ગયા વર્ષે અચાનક જ નવરાત્રી વેકેશન આપવાના રાજ્ય સરકારના નિર્ણયને ઘણી સંસ્થાઓ દ્વારા વખોડી નાખવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે રાજ્ય સરકાર વહેલી જાગી છે.
ગાંધીનગર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની ભલામણ વિરુદ્ધ રાજ્ય સરકારે આ વર્ષે પણ ગુજરાતની તમામ શાળાઓ અને કોલેજોમાં નવરાત્રી વેકેશનને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા દિવસોથી લોકોમાં આ અંગે અટકળો ચાલી રહી હતી, પરંતુ સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી છે.
આ મામલે હાલમાં જ ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ બોર્ડના ચેરમેન સાથે બેઠક થઇ હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રાજ્યની તમામ યુનિવર્સીટીઓ તેમજ શાળાઓમાં નવરાત્રી વેકેશનની મંજુરી આપી છે.
લગભગ બે વર્ષથી વિદ્યાર્થીઓ તેમજ અવિભાવકોમાં નવરાત્રીનું વેકેશન હોવા બાબતે લાગણી પ્રબળ બની હતી. આથી ગયા વર્ષે રાજ્ય સરકારે દિવાળી વેકેશન ટૂંકાવીને નવરાત્રીનું વેકેશન આપવાની જાહેરાત કરી હતી.
ગયા વર્ષે સરકારના આદેશ હોવા છતાં કેટલીક શાળાઓએ નવરાત્રી વેકેશન દરમ્યાન પણ પોતાની શાળાઓ ચાલુ રાખી હતી. પરંતુ આ વખતે આ અંગેનો નિર્ણય વહેલો લઇ લેવામાં આવ્યો હોવાથી શાળાઓ એ પ્રમાણે પોતાનો અભ્યાસ કાર્યનો કાર્યક્રમ ગોઠવી શકે તેમ છે.
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર આ વર્ષે ગુજરાતભરની શાળાઓ અને કોલેજોમાં નવરાત્રી વેકેશન તારીખ 30.09.2019થી 7.10.2019 સુધી રહેશે. જ્યારે દિવાળી વેકેશન 25.10.2019થી 6.11.2019 સુધી રહેશે. જો કે આ નિર્ણયની અસર CBSE શાળાઓ પર પડશે કે કેમ તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી નથી.
eછાપું