કર્ણાટકમાં થયેલી રામાયણ પાછળનું સોનેરી મૃગ એટલે પક્ષાંતર ધારો: સમજ અને વિશ્લેષણ

0
513
Photo Courtesy: ANI

પક્ષાંતર વિરોધી કાયદો જે કર્ણાટક વિધાનસભામાં છેલ્લા પંદર દિવસથી ચાલતા નાટક બાદ ફરીથી પ્રકાશમાં આવ્યો છે તેના વિષે સાદી અને સીધી સમજણ જેનાથી આ કાયદાના ઈતિહાસ અને તેના અર્થની ખબર પડે.

Photo Courtesy: ANI

કર્ણાટક રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ચાલેલા રાજકીય નાટક પર આખરે પડદો પડ્યો અને આખોય મુદ્દો સંકેલાયો. આ વિષે ઘણા બધા છાપાઓમાં લેખો લખવામાં આવ્યા અને રાજકારણણી ચર્ચા થઇ. પરંતુ eછાપું હંમેશા આપના માટે ન્યુઝ માટેનો એક આગવો વ્યુ લઈને આવે છે. આ પ્રથાને માન્ય રાખીને આજે આપણે કર્ણાટકમાં થયેલા નાટકની નહિ, પરંતુ એની પશ્ચાદભૂમિમાં રહેલા પક્ષાંતર ધારાને સમજીશું. એ શું છે? કયા કયા કારણો અંતર્ગત કોણ કોને સાંસદ કે વિધાનસભ્ય તરીકે ગેરલાયક ઠેરવી શકે? ક્યારે ન ઠેરવી શકે? આ બધા સવાલો જો તમારા મનમાં ઉદ્ભવ્યા હોય તો તમને સાચા અર્થમાં આજની ચર્ચા ખાસું એવું બંધારણીય જ્ઞાન આપશે.

1967 ની ચૂંટણી

પક્ષાંતર વિરોધી કાયદા (એન્ટી ડીફેક્શન લો)ની ભારત દેશમાં મુસાફરી લાંબી છે. તેમાં સંસદ, વિધાનસભાઓ, કારોબારી તંત્ર જે તેનો અમલ કરે છે અને કાયદાની અર્થઘટન કરતી ન્યાયતંત્રની સંસ્થાઓનો સમાવેશ થાય છે. સાંસદો, ધારાસભ્યો અને તેમના રાજકીય પક્ષો તેના મુખ્ય હિતધારકો છે એન્ટી ડિફેક્શન કાયદા દ્વારા અસર પામે છે. તે એક એવો કાયદો બનીને રહી ગયો છે જેના અનિશ્ચિત પરિણામો તેના હેતુથી વધારે છે – અને 1985 માં પસાર થયા પછીની તેની સફર દેશમાં સતત રાજકીય અસ્થિરતાનું પ્રતિબિંબ આપે છે.

એન્ટિ-ડિફેક્શન કાયદાના બીજ 1967 માં સામાન્ય ચૂંટણીઓ પછી વવાયા હતા. તે ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે મિશ્ર પ્રકારના હતા. તેણે કેન્દ્રમાં સરકારની રચના કરી, પરંતુ લોકસભામાં તેની મજબૂતી ૩૬૧ થી ઘટીને ૨૮૩ થઈ ગઈ. વર્ષ દરમિયાન તેણે સાત રાજ્ય સરકારોનું નિયંત્રણ ગુમાવ્યું, કારણ કે ધારાસભ્યોએ તેમની રાજકીય વફાદારી અન્ય પક્ષ તરફ સ્થાનાંતરિત કરી.

આ બેકગ્રાઉન્ડમાં, લોકસભામાં કોંગ્રેસના સાંસદ પી. વેંકટસુબ્બૈયા, જેમણે ઈન્દિરા અને રાજીવ ગાંધી બંનેના કેબીનેટ્સમાં સેવા આપી હતી, તેમણે ધારાસભ્યોની નિષ્ઠા જો એક પક્ષ તરફથી બદલાઈને અન્ય પક્ષ તરફ જાય તેવા સંજોગોમાં શું પગલાં લઇ શકાય તે માટે ભલામણો કરવા સારું ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરવાની દરખાસ્ત કરી હતી.

આ પ્રસ્તાવથી એ સમયે લોકસભામાં ઉત્સાહપૂર્ણ ચર્ચા જોવા મળી હતી. વિપક્ષી સભ્યોએ આ પ્રસ્તાવનું નામ બદલીને “કોંગ્રેસ બચાવવા”ના પ્રસ્તાવનું નામ રાખવા સૂચન કર્યું, જ્યારે શાસક પક્ષે વિપક્ષો પર ધારાસભ્યોને આવું કરવા માટે યેનકેન પ્રકારે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો.

હરિયાણાના એક ધારાસભ્ય ‘ગયાલાલે’ તો એક જ દિવસમાં ત્રણ વાર પાર્ટીઓ બદલીને હદ કરી નાખી હતી. આથી આવા પક્ષાંતરને “આયારામ ગયારામ” જેવા નામો આપવામાં આવેલા.

વાય બી ચવ્હાણ પેનલ

ધાંધલ ધમાલ વચ્ચે લોકસભા આ રાજકીય ખામીની સમસ્યાની તપાસ માટે એક સમિતિની રચના કરવા સંમત થઈ. તત્કાલીન ગૃહમંત્રી વાય બી ચવ્હાણ સમિતિનું નેતૃત્વ કરતા હતા. પેનલ પક્ષાંતરને વ્યાખ્યાયિત કરે છે – અને અમુક કિસ્સામાં થયેલા પક્ષાંતર માટે અપવાદની પણ વ્યાખ્યા કરે છે. સમિતિના જણાવ્યા મુજબ, પક્ષપલટો એ કોઈ સાંસદ અથવા ધારાસભ્યએ રાજકીય પક્ષને આપેલી નિષ્ઠાપૂર્વકની વિદાય હતી કે જેના ચૂંટણી પ્રતિકના લીધે ધારાસભ્યની પસંદગી કરવામાં આવી હતી, સિવાય કે જ્યારે આવી કાર્યવાહી એ પક્ષના નિર્ણયનું પરિણામ હોય.

સમિતિએ તેના અહેવાલમાં નોંધ્યું છે કે, ઘણાખરા ધારાસભ્યોએ લીધેલા પક્ષાંતરના નિર્ણયોમાં મંત્રીપદ અને કાર્યાલય મળવાનીની લાલચે પ્રભાવી ભાગ ભજવ્યો હતો. તેમાં ધ્યાન દોર્યું હતું કે સાત રાજ્યોમાં પક્ષાંતર કરીને અન્ય પક્ષમાં ગયેલા ધારાસભ્યો 210 હતા જેમાંથી 116 ને સરકારોમાં મંત્રીપદ આપવામાં આવ્યા હતા.

આનો સામનો કરવા માટે, સમિતિએ પક્ષાંતર કરીને આવેલા ધારાસભ્યોને એક વર્ષ માટે મંત્રી પદના પદ પર રાખવાનો પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી – અથવા તેઓ પોતે ફરીથી ચૂંટાઈને ન આવે ત્યાં સુધી. તેમાં કેન્દ્ર અને રાજ્યો બંને સ્તરે પ્રધાનોની નાની કાઉન્સિલ સૂચવી હતી.

કાયદાના પ્રારંભિક પ્રયાસો

વાય બી ચવ્હાણ સમિતિના અહેવાલ પછી, પક્ષાંતર માટેના સમાધાન શોધવા માટે, બંને નિષ્ફળ થયેલા, અલગ-અલગ બે કાયદાકીય પ્રયાસો કરવામાં આવ્યા હતા. પ્રથમ ઇન્દિરા ગાંધીના ગૃહ પ્રધાન ઉમા શંકર દીક્ષિતે 1973 માં બનાવ્યો હતો; બીજો, 1978 માં, મોરારજી દેસાઇની જનતા પાર્ટીની સરકારમાં કાયદા અને ન્યાય પ્રધાન શાંતિ ભૂષણ દ્વારા.

ત્રીજો પ્રયાસ – જે ૧૯૮૫માં કોંગ્રેસ 400 સીટ્સ જીતીને આવ્યું ત્યારબાદ જે કરવામાં આવ્યો એ સફળ રહ્યો.

બંધારણની દસમી અનુસૂચી

હાલ ભારતના બંધારણમાં 12 અનુસૂચી છે. જેમાં દસમી અનુસૂચી 1985માં થયેલા 52માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી જેનું નામ હતું. પક્ષાંતર ધારો.

બંધારણમાં સુધારો લાવવાનું બિલ રાજીવ ગાંધીના કાયદા પ્રધાન અશોકકુમાર સેન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે પોતે બેરિસ્ટર અને રાજકારણી હતા, જેમણે જવાહરલાલ નહેરુના પ્રધાનમંડળમાં પણ કાર્ય કર્યું હતું.

જોગવાઈઓ:

  1. પક્ષના સભ્યો માટે પક્ષાંતર ધારો લાગવા માટેની અને ગેરકાયદે ઠરવાની શરતો,

જો તે પોતે પક્ષમાંથી રાજીનામું આપે અથવા પાર્ટીએ નક્કી કરેલી બાબતોની વિરુદ્ધમાં મતદાન કરે અને જેના માટે પાર્ટી તેને 15 દિવસમાં માફ ન કરે.

  1. સ્વતંત્ર રીતે ચૂંટાઈને આવતા સાંસદો અને ધારાસભ્યો માટેની શરતો,

જો તે પોતે સ્વતંત્ર રીતે ચૂંટાઈને આવ્યા બાદ કોઈ પક્ષમાં જોડાઈ જાય છે તો તે પોતે આ ધારા હેઠળ ગેરકાયદે ઠરશે.

  1. રાષ્ટ્રપતિ/રાજ્યપાલ દ્વારા સંસદ/વિધાનમંડળમાં નામાંકિત થયેલા સભ્યો માટેની શરત,

જો તે છ મહિના બાદ કોઈ પક્ષમાં જોડાય તો તેની સદસ્યતા રદ્દ થશે.

પક્ષાંતર ધારો કોના ક્યારે ન લાગે?

  • જ્યારે લોકસભા અને/અથવા રાજ્યની વિધાનસભાના સ્પીકર(અધ્યક્ષ) જો નિષ્પક્ષ રહેવા માટે રાજીનામું આપે ત્યારે અને
  • જો એક જ પાર્ટીના 1/3 સભ્યો એકસાથે અન્ય પાર્ટી સાથે જોડાઈ જાય ત્યારે.

પક્ષાંતર ધારામાં થયેલો સુધારો, ૯૧મો બંધારણીય સુધારો,૨૦૦૩

1/3 સભ્યોના એકસાથે અન્ય પાર્ટીમાં જોડાવવાના કિસ્સાઓ વધતા ગયા જેના લીધે આ કાયદામાં સુધારો લાવવા માટેની જહેમત શરુ થઇ.  ૨૦૦૩ના સુધારામાં આ 1/3 સભ્યોની મર્યાદા વધારીને 2/3 કરવામાં આવી આથી આંતરપાર્ટીમાં થતી સાંઠગાંઠો નબળી પડી.

તમામ સત્તા કોના હાથમાં છે?

આ ધારો લાગુ કરવાની તમામ સત્તાઓ રાજ્યોમાં વિધાનસભાના અધ્યક્ષ પાસે અને કેન્દ્રમાં લોકસભાના અધ્યક્ષ પાસે હોય છે. આ જ વાતનો સૌથી વધુ વિરોધ થાય છે કારણ કે અધ્યક્ષસ્થાને મોટાભાગે સત્તાપક્ષનો જ સાંસદ હોય છે અને ભલે એ પોસ્ટ નિષ્પક્ષ હોવા છતાં તેમના નિર્ણયો પોતાની પાર્ટી તરફ વધુ ઝૂકેલા હોય છે. કર્ણાટકના નાટકમાં આ જ મુદ્દો ભાગ ભજવી ગયો છે.

જો કે આ સત્તાઓ ચૂંટણીપંચ જેવી સ્વાયત્ત સંસ્થાના હાથમાં આપવાની માંગો ઉઠી રહી છે. પણ એ થતા કેટલી વાર લાગશે એ વિષે નો આઈડિયા!

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here