયર પણ પાછા આવ્યા?

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here