લોકસભાની ચૂંટણીઓ પહેલા અને બાદમાં જે ફાઈટર જેટ્સ કરાર પર વિવાદ ઉભો થયો હતો તે 36 રફાલ ફાઈટર જેટ્સમાંથી પ્રથમ ફાઈટર જેટ આવનારી 8 તારીખે ભારતને મળશે.
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના એક સિનીયર અધિકારીના જણાવ્યા અનુસાર ભારત 8 ઓક્ટોબરે ફ્રાન્સ પાસેથી પ્રથમ રફાલ ફાઈટર જેટ મેળવશે. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે એટલુંજ નહીં તેઓ રફાલના ટુ સીટર ટ્રેનર એરક્રાફ્ટમાં સોર્ટી પણ લેશે.
રાજનાથ સિંહ 36માંથી પ્રથમ રફાલની ડિલીવરી લેવા માટે ફ્રાન્સ જઈ રહ્યા છે. ભારતે ફ્રાન્સની કંપની દેસ્સો એવિએશન સાથે આ ફાઈટર જેટ્સ ખરીદવાનો કરાર કર્યો છે.
પ્રથમ ફાઈટર જેટ મેળવવાની તારીખ 8 ઓક્ટોબર એટલા માટે નક્કી કરવામાં આવી છે કારણકે એ દિવસે દશેરા છે. આપણે જાણીએ છીએ કે દશેરાના દિવસે ભારતીયો પોતપોતાના શસ્ત્રોની પૂજા કરતા હોય છે, આમ આ દિવસે શસ્ત્રોનું અનોખું મહત્ત્વ પણ છે.
હાલમાં જ રાજનાથ સિંહે તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)ની ઉડાનમાં પણ ભાગ લીધો હતો. તેમણે આ અનુભવને રોચક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ભારત હવે LCAની નિકાસ કરવા માટે તૈયાર છે.
રફાલ ફાઈટર જેટ્સ કરાર અંગે ભારતના વિપક્ષે આ વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા અને દરમ્યાન તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવીને વિવાદ ઉભો કર્યો હતો. આ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો પરંતુ સુપ્રિમ કોર્ટે પણ સરકારને ક્લીન ચીટ આપી દીધી હતી.
eછાપું