ભારતના રેલવે મંત્રીએ ભારતના મોટાભાગના મહત્ત્વના રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવા ઉપરાંત તેનો કાયાકલ્પ કરવાનું અભિયાન ચલાવ્યું છે તે હેઠળ વલસાડના રેલવે સ્ટેશનનો આખો દેખાવ જ બદલાઈ ગયો છે.
વલસાડ: કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની પ્રથમ મુદત દરમ્યાન દેશભરના મહત્ત્વના રેલવે સ્ટેશનોના નવેસરથી સુશોભન અને પુનર્વિકાસનું બીડું ઉઠાવ્યું હતું. તેમની આ પહેલ હેઠળ ગુજરાતના વલસાડ રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થઇ ગયો હોવાનું જોવા મળે છે.
વલસાડ રેલવે સ્ટેશન 95 વર્ષ જૂનું છે અને તેનો પુનર્વિકાસ તેના આ ઈતિહાસને ધ્યાનમાં લઈને કરવો અત્યંત જરૂરી પણ હતું. વેસ્ટર્ન રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખવા ઉપરાંત મુસાફરોને આ સ્ટેશન પર આધુનિક સુવિધાઓ પણ મળી રહે તે પણ સુનિશ્ચિત કરવું જરૂરી હતું.
આ ઉપરાંત વલસાડના સ્થાનિકો પણ વર્ષોથી સાંકડા પ્લેટફોર્મ, ટીકીટબારી પર જો લાઈન હોય તો પૂરતી જગ્યાનો અભાવ તેમજ ભીડભાડવાળો હોલ અને પ્લેટફોર્મ તેમજ સ્ટેશન પર મોકળાશના અભાવ હોવાની ફરિયાદ કરી રહ્યા હતા. આટલું ઓછું હોય તેમ અહીં વેઈટીંગ રૂમમાં કોઈજ સુવિધાઓ ન હતી અને પાર્કિંગ વિષે કોઈજ મેનેજમેન્ટ જોવા મળતું ન હતું.
વલસાડનું રેલવે સ્ટેશન આવનારા પાંચ વર્ષમાં શતક પૂર્ણ કરશે પરંતુ તેનો અગ્રભાગ એટલી હદે ખરાબ થઇ ગયો હતો કે તે તેની જૂની અને જાણીતી ઓળખ ગુમાવી બેઠો હતો આ ઉપરાંત તે કદરૂપો લાગવા માંડ્યો હતો તે અલગ.
વલસાડ રેલવે સ્ટેશન પર દરરોજ લગભગ 26,000 લોકો અવરજવર કરે છે કારણકે આ સ્ટેશન એ સુરત-વિરાર લાઈન પર મહત્ત્વનું સ્ટેશન છે, ઉપરાંત લગભગ દરેક મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો અહીં થોભે છે. આમ આ કારણસર પણ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે એ જરૂરી હતું.
હવે વલસાડ રેલવે સ્ટેશન પર તમને આધુનિક વેઈટીંગ રૂમ, વ્યવસ્થિત પાર્કિંગ એરિયા, બહેતર શૌચાલયો જોવા મળશે. આ ઉપરાંત નવી અને મોડર્ન લૂક ધરાવતી ટીકીટ બુકિંગ ઓફિસ પણ જોવા મળશે.
વલસાડના આધુનિક કરવામાં આવેલા રેલવે સ્ટેશન પર વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત તેને LED લાઈટ્સથી સજ્જ કરવામાં આવ્યું છે અને તેનું બાંધકામ અત્યંત સુંદર દેખાય છે.
આ ઉપરાંત અહીંના પ્લેટફોર્મ સદાય સ્વચ્છ દેખાય છે અને વલસાડ રેલવે સ્ટેશનનો અગ્રભાગ કોઈ યુરોપિયન રેલવે સ્ટેશન જેવો દેખાય છે.
eછાપું