મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ તેની ચરમસીમાએ છે અને હાલમાં એવું લાગી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર તેમના વિરોધીઓમાં પડેલી તૂટફૂટનો ફાયદો લઇ જઈ શકે તેમ છે.
અમદાવાદ: હાલમાં મહારાષ્ટ્રનું મહાભારત ચર્ચામાં છે. આજે સુપ્રિમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને પોતાનો ચૂકાદો આવતીકાલે સવાર સુધી સુરક્ષિત રાખી દીધો છે.
પરંતુ તાજા સમાચાર અનુસાર મહારાષ્ટ્રના NCP, શિવસેના અને કોંગ્રેસ આ ત્રણેય કેમ્પોમાં બધું બરોબર નથી ચાલી રહ્યું. ન્યૂઝ વેબસાઈટ OpIndiaમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ ત્રણેય પક્ષોના વિધાનસભ્યો વચ્ચે આંતરિક વિખવાદ ઉભો થયો છે.
NCPમાં ભલે હજી પણ અજીત પવારને મનાવવાના પ્રયાસો ચાલુ રહ્યા છે પરંતુ અજીત પવાર એકના બે થયા નથી. અહેવાલમાં જણાવ્યા અનુસાર છગન ભુજબળ જ્યારે આજે સવારે અજીત પવારને મળ્યા હતા ત્યારે તેમણે એમ કહ્યું હતું કે NCPના ઓછામાં ઓછા 36 ધારાસભ્યો અજીત પવારની ગેરહાજરીને કારણે અસહજ મહેસૂસ કરી રહ્યા છે.
આનો મતલબ સ્પષ્ટ છે કે અત્યારે ભલે આ ધારાસભ્યો શરદ પવારને સમર્થન આપી રહ્યા હોવાનો દેખાવ કરી રહ્યા હોય પરંતુ તેઓ હ્રદયથી અજીત પવારની સાથે છે. આથી જ્યારે વિધાનસભામાં જ્યારે વિશ્વાસનો મત લેવામાં આવશે ત્યારે તેઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની સરકારને સમર્થન આપશે.
શિવસેનામાં રાહુલ નાર્વેકર અને એકનાથ શિંદે વચ્ચે ગઈકાલે ઉગ્ર લડાઈ થઇ હોવાની ખબર પડી છે. ઉપરોક્ત અહેવાલમાં જણાવ્યા અનુસાર રાહુલ નાર્વેકર જે ઉદ્ધવ ઠાકરેની અત્યંત નજીક હોવાનું કહેવાય છે તેમણે શિંદેને ભાજપના સમર્થક હોવાનું કહેતા આ બંને વચ્ચે અત્યંત ઉગ્ર ભાષામાં બોલાચાલી થઇ હતી.
આ ઉપરાંત શિવસેનાના મોટાભાગના વિધાનસભ્યો માત્ર એક પરિવારનો વ્યક્તિ મુખ્યમંત્રી બને તે માટે પોતાના હિન્દુત્વ જેવી વિચારધારા સાથે સમાધાન કરવામાં આવ્યું હોવાથી નારાજ છે. આ તમામ ધારાસભ્યો પણ વિશ્વાસના મત સમયે ભાજપ-અજીત પવારની સરકારને સમર્થન આપી શકે તેમ છે.
તો કોંગ્રેસમાં પણ બધું સારું નથી. અહીં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અહમદ પટેલ વચ્ચે ત્રણ કેમ્પ પડી ગયા છે. આ ત્રણેયને પોતપોતાના ગમતા આગેવાનને મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષના નેતાને પસંદ કરવો છે અને તેને કારણેજ અત્યારસુધી મહારાષ્ટ્ર કોંગ્રેસના વિધાનસભા પક્ષનો નેતા પસંદ થઇ શક્યો નથી.
તો શરૂઆતમાં સોનિયા ગાંધી શિવસેના સાથે કોઇપણ પ્રકારના જોડાણ અંગે તૈયાર ન હતા પરંતુ અહમદ પટેલે તેમને સમજાવ્યા હતા કે મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાથી કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જરૂરી ભંડોળ મળવામાં આસાની રહેશે અને આથી જ સોનિયા ગાંધી આ જોડાણ માટે તૈયાર થઇ ગયા હતા.
બીજી તરફ કોંગ્રેસના વિદર્ભના વિધાનસભ્યો કોંગ્રેસથી છેડો ફાડે તેવી શક્યતાઓ પણ ઉભી થઇ છે અને તેઓ વિધાનસભામાં મતદાન સમયે ગેરહાજર રહી શકે છે. આ તમામ શક્યતાઓ તપાસતા આ આર્ટીકલમાં એમ જણાવવામાં આવ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની સરકાર 170થી પણ વધુ મતે વિશ્વાસનો મત જીતી શકે છે.
eછાપું