દેશના લેફ્ટ મિડિયા દ્વારા ચલાવવામાં આવી રહેલી અટકળોની સાવ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવલની પ્રમોશન સાથે ફરીથી એ જ પદ પર નિમણુંક કરી છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નરેન્દ્ર મોદીની સરકારે જાળવી રાખ્યા છે. અજીત ડોવલની આજે બીજા પાંચ વર્ષ માટે NSA ના પદ પર ફરીથી નિમણુંક કરવામાં આવી છે.
લેફ્ટ તરફી મિડીયામાં છેલ્લા અમુક દિવસોથી આ અંગે અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડોવલને નરેન્દ્ર મોદી બીજી મુદત માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નહીં બનાવે. આ ઉપરાંત ગૃહમંત્રી તરીકે અમિત શાહની નિમણુંક થતાની સાથે જ લેફ્ટ મિડિયાએ આ અફવાને વધુ પ્રબળ બનાવી દીધી હતી.
આ પાછળ કારણ આપવામાં આવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ અને અજીત ડોવલ બંને સ્વતંત્રરીતે કાર્ય કરવા માટે જાણીતા છે અને આથી જો અમિત શાહને નરેન્દ્ર મોદીએ દેશના ગૃહમંત્રી બનાવ્યા છે તોઅજીત ડોવલને ફરીથી NSA બનાવવામાં આવશે નહીં. એક દલીલ એવી પણ આપવામાં આવી હતી કે કદાચ પણ ડોવલ ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનશે તો તેમની પાંખો કાપી નાખવામાં આવશે.
પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કાર્યશૈલી અનુસાર જ તમામ અફવાઓને ખોટી સાબિત કરીને નિર્ણય કરતા અજીત ડોવલને ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદે નિમણુંક કરી છે. આ ઉપરાંત અજીત ડોવલનું પદ હવેથી કેબિનેટ કક્ષાનું રહેશે, અગાઉ તેમને રાજ્યકક્ષાના મંત્રી જેટલી સુવિધા તેમજ વેતન મળતા હતા.
74 વર્ષિય અજીત ડોવલ 1968 બેચના IPS ઓફિસર છે અને તેઓ 2014થી જ મોદી સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહ્યા છે. પોલીસ ઓફિસર તરીકે ડોવલને કિર્તી ચક્ર એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ મેળવનારા તેઓ એક માત્ર પોલીસ અધિકારી છે.
અજીત ડોવલે પંજાબ, મિઝોરમ અને પાકિસ્તાન તેમજ યુનાઇટેડ કિંગડમમાં સેવા બજાવી છે. તેમની કાર્યપદ્ધતી અંગે અનેક દંતકથાઓ પ્રસિદ્ધ છે અને તેને લીધે જ તેમને ‘સુપર સ્પાય’ કહીને બોલાવવામાં આવે છે.
અજીત ડોવલની નજર હેઠળ જ ભારતે 2016માં ઉરી હુમલા બાદ સફળ સર્જીકલ સ્ટ્રાઈક્સ અને આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા હુમલા બાદ સફળ બાલાકોટ એરસ્ટ્રાઈક્સ કરી હતી.
eછાપું