દરરોજ ભારતને અણુ યુદ્ધ થવાની ચેતવણી આપનાર પાકિસ્તાની વડાપ્રધાન તેમજ અન્ય રાજકારણીઓને દેશની કંગાળ આર્થિક હાલત વિષે બિલકુલ જાણકારી નથી કારણકે પાકિસ્તાની વડાપ્રધાનના કાર્યાલયે વીજળીનું મોટું બીલ નથી ચુકવ્યું.
ઇસ્લામાબાદ: હજી થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને સમગ્ર વિશ્વને ચેતવણી આપતા કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુ યુદ્ધ થશે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પણ પડશે. પરંતુ તાજા સમાચાર અનુસાર પાકિસ્તાની વડાપ્રધાન પોતાની ઓફિસનું વીજળીનું બીલ ભરવા માટે પણ સમર્થ નથી.
છેલ્લા ઘણા મહિનાઓથી પાકિસ્તાનની આર્થિક હાલત અતિશય કંગાળ થઇ રહી છે. પુલવામા હુમલા બાદ ભારતે મુકેલા આર્થિક પ્રતિબંધોની અસર તો અહીંની સામાન્ય જનતા પર પણ પડી રહી છે.
પરંતુ તેમ છતાં ભારતે પોતાના આંતરિક નિર્ણય લેતા કલમ 370 નાબૂદ કરી એટલે પાકિસ્તાન, તેના વડાપ્રધાન અને અન્ય રાજકારણીઓ લાલઘુમ થઇ ગયા છે. દરરોજ વિવિધ પાકિસ્તાની નેતાઓ ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યા છે એ જાણતા હોવા છતાં કે દેશની આર્થિક હાલત અત્યંત નાજૂક છે અને તેને એક દિવસનું યુદ્ધ પણ પોસાય તેવું નથી.
આવામાં એક સમાચાર એવા આવી રહ્યા છે કે ઇસ્લામાબાદની ઇમરાન ખાનની વડાપ્રધાનની ઓફિસે છેલ્લા ઘણા મહિનાથી પોતાનું વીજળીનું બીલ ભર્યું નથી. જ્યારે દેશના વડાપ્રધાનનું કાર્યાલય જ મહિનાઓથી વીજળીનું બીલ ભરવા માટે અસમર્થ હોય ત્યારે અહીંની સમાન્ય પ્રજાની આર્થિક હાલત કેવી હોય તે સમજી શકાય છે.
ગલ્ફના જાણીતા અખબાર ખલીજ ટાઈમ્સ અનુસાર પાકિસ્તાન સરકાર પાસે વડાપ્રધાન કાર્યાલયનું વીજળી બીલ ચુકવવા માટે પૂરતા નાણા છે જ નહીં. વીજળીનું બીલ ન ચૂકવી શકવાને લીધે વીજળી કંપની દ્વારા હાલમાં પાકિસ્તાની વડાપ્રધાનના કાર્યાલયની વીજળી કાપી નાખવામાં આવી છે.
ખલીજ ટાઈમ્સે દાવો કર્યો છે કે ઇસ્લામાબાદમાં વીજળી સપ્લાય કરનારી કંપની ISCO એ વડાપ્રધાન કાર્યાલયને ઝડપથી બાકી લેણા ચૂકવી દેવા માટે નોટીસ પણ ફટકારી છે.
હાલમાં પાકિસ્તાનના વડાપ્રધાનના કાર્યાલયે ISCOને 41 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. ગયે મહીને આ રકમ 35 લાખ રૂપિયા હતી.
ISCOના એક અધિકારીનું કહેવું છે કે પાકિસ્તાની વડાપ્રધાનના કાર્યાલયે ક્યારેય પોતાના વીજળી બીલની ચુકવણી સમયસર કરી જ નથી.
eછાપું