મહારાષ્ટ્રમાં પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ NCP પ્રમુખ શરદ પવાર વચ્ચે એક મહત્ત્વની બેઠક યોજાવા જઈ રહી છે.
નવી દિલ્હી: એક સમાચાર અનુસાર આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NCPના અધ્યક્ષ શરદ પવાર મહારાષ્ટ્રને લગતા પ્રશ્ન પર ચર્ચા કરવા માટે બેઠક કરી શકે છે. જાણવા મળ્યા અનુસાર પવાર અને મોદીની મુલાકાત આજે બપોરે 12.40 વાગ્યે થશે.
મહારાષ્ટ્રમાં હાલ રાજકીય ગૂંચવાડો ચાલી રહ્યો છે પરંતુ આ બેઠક મહારાષ્ટ્રના ખેડૂતોની હાલત અંગે ચર્ચા કરવા માટે મળી રહ્યા છે. શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની આ મુલાકાતમાં શિવસેનાના સંસદસભ્યો પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ વડાપ્રધાન મોદીએ રાજ્યસભાની 250મી બેઠકની ઉજવણી પ્રસંગે કરેલા સંબોધનમાં BJD સાથે પવારની NCPની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે આ બંને પક્ષોએ જાતે જ શિસ્ત નક્કી કરી છે કે સંસદના બંને ગૃહોની વેલમાં ક્યારેય ન જવું અને આ શિસ્ત આપણે બધાએ શીખવાની છે.
વડાપ્રધાનના આ નિવેદનને ઘણા લોકોએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ગૂંચવાડા સાથે પણ સાંકળી લીધું હતું.
eછાપું