સંસદના શિયાળુ સત્રના આજે પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારની NCPની પ્રશંસા કરી હતી જેનાથી ખાસ્સું આશ્ચર્ય ફેલાયું છે.
નવી દિલ્હી: આજે સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) તેમજ બીજુ જનતા દલ (BJD) ની ખાસ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે આ બંને પક્ષોએ સંસદીય પરંપરાનું સદાય પાલન કર્યું છે.
આ બંને પક્ષોના આગેવાનો ક્યારેય કોઇપણ ગૃહની વેલમાં આવ્યા નથી અને તેમ છતાં પોતાને સ્પર્શ કરતા મુદ્દાઓને તેમણે અસરકારકતાથી ઉઠાવ્યા છે. એક તરફ મહારાષ્ટ્રમાં સત્તા માટે મડાગાંઠ ઉકેલવામાં તકલીફ પડી રહી છે તેવામાં વડાપ્રધાનની NCPની કરેલી પ્રશંસા સૂચક છે.
અગાઉ આજે NCPના સર્વેસર્વા શરદ પવારે કહ્યું હતું કે ભાજપ અને શિવસેના તેમજ કોંગ્રેસ અને તેમના પક્ષના રસ્તા અલગ અલગ છે અને તેમણે તે રસ્તાઓ પર ચાલવું જોઈએ. હજી ગયા અઠવાડિયા સુધી પવાર શિવસેના-NCP-કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સરકાર રચશે અને તે પાંચ વર્ષ પણ ચાલશે એવું નિવેદન કરી ચૂક્યા છે.
જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી શિવસેના સાથે કોઇપણ પ્રકારનું ગઠબંધન કરવાનો પ્રખર વિરોધ કરી રહ્યા છે. તેમના કહેવા અનુસાર શિવસેના તેના કટ્ટર હિન્દુત્વ માટે જાણીતું છે અને આથી તેનું સમર્થન લેવું ન જોઈએ.
બીજી તરફ કેરળ કોંગ્રેસ પણ રાહુલ ગાંધીના વલણનું સમર્થન કરી રહી છે. જો કે મહારાષ્ટ્ર કોંગ્રેસ ભાજપને સત્તાથી દૂર રાખવા શિવસેના સાથે મળીને સરકાર બનાવવી જોઈએ તેવું મંતવ્ય વ્યક્ત કરી ચૂકી છે.
eછાપું