વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉજ્જવલા યોજનાએ માત્ર ગરીબ મહિલાઓના જીવનમાં જ પરિવર્તન નથી લાવ્યું પરંતુ તેમની સાથે તેમના પરિવારોની તંદુરસ્તીમાં પણ નોંધપાત્ર સુધારો કર્યો હોવાનું એક તાજા અભ્યાસમાં સાબિત થયું છે.
લખનૌ: લાકડાં અને છાણાંનો ઉપયોગ ઇંધણ તરીકે કરીને રસોઈ બનાવતી મહિલાઓને પડતી તકલીફ ઓછી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રિય યોજનાઓમાંથી એક એવી ઉજ્જવલા યોજનાએ હવે આ મહિલાઓની તંદુરસ્તીમાં પણ ભરપૂર સુધારો કર્યો હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.
ઇન્ડિયન ચેસ્ટ સોસાયટીએ બે વર્ષ સુધી કરેલા અભ્યાસ બાદ તારણ નીકળ્યું છે કે ભારતના જે જે રસોડામાં LPG ગેસ પહોંચ્યો છે ત્યાંના કુટુંબોમાં ફેફસાં અને શ્વાસને લગતા દર્દોમાં 20% જેટલો ઘટાડો થયો છે. આ અભ્યાસ 2016માં લગભગ જેમને ફેફસાં અને શ્વાસનું દર્દ હોય તેવા બે લાખ દર્દીઓ પર કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસમાં ચેસ્ટ રિસર્ચ ફાઉન્ડેશન તેમજ ફેફસાંના દર્દોના નિષ્ણાત ડોક્ટરો એ પણ ભાગ લીધો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે 2016માં ભારતના 880 વિવિધ શહેરો અને ગામડાઓમાં 13,500 ડોક્ટરોએ OPDમાં આવેલા લગભગ બે દર્દીઓને તેમના રોગના આધારે વર્ગીકૃત કર્યા હતા. ત્યારબાદ કરવામાં આવેલા અભ્યાસમાં જ્યાં હજી પણ LPG સિલિન્ડર નથી પહોંચ્યું ત્યાં અન્યો કરતા ફેફસાના રોગો અઢીગણા વધારે છે તેવું તારણ કાઢવામાં આવ્યું હતું.
જ્યાં લાકડા, કોલસા કે અન્ય ઇંધણનો પ્રયોગ કરવામાં આવતા હતા ત્યાં મહિલાઓ ઉપરાંત પાંચ વર્ષથી નાના બાળકોમાં કાર્બનના ઓક્સાઈડ તેમજ પર્ટીક્યુલેટ મેટર સહીત અન્ય હાનિકારક ગેસથી થતી તકલીફ વધારે હતી. આ તમામના ફેફસા અને શ્વાસનળી નબળી જોવા મળી, આ ઉપરાંત 18 વર્ષની નીચેના હજારો કિશોરો પણ શ્વાસના રોગી હોવાનું જાણવા મળ્યું હતું.
તેનાથી વિરુદ્ધ જ્યાં જ્યાં ઉજ્જવલા યોજના પહોંચી છે ત્યાંના લોકોનો રિપોર્ટ બહેતર જોવા મળ્યો હતો. અહીં અગાઉ જે લોકોને શ્વાસને લગતા રોગ હતા તેમાં ઘટાડો તો થયો જ છે પરંતુ નવા દર્દીઓ બિલકુલ જોવા નથી મળ્યા. જ્યાં LPG નથી તેવા ઘરની મહિલાઓ તેમજ બાળકોના ફેફસાંનો રંગ ગુલાબીમાંથી કાળો પડી ગયો હોવાનું માલુમ પડ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ અને શહેરી મહિલાઓમાં ચૂલા ફૂંકવાને લીધે થતી બીમારીઓથી લડવા માટે જ ઉજ્જવલા યોજના શરુ કરી હતી અને ઉપરોક્ત અભ્યાસ તેમનો આ આશય પાર પડી રહ્યો હોવાનું અનુમોદન કરે છે. હજી તો આ મહિલાઓની તેમજ બાળકોની તંદુરસ્તી અંગેનો રિપોર્ટ છે, ઉજ્જવલા યોજનાથી જંગલોમાં ઇંધણ માટે વપરાતા લાકડાના વૃક્ષોની કપાત કેટલી ઓછી થઇ તે અંગેનો રિપોર્ટ તો આવવાનો બાકી છે.
eછાપું